જો તમે કૃષિ લોન માફ ન કરી શકો તો ખુરશી છોડી દો: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર જો કૃષિ લોન માફીના પોતાના વચનો પૂરા ન કરી શકે અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા ન આપી શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ, એવા શબ્દોમાં રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે જણાવ્યું હતું.
કમોસમી વરસાદ અને પાકના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી હોવા છતાં, મહાયુતિ સરકાર કૃષિ લોન માફીની જાહેરાતમાં વિલંબ કરી રહી છે, એમ સપકાળે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
‘જ્યારે આ સરકાર કોર્પોરેટ્સને હજારો કરોડો રૂપિયા આપી શકે છે, તો તેની પાસે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન માફી કરવા અને મહિલાઓને સહાય આપવા માટે પૈસા કેમ નથી?’ એવો સવાલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો તમે લાડકી બહેનોને 2100 રૂપિયા અને ખેડૂતોને લોન માફી ન આપી શકો તો તમારી ખુરશીઓ ખાલી કરો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસની બેંકોને ચેતવણી, કૃષિ લોન આપતી વખતે સિબિલ સ્કોર્સ ન પૂછો
તેમણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર પુણેમાં એક કાર્યક્રમમાં લોન માફીનો મુદ્દો ઉઠાવનારા ખેડૂતોને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
‘આવું ઘમંડ સહન કરવામાં આવશે નહીં. પ્રધાનોએ યાદ રાખવું જોઈએ કે તેઓ જાહેર સેવક છે, માલિક નથી. (લોન માફી) મુદ્દાની તપાસ માટે સમિતિ બનાવવાનો સરકારનો પ્રસ્તાવ વિલંબ કરવાની યુક્તિ છે. ચૂંટણીમાં વચનો આપવામાં આવ્યા ત્યારે સમિતિની કોઈ વાત થઈ ન હતી. હવે જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં છે, ત્યારે સરકાર પ્રક્રિયાગત બહાના પાછળ છુપાઈ રહી છે,’ એવો દાવો સપકાળે કર્યો હતો.
આ પણ વાંચો: RBI એ ગેરંટી વિનાની કૃષિ લોનની મર્યાદા કર્યો આટલો વધારો, પરિપત્ર બહાર પાડશે…
કોંગ્રેસના નેતાએ સમૃદ્ધિ એક્સપ્રેસ વે કોરિડોર, ઘોડબંદર-ભાયંદર ટનલ પ્રોજેક્ટ, પુણે રિંગ રોડ યોજના અને પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસ વેમાં કૌભાંડોનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સરકાર સ્વાર્થી હિતોનું રક્ષણ કરી રહી છે.
‘જો રાજ્યનો ખજાનો ખરેખર ખાલી છે, તો સરકારે કેન્દ્ર પાસેથી ભંડોળ માગવું જોઈએ. ઓછામાં ઓછું એવી હિંમત તો બતાવો. ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોની ધીરજની કસોટી ન કરો. તેમની ધીરજ ખૂટી રહી છે અને તે સરકારને મોંઘી પડશે,’ એમ સપકાળે કહ્યું હતું.