નાગપુરમાં ટોળાએ કરેલા હુમલામાં ભાજપનો ઉમેદવાર ઘાયલ

નાગપુર: નાગપુરમાં પાલિકાની ચૂંટણીની પૂર્વે ટોળાએ કરેલા હુમલામાં ભાજપનો ઉમેદવાર ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાતે આ ઘટના બની હતી.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-11ના ભાજપના ઉમેદવાર ભૂષણ શિંગણેને માહિતી મળી હતી કે કેટલાક અસામાજિક તત્ત્વો વાતાવરણને બગાડવાનો અને રૂપિયા વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આથી ભૂષણ શિંગણે રાતના ગોરેવડા વિસ્તારમાં ગયો હતો, એમ પક્ષના શહેર પ્રમુખ દયાશંકર તિવારીએ જણાવ્યું હતું.
ભૂષણ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે 100થી વધુ લોકોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેને ઇજા પહોંચી હતી.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે એક વ્યક્તિ તથા અન્ય લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમની હજી ઓળખ થઇ નથી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
પોલીસ અધિકારીઓ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહ્યા છે અને ખરેખર શું બન્યું હતું તેની પણ તપાસ કરી રહ્યા છે.
(પીટીઆઇ)



