
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે 2029ની (સામાન્ય ચૂંટણીઓ)માં તેમની ભૂમિકા પરના સવાલનો જવાબ આપતાં એવો દાવો કર્યો કે છેલ્લા અગિયાર વર્ષમાં જે જોવા મળ્યું તે તો ફક્ત એક ‘ન્યૂઝ રીલ’ હતી અને ‘વાસ્તવિક ફિલ્મ’ હજુ આવવાની બાકી છે.
જોકે, ભાજપના વરિષ્ઠ નેતાએ તરત જ એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે પાર્ટી તેના કાર્યકરો માટેની જવાબદારીઓ નક્કી કરે છે અને ઉમેર્યું હતું કે તેમને પાર્ટી જે જવાબદારી સોંપશે તેના મુજબ તેઓ કામ કરશે.
‘અભી તક જો હુઆ હૈ વો તો ન્યૂઝ રીલ થી. અસલી ફિલ્મ શરૂ હોના અભી બાકી હૈ (તમે અત્યાર સુધી જે જોયું છે તે ફક્ત એક ન્યૂઝ રીલ છે, વાસ્તવિક ફિલ્મ હજુ શરૂ થવાની બાકી છે),’ એમ તેમણે નરેન્દ્ર મોદીની સરકારના અગિયાર વર્ષ નિમિત્તે જાણીતા પત્રકાર ઉદય નિરગુડકર સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાસ્ટ ટેગ મુદ્દે મોટી જાહેરાત, 15 ઓગસ્ટ બદલાઇ જશે નિયમો
‘પક્ષ કાર્યકર્તાઓ માટેની જવાબદારીઓ અને તેઓ શું કામ કરશે તે નક્કી કરે છે. મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું નિભાવીશ,’ એમ ગડકરીએ ભાર મૂકતા કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, તેમણે ક્યારેય તેમનો રાજકીય બાયોડેટા પ્રકાશિત કર્યો નથી અને તેમણે ક્યારેય સમર્થકોને એરપોર્ટ પર તેમના માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવા કહ્યું નથી.
ગડકરી કહ્યું હતું કે તેમની વ્યક્તિગત ઇચ્છા વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે કામ કરવાની છે.
‘આજકાલ, હું રસ્તાના કામો કરતાં કૃષિ અને અન્ય સામાજિક પહેલો પર વધુ કામ કરું છું,’ એમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ ખાતાના પ્રધાને શનિવારે કહ્યું હતું.
ભારતની માથાદીઠ આવક વિશ્ર્વના ટોચના 10 દેશોમાં કેમ નથી એમ પૂછવામાં આવતા, કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે આને માટે દેશની વસ્તી જવાબદાર છે.
વસ્તી નિયંત્રણ બિલને સમર્થન આપતા તેમણે કહ્યું હતું કે, ‘આ કોઈ ધાર્મિક કે ભાષાકીય મુદ્દો નથી. આ એક આર્થિક મુદ્દો છે. આટલો બધો વિકાસ થયો હોવા છતાં, તેના ફળ દેખાતા નથી. કારણ વસ્તીમાં વધારો છે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
તેમણે શિવસેના (યુબીટી)ના નેતા સુધાકર બડગુજરના ભાજપમાં જોડાવા અંગેના સવાલને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ તેમને ઓળખતા નથી અને ક્યારેય મળ્યા નથી.
ઇન્ટરવ્યુ દરમિયાન, ગડકરીએ 2014થી સત્તામાં રહેલી મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો.