વિધવા વિરોધી પ્રથાઓ સામે ૭,૦૦૦ મહારાષ્ટ્રીયન ગામોનો ક્રાંતિકારી દાખલો

મુંબઈ: આપણા દેશમાં પરંપરાના નામે મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધતા શિક્ષણ સાથે જોકે, તેમાં ઘણો ઘટાડો ચોક્કસ થયો છે, તેમ છતાં હજી મહિલાઓ, ખાસ કરીને વિધવા સ્ત્રીઓને બહુવિધ તકલીફોનો સામનો કરવો પડે છે. આજ કારણ છે કે મહારાષ્ટ્રમાં એક કાર્યકર્તા, જે વિધવા સંબંધિત પછાત પ્રથાઓને નાબૂદ કરવાના મિશન પર છે. તેમણે આ મહિલાઓને સન્માનપૂર્વક જીવન મળે તેવા કાયદાની માંગમાં સહયોગ મેળવવા દેશના મંત્રીઓ અને ધારાસભ્યોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.
લોકસભાના સભ્યો ઉપરાંત, મહાત્મા ફૂલે સમાજ સેવા મંડળના વડા કાર્યકર્તા પ્રમોદ ઝીંજાડે આ હેતુ માટે સહયોગ મેળવવા માટે વિવિધ સરકારી સંસ્થાઓને પત્ર લખી રહ્યા છે. ઝીંજાડેએ કહ્યું કે તેમણે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર અને તમામ લોકસભા સભ્યોને પત્રો મોકલીને ભારતમાં ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ દ્વારા વિધવા સંબંધિત કુપ્રથાઓને નાબૂદ કરવાના પ્રયાસોમાં મદદ માંગી છે.
તેમણે રાષ્ટ્રીય મહિલા કમિશનને અપીલ કરી કે તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને નિર્દેશ આપે કે તેઓ તમામ રાજ્ય સરકારોને દેશભરના ગામડાઓમાં વિધવા કુપ્રથાઓ નાબૂદ કરવા માટે સમિતિઓની રચના કરવા કહે.
તેમણે ‘મંગળસૂત્ર’, બંગડીઓ અને અંગૂઠાની વીંટીઓ તોડી નાખવા, તેમના ઝાંઝર અને રંગબેરંગી કપડાં ઉતારવા, મુંડન કરવા તથા તેમને સામાજિક કાર્યો અને કૌટુંબિક વિધિઓમાંથી બાકાત રાખવા પર પ્રકાશ પાડ્યો. આ અમાનવીય પ્રથાઓ હજુ પણ આપણા સમાજના ઘણા ભાગોમાં અસ્તિત્વમાં છે, એમ તેમણે કહ્યું.
૧૭ મે, ૨૦૨૨ના રોજ કોલ્હાપુર જિલ્લાનું હેરવાડ વિધવા સંબંધિત કુરિવાજો પર પ્રતિબંધ મૂકવા ગ્રામ સભામાં ઠરાવ પસાર કરનાર પ્રથમ ગામ બન્યા પછી, મહારાષ્ટ્ર વહીવટીતંત્રે તમામ મુખ્ય સરકારી અધિકારીઓ અને ગ્રામ પંચાયતોને આવી ભેદભાવપૂર્ણ પ્રથાઓને દૂર કરવા અને વિધવાઓ માટે ગૌરવને પ્રોત્સાહન આપવા સૂચના આપી, એમ ઝિંજાડેએ જણાવ્યું.
આપણ વાંચો: ચંદ્રપુરમાં ટોલના નામે ‘હિંસા’: કર્મચારીને ઢસડ્યો, કારચાલક ફરાર
આનાથી પ્રેરિત થઈને, મહારાષ્ટ્રભરમાં ૭,૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતોએ અન્યાયી પ્રથાને નાબૂદ કરવા અને આ પ્રકારના ભેદભાવને રોકવા ગ્રામ સભાઓ દ્વારા ખાસ સમિતિઓની રચના કરી. પરિણામે, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને અન્ય કેન્દ્ર સરકારની સંસ્થાઓએ આ પહેલને સ્વીકારી અને સમગ્ર ભારતમાં આ મોડેલનું પુનરાવર્તન કરવાની ભલામણ કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું.
લોકસભાના સભ્યોને લખેલા પત્રોમાં, કાર્યકર્તાએ તેમને સંસદમાં આ મુદ્દો ઉઠાવવા અને ભારતમાં વિધવાઓને ગૌરવ અને સન્માન સાથે જીવવાની મંજૂરી આપતા કાયદાની હિમાયત કરવા વિનંતી કરી.