નણંદના ત્રાસથી કંટાળીને મહિલાએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

પુણે: પુણેમાં બહુમાળી ઇમારતની અગાશી પરથી 31 વર્ષની મહિલાએ તેના છ વર્ષના પુત્ર સાથે ઝંપલાવી આયખું ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નણંદના ત્રાસથી કંટાળીને તે અંતિમ પગલું ભરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પુણેના અંબેગાંવ બુદ્રુક વિસ્તારમાં બુધવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ મયૂરી શશિકાંત દેશમુખ (31) તરીકે થઇ હતી.
આપણ વાંચો: નવી મુંબઈમાં વૃદ્ધ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ
અંબેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર કલ્પક હાઉસિંગ સોસાયટીમાં સાંજના 6.30 વાગ્યે આ ઘટના બની હતી. અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે મહિલાએ તેના પુત્ર સાથે અગાશી પરથી ઝંપલાવતાં તેમનાં મોત થયાં હતાં.
દરમિયાન અમે મહિલાના ઘરે ગયા હતા, જ્યાં નોટબૂકમાં સુસાઇડ નોટ મળી આવી હતી. મહિલાએ સૂસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે નણંદ ત્રાસ આપતી હોવાથી કંટાળીને તે અંતિમ પગલું ભરી રહી છે. બંનેના મતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)