મહારાષ્ટ્ર સરકાર વિધાનસભા ચૂંટણી પહેલા 6.94 કરોડ રૂપિયાના નકલી જીઆરની તપાસ કરી રહી છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો ગ્રામીણ વિકાસ વિભાગ એક નકલી જીઆરની તપાસ કરી રહ્યો છે જેના કારણે અહિલ્યાનગર જિલ્લામાં 6.94 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી અને ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.
ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા પંદરમી ઓક્ટોબરે લાગુ થયાના થોડા દિવસો પહેલાં ત્રીજી ઓક્ટોબરના રોજ આ બનાવટી સરકારી ઠરાવ જારી કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભલામણોના આધારે ગામડાઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે બજેટ હેડ ‘2515 1238’ હેઠળ માળખાગત સુવિધાઓના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ પછી જિલ્લા સ્તરે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને અહિલ્યાનગર, પારનેર, શ્રીગોંદા અને નેવાસા તાલુકાઓમાં 45 કામોને મંજૂરી આપવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો
‘જ્યારે કોન્ટ્રાક્ટરોએ ઉઘરાણી માટે સંપર્ક કર્યો, ત્યારે મંત્રાલયના અધિકારીઓએ ફાઇલની સમીક્ષા કરી હતી અને જાણવા મળ્યું હતું કે તે તારીખે કોઈ જીઆર જારી કરવામાં આવ્યો ન હતો. તે બનાવટી અને છેતરપિંડીનો કેસ હોવાનું બહાર આવ્યું. ચુકવણી તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને વિભાગીય તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
‘ત્યારબાદ ગ્રામીણ વિકાસ વિભાગે આ વર્ષે 28 માર્ચે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)ના તમામ જિલ્લા પરિષદો અને સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયરોને ઉપરોક્ત જીઆરને અવગણવા અને સરકારના સત્તાવાર ઇમેઇલ આઈડી દ્વારા બજેટ હેડ ‘2515 1238’ સાથે સંબંધિત પત્રવ્યવહાર ચકાસવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો,’ એમ તેમણે જણાવ્યું હતું.
28 માર્ચના પરિપત્રમાં અધિકારીઓને કામો મંજૂર કરતી વખતે સતર્ક રહેવા અને જીઆરમાં શંકા હોય તો ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. જો જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો, એવી માહિતી તેમણે આપી હતી.
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટ ભરતીનો પ્રથમ જીઆર કૉંગ્રેસનો મહાવિકાસ આઘાડીનું પાપ,હવે જીઆર રદ થશે: ફડણવીસ
આરડીડીની ‘2515’ યોજના નાના પાયે ગ્રામીણ કામો જેમ કે ગામડાના રસ્તાઓ, ગટરો, કબ્રસ્તાન અને ખેતરોમાંથી પસાર થતા રસ્તા (જેને પાંડણ રસ્તા પણ કહેવાય છે), જાહેર શૌચાલય, ગ્રામ પંચાયત કચેરીઓનું સમારકામ, વ્યાયામશાળા અને બજારના સ્ટોલ બનાવવા માટે ભંડોળ આપે છે.
‘આ કામો સામાન્ય રીતે પાંચ લાખથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે થાય છે અને તે જિલ્લા પરિષદો અથવા પીડબ્લ્યુડી દ્વારા હાથ ધરવામાં આવે છે, જે ઘણીવાર સ્થાનિક વિધાનસભ્યોની ભલામણો પર આધારિત હોય છે. આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં વાર્ષિક 1500-2000 કરોડ રૂપિયાના ખર્ચે કામો હાથ ધરવામાં આવે છે,’ એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જોકે, ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં, રાજ્ય સરકારે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી.
એવું લાગે છે કે કોઈએ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ખોટો જીઆર બહાર પાડ્યો હતો. અમને હજુ સુધી ખાતરી નથી કે આવા કિસ્સાઓ અન્યત્ર પણ બન્યા છે કે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.