મહારાષ્ટ્ર વિધાનસભામાં નાસિક-ત્ર્યંબકેશ્ર્વર કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના માટે બિલ રજૂ કરવામાં આવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે એક બિલ રજૂ કર્યું જેમાં આવતા વર્ષે 31 ઓક્ટોબરથી શરૂ થનારા મેગા મંડળ માટે નાસિક-ત્ર્યંબકેશ્ર્વર કુંભ મેળા ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે.
ચોમાસા સત્રના પહેલા દિવસે વિધાનસભામાં રજૂ કરાયેલા આ બિલમાં નાસિક અને ત્ર્યંબકેશ્ર્વર તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં કુંભ મેળા અને સંલગ્ન પ્રવૃત્તિઓના આયોજન અને સંચાલન માટે એક ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈ છે.
દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ આ વર્ષે ચોથી જૂને ઓથોરિટી અંગેનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.
બિલ મુજબ, બાવીસ સભ્યોની ઓથોરિટીનું નેતૃત્વ નાસિક ડિવિઝન કમિશનર કરશે અને તેમાં નાસિક કલેક્ટર અને નાસિક રેન્જના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ પણ ઉપાધ્યક્ષ તરીકે સામેલ હશે.
અધ્યક્ષ પાસે કુંભ મેળા માટે સેવાઓ, સુવિધાઓ, પરિસર, વાહનો વગેરેની માગણી કરવા માટે સરકારી વિભાગો અને અન્ય અધિકારીઓને નિર્દેશ આપવાની સત્તા હશે.
સમય સમય પર ઓથોરિટીના કાર્યની સમીક્ષા કરવા માટે પ્રધાનોની એક સમિતિ પણ બનાવવામાં આવશે. સિંહસ્થ કુંભ મેળો આવતા વર્ષે 31 ઓક્ટોબરે નાસિકમાં ત્ર્યંબકેશ્ર્વર અને રામકુંડ ખાતે ‘ધ્વજરોહણ’ સાથે શરૂ થશે. દર બાર વર્ષે એકવાર યોજાતા આ મેગા ઇવેન્ટના સમાપનના પ્રતિક સ્વરૂપે ચોવીસ જુલાઈ, 2028ના રોજ ધ્વજ ઉતારવામાં આવશે.
કરોડો શ્રદ્ધાળુઓ કુંભમેળામાં હાજરી આપે તેવી અપેક્ષા છે.