પુણેનો સંતોષ જગદાળે આતંકવાદીઓનો શિકાર થયો પણ સાંગલીનો સંતોષ જગદાળે બચી ગયો
સાંગલીનો સંતોષ જગદાળે હુમલાના એક કલાક પહેલાં જ ત્યાંથી રવાના થઇ ગયો હતો

મુંબઈ: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પુણેનો સંતોષ જગદાલે મૃત્યુ પામ્યો હતો, પરંતુ સાંગલીનો સંતોષ જગદાલે એક કલાક પહેલા જ ત્યાંથી નીકળી ગયો હોવાથી બચી ગયો હતો. છતાં તેની સલામતીની પુચ્છા કરવા તેનો ફોન સતત રણકી રહ્યો હતો. બૈસારણમાં જ્યાં હુમલો થયો ત્યાંથી તે એક કલાક પહેલા જ નીકળી ગયો હતો.
‘હું સંતોષ લક્ષ્મણ જગદાલે છું. હુમલામાં જે મરણ પામ્યો તે પણ મહારાષ્ટ્રનો હતો, પરંતુ તેનું પૂરું નામ સંતોષ એકનાથ જગદાલે હતું’, એમ ૪૯ વર્ષીય સંતોષ જણાવે છે.
આ પણ વાંચો: મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ
‘હુમલા બાદ ન્યૂઝ ચેનલમાં પીડિતોના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં ફક્ત સંતોષ જગદાલે નામ જણાવવામાં આવ્યું હતું, પૂરું નામ જણાવાયું નહોતું. તેથી મૂંઝવણ ઊભી થઇ. મને રાતભર અને આજે સવાર સુધી મારા ગામવાસીઓ, મિત્રો અને સંબંધીઓના ફોન આવતા રહ્યા’, એમ તેણે કહ્યું હતું.
‘પહલગામથી અમે કારમાં ગયા હતા. ટટ્ટુ અમને પસંદ નહોતા. હું, મારી પત્ની, મારો મિત્ર અને તેની પત્ની એમ અમારું ચાર જણનું ગ્રુપ હતું. એક કલાક પહેલા જ અમે ત્યાંથી નીકળી ગયા. અમારો નિર્ણય અમારો જીવ બચાવશે એ વિશે અમને કંઇ ખબર જ નહોતી. અમે હોટેલમાં પહોંચ્યા બાદ ત્યારે અમને હુમલાની ખબર પડી હતી’, એમ સંતોષે જણાવ્યું હતું.