મરાઠા આરક્ષણમાં પીછેહઠ નહીં: આ આંદોલનકારીએ કરી સ્પષ્ટતા

પુણે: મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી પોતે તસુભાર પાછળ નહીં હઠે એવી સ્પષ્ટ વાત કરી આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના સર્વ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ એવી માંગણી શુક્રવારે કરી હતી. આ પ્રમાણપત્ર મેળવી મરાઠાઓ અન્ય પછાત જાતિ વિભાગ હેઠળ ક્વોટા પદ્ધતિનો લાભ લઈ શકશે.
પુણે જિલ્લાના રાજગુરુનગર ખાતે સંબોધન કરતી વખતે જરાંગેએ મરાઠાઓને હિંસા નહીં કરવા તેમજ આત્મહત્યા જેવું ઘાતક પગલું નહીં ભરવા અપીલ કરી હતી.
આંદોલનમાં આગળ કઈ દિશામાં આગળ વધારવું એ અંગે પોતે રવિવારે વિગતે વાત કરશે એમ જણાવી જરાંગેએ ઉમેર્યું હતું કે ‘ગઈકાલે આપણા એક સહયોગી સુનીલ કાવળેએ આરક્ષણની લડતમાં જીવન ટૂંકાવ્યું હતું.
છેલ્લા એક મહિનામાં 15થી 16 લોકોએ બલિદાન આપ્યું છે. ભૂતકાળમાં 47 મરાઠાઓએ તેમનું જીવન ટૂંકાવ્યું છે. અમે આ બધાના બલિદાન એળે નહીં જવા દઈએ. જો સરકાર આરક્ષણ માટે માની ગઈ હોત તો આ મૃત્યુ ટાળી શકાયા હોત. આ આંદોલનનો પ્રારંભ 29 ઓગસ્ટના રોજ થયો હતો અને આજે પણ લડત ચાલુ છે.