મરાઠવાડામાં ૧૦૪નાં મોત, ૨,૮૩૮ પ્રાણીનાં મરણ…

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મરાઠવાડામાં પહેલી જૂનથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનામાં કુલ ૧૦૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
બીડ, લાતુર, હિંગોલી, ધારાશિવ, નાંદેડ, પરભણી, જાલના, છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ૩૦૫૦ ગામમાં સતત પડી રહેલા ભારે વરસાદને અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી, મોટાપાયે પાકને નુકસાન થયું હતું અને ખેડૂતોની હાલત દયાજનક બની હતી, એમ ડિવિઝનલ કમિશનર ઓફિસના એક અહેવાલમાં જણાવ્યું હતું.
‘મરાઠવાડામાં પહેલી જૂનથી ૨૯ સપ્ટેમ્બર સુધી ૧૦૪ જણનાં મોત થયા હતા. આ સિવાય આ સમયગાળા દરમિયાન ૨,૮૩૮ પ્રાણીઓ પણ મરણ પામ્યા હતા જેમાં બીડના સૌથી વધુ ૬૮૫ પ્રાણીનો સમાવેશ થાય છે’, એમ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું.
કુલ ૧૦૪ મૃતકોમાં નાંદેના ૧૭ લોકો, છત્રપતિ સંભાજીનગરના ૧૭, બીડના ૧૬, હિંગોલીના ૧૩, જાલના અને ધારાશિવના નવ-નવ, પરભણી-લાતુરના છ-છનો સમાવેશ થાય છે.
પૂરમાં ૨૭૦૧ કિલોમીટરના રસ્તાઓ, ૧૫૦૪ બ્રિજ, ૨૨૨ પાણીના તળાવો, ૧૦૬૪ સ્કૂલ, ૯૫૬૭ ઇલેક્ટ્રિસિટીના થાંભલા, સ્થાનિક પ્રશાસનના કાર્યાલયો ધરાવતી ૫૮ ઇમારતો, ૩૯૨ પાણીની પાઇપલાઇનો, ૩૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે નુકાસન થયું હતું, એમ તેમાં વધુમાં જણાવાયું હતું.
ઉક્ત નુકસાનના સમારકામ માટે અંદાજે ૨,૪૩૨.૫૩ કરોડનો ખર્ચ થશે, એમ તેમાં રિપોર્ટમાં અંદાજ રજૂ કરાયો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…મરાઠવાડાના આફતગ્રસ્ત વિસ્તાર માટે 10,000 કરોડની રાહતની માંગણી