મહારાષ્ટ્ર

બારામતીમાં પવાર પરિવારનો વધુ એક જંગ માલેગાંવ સહકારી સાકર કારખાના લિમિટેડ નવું યુદ્ધક્ષેત્ર બન્યું છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પવાર પરિવાર વચ્ચે બે મોટા ચૂંટણી યુદ્ધો જોવા મળ્યા અને ત્યારબાદ એનસીપી અને એનસીપી (એસપી)ના વિલીનીકરણ અથવા જોડાણની ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી, હવે પુણે જિલ્લાના પરિવારના ગઢ બારામતીમાં વધુ એક રાજકીય જંગ શરૂ થયું છે.

માલેગાંવ સહકારી સાકર કારખાના લિમિટેડ નવું યુદ્ધક્ષેત્ર બન્યું છે. સહકારી ક્ષેત્રની ચૂંટણી માટે મતદાન રવિવારે યોજાયું હતું, પરંતુ મતગણતરી મંગળવારે થશે.

કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનના મુખ્ય નેતા એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર અને તેમના ભત્રીજા અને એનસીપી પ્રમુખ અજિત પવાર જે મહાયુતિ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન છે, તે બંને માટે આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે.

બારામતીમાં લોકસભાની ચૂંટણીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે ચોથી વખત ચૂંટણી જીતી હતી અને અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવી હતી. જોકે, સુનેત્રા પવારને ભાજપના સમર્થનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
બારામતીથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારે તેમના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર પવારને હરાવીને રેકોર્ડ આઠમી વખત ચૂંટણી જીતી હતી.

માલેગાંવ સહકારી સાકર કારખાનાની ચૂંટણી મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે છ વખતના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતે 21 સભ્યોના બોર્ડ માટે મેદાનમાં રહેલા 90 ઉમેદવારોમાં સામેલ છે. 40 વર્ષ પછી તેઓ વ્યક્તિગત રીતે સહકારી ક્ષેત્રની ચૂંટણી લડી રહ્યા છે. અજિત પવાર હાલમાં રાજ્યના નાણા અને આયોજન ખાતાના પ્રધાન છે.

અજિત પવાર શાસક નીલકંઠેશ્ર્વર પેનલનું નેતૃત્વ કરી રહ્યા નથી, પરંતુ તેમણે જાહેરાત પણ કરી છે કે જો પેનલ સત્તા જાળવી રાખશે તો તેઓ ચેરમેન બનશે.

બીજી બાજુ શરદ પવાર, સુપ્રિયા સુળે અને યુગેન્દ્ર પવારની ‘બળિરાજા સહકાર બચાવો પેનલ’ છે.
રંજન તાવરેના નેતૃત્વ હેઠળનું ‘સહકાર બચાવ પેનલ’ નામનું બીજું એક જૂથ પણ ચૂંટણી લડી રહ્યું છે, જે તેને ત્રિકોણી લડાઈ બનાવી રહ્યું છે.

રાજ્યના સહકારી ક્ષેત્રમાં આ વિશાળ કવાયતનો ભાગ બનેલા લગભગ 19,000 શેરધારકો-મતદારો છે.
શાસક ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધન અને વિપક્ષ કોંગ્રેસ-શિવસેના (યુબીટી)-એનસીપી (એસપી) બંને ચૂંટણીઓ પર નજર રાખી રહ્યા છે.

રાજ્યની સૌથી આર્થિક રીતે મજબૂત સહકારી સંસ્થાઓમાંની એક ગણાતી માલેગાંવ સહકારી સાકર કારખાનામાં શેરડીના સૌથી વધુ ખરીદ દર ધરાવે છે – ગયા વર્ષે ખેડૂતોને રૂ. 3,636 પ્રતિ ટન આપવામાં આવ્યા હતા.
‘હવે અમે અજિત દાદાના ચેરમેન બનવાના સ્વપ્નને પૂર્ણ થવા દઈશું,’ એમ તાવરેએ કહ્યું હતું.

‘વિકાસ કોણ લાવશે તે મતદારો નક્કી કરશે. હું ચેરમેન પદ માટેનો ઉમેદવાર છું. હું અહીં 35 વર્ષથી કામ કરી રહ્યો છું,’ એમ અજિત પવારે કહ્યું હતું.

બોર્ડની 21 બેઠકો માટે કુલ 593 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા. ચકાસણી પછી, 503 ઉમેદવારોને અમાન્ય ગણવામાં આવ્યા હતા અને હવે 90 ઉમેદવારો મેદાનમાં છે.

કુલ 19,651 મતદારોમાંથી 19,549 જૂથ ‘અ’ ના છે – પ્રદેશના શેરડીના ખેડૂતો – અને 102 જૂથ ‘ઇ’ ના છે, જે વિવિધ સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. અજિત પવારે જૂથ ‘ઇ’ માંથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button