રાજ્યમાં ભારે વરસાદમાં 21નાં મોત; 12 ઘાયલ, 41 પ્રાણીનાં પણ મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વિભાગે એવી માહિતી આપી છે કે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અનેક સ્થળે સતત પડી રહેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે 41 જેટલાં પ્રાણીનાં પણ મોત થયાં છે. પુણે અને નાંદેડ જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે, બંને જિલ્લામાં ત્રણ-ત્રણ લોકોએ જીવ ગુમાવ્યાં છે.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે 24 મેથી 27 મે દરમિયાન થયેલા ભારે વરસાદ અંગેનો વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ સિંધુદુર્ગ જિલ્લામાં 25 મેના રોજ અને મુંબઈમાં 26 મેના રોજ ચોમાસુ આવ્યું હતું. 24 થી 27 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં થયેલા ભારે વરસાદમાં મોટી જાનહાનિ થઈ હતી. ડૂબવા, વીજળી પડવા, દિવાલ પડવા અને વૃક્ષો પડવા જેવા વિવિધ કારણોસર રાજ્યભરમાં 21 લોકોનાં મોત થયા છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, 22 ગાયો અને ભેંસો સહિત 41 પ્રાણીનાં મોત થયાં છે અને બે ઘાયલ થયાં છે.
આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાનઃ આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ અહેવાલ મુજબ છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં કુલ સરેરાશ 174.8 મિ.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કોંકણમાં નોંધાયો છે. સિંધુદુર્ગ જિલ્લામાં ચાર દિવસમાં 511.6 મિ.મી. વરસાદ નોંધાયો છે અને રત્નાગીરીમાં 502.8 મિ.મી. વરસાદ નોંધાયો છે. ભંડારામાં સૌથી ઓછો એટલે કે 41.4 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે પશ્ર્ચિમ વિદર્ભના બુલઢાણા, અકોલા, યવતમાળ અને અમરાવતી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવાર સાંજથી વરસાદ ચાલુ છે. પૂર્ણા અને વિદર્ભ નદીઓના પૂરમાં યવતમાળ અને બુલઢાણા જિલ્લાના બે લોકો તણાઈ ગયા હતા. તેમના મોત થયા છે. ઉત્તર મહારાષ્ટ્રમાં, નાસિક, જલગાંવ, ધુળે અને નંદુરબારમાં પણ ચોમાસાએ જોરદાર હાજરી નોંધાવી હતી, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે પુણેમાં વિરામ લીધો હતો.
પુણે અને નાંદેડમાં ત્રણ, થાણે, લાતુર અને ભંડારામાં બે-બે લોકોનાં મોત થયાં છે. અહેવાલમાં જણાવાયું છે કે રાયગઢ, અહિલ્યાનગર, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, મુંબઈ ઉપનગર અને ગોંદિયા જિલ્લામાં એક-એકનું મોત થયું છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ભારે વરસાદ સંબંધી ઘટનાઓમાં 41 પ્રાણીઓનાં મોત થયાં છે.