કાચા કેદીઓને ન્યાય અપાવવા માટે કાનૂની સહાયની પહેલનો લાભ 45 ટકા કેદીઓને મળ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જેલોમાં સજા ન સંભળાવવામાં આવેલા કાચા કેદીઓ માટે 2018માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરાયેલી દેશની પ્રથમ કાનૂની સહાય પહેલનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી લગભગ 20,000 કેદીઓ લાભ પામ્યા છે. જેમાંથી 9,000 કેદીઓ અથવા 45 ટકા કેદીઓને વિવિધ કાનૂની પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલનું મહત્વ એ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે આ પહેલને સ્વીકારી છે અને તેના અમલ માટે નાણાકીય જોગવાઈ પણ કરી છે.
‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા રિપોર્ટ 2021’ મુજબ ભારતની જેલોમાં કેદીઓનો સરેરાશ દર 130 છે, જેમાંથી લગભગ 77 ટકા કાચા કેદીઓ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દિશામાં પહેલ કરી અને ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી સાથે આ કેદીઓની સ્થિતિની ચર્ચા કરી. દેશની પ્રથમ કાનૂની સહાય પહેલ તેમના ફાઉન્ડેશન સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરીને શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કેબિનેટે કટોકટીકાળના કેદીઓ માટેના માનદ્ વેતનની રકમ બમણી કરી, જીવનસાથીઓને લાભાર્થી તરીકે ઉમેર્યા
હજુ પણ એવા કેદીઓ છે જેમને કાનૂની પ્રતિનિધિત્વના અભાવે અથવા જામીન મેળવવા માટે નાણાકીય ક્ષમતાના અભાવે સજા ફટકારવામાં આવી ન હોવા છતાં તેઓ કારાવાસ ભોગવી રહ્યા છે. ફડણવીસ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ કેદીઓને કાનૂની સહાય મેળવવા માટે સક્ષમ બનાવી રહી છે.
રાજ્ય સરકારે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને અમલના ભાગીદારો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (ટીઆઈએસએસ) અને નેશનલ લો યુનિવર્સિટી, દિલ્હીના સહયોગથી શરૂ કરેલી કાનૂની સહાય પહેલે રાજ્યભરમાં કાચા કેદીઓના ન્યાય માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ પહેલ મહારાષ્ટ્રની આઠ મુખ્ય જેલોમાં અસરકારક રીતે લાગુ કરવામાં આવી રહી છે, જેમાં આર્થર રોડ, ભાયખલા, કલ્યાણ, તળોજા, લાતુર, થાણે, પુણે અને નાગપુરનો સમાવેશ થાય છે. જેલોમાં તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળોમાં સામાજિક કાર્ય અને કાયદા ફેલોની નિમણૂક કરવામાં આવી છે.