સેના (યુબીટી) અને રાણેના સમર્થકો વચ્ચે માલવણમાં અથડામણ
આદિત્ય ઠાકરે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે સ્થળે પહોંચ્યા ત્યારે થઈ ધમાલ

માલવણ (મહારાષ્ટ્ર): શિવસેના (યુબીટી) પક્ષના કાર્યકરો અને ભાજપના નેતા નારાયણ રાણેના સમર્થકો વચ્ચે બુધવારે સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે સ્થળે અથડામણ થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે 4 ડિસેમ્બરે સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં અનાવરણ કરવામાં આવ્યું હતું તે 17મી સદીના મરાઠા સામ્રાજ્યના સ્થાપકની 35 ફૂટની પ્રતિમા સોમવારે બપોરે તૂટી પડી હતી.
વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ) દ્વારા મહાયુતિ સરકારને આ મુદ્દે નિશાન બનાવવામાં આવી હતી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું રાજીનામું માંગવામાં આવતા આ ઘટના રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે.
સેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે બુધવારે પ્રતિમા તૂટી પડ્યા પછીની સ્થિતિનો તાગ મેળવવા રાજકોટ કિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા નારાયણ રાણે પણ તેમના મોટા પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ નિલેશ રાણે અને સંખ્યાબંધ સમર્થકો સાથે કિલ્લા પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો :મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને મુદ્દે શિવસેના (યુબીટી)માં ધુંધવાટ
ઠાકરે કિલ્લાની અંદર હોવાથી રાણે પોલીસ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.
ટૂંક સમયમાં ઠાકરે અને રાણેના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. સ્થળ પર તંગદિલી ફેલાઈ જતાં પોલીસ અને સુરક્ષાકર્મીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
અથડામણ વિશે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે હંગામો થયો તે કમનસીબ અને અપરિપક્વ છે. મેં મારા પક્ષના કાર્યકર્તાઓને કહ્યું છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાના સ્થળે કોઈપણ રાજનીતિ કરશો નહીં. (પીટીઆઈ