સમૃદ્ધિ મહામાર્ગ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ? અજિત પવારે આપ્યો હિસાબ

મુંબઈઃ સમૃદ્ધિ મહામાર્ગના અંતિમ તબક્કાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 701 કિમીનો આ હાઇવે દેશનો સૌથી પહોળો હાઇવે છે. દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આ હાઇવે માટે ઉપયોગમાં લેવાતા સિમેન્ટ અને સ્ટીલના આંકડા આપ્યા.
જમીનના ભાવ સાંભળીને વિરોધ કરનારા ફરી ગયા
અજિત પવારે કહ્યું હતું કે, છત્રપતિ સંભાજીનગર ખાતે એક સભા યોજાઈ હતી. ત્યાં બધાએ અમને કહ્યું કે અમે તેનો વિરોધ કરવા માગીએ છીએ. આપણે આ પ્રોજેક્ટ બિલકુલ થવા દેવો જોઈએ નહીં, પરંતુ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથરાવે જમીનના ભાવની જાહેરાત કરી, ત્યારે અમને (વિરોધપક્ષ) ટેકો આપનારાઓએ પીઠ ફેરવી લીધી હતી અને પૈસા લઈને જમીન આપીને સમૃદ્ધિ હાઇવેને ટેકો આપ્યો હતો.
આ પણ વાંચો: 2014માં જોયેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું, સમૃદ્ધિ મહામાર્ગ સમૃદ્ધિ કોરિડોર છે: દેવેન્દ્ર ફડણવીસ
શૌચાલય અને હોટેલ માટેના ટેન્ડર
તેમણે વધુમાં કહ્યું, આટલા મોટા પ્રોજેક્ટ માટે 8,800 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આમાંથી 546 એકરમાં વન વિભાગની જમીનનો સમાવેશ થાય છે. લગભગ 1,903 નાના અને મોટા પુલ બનાવવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરમાં જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો હતો, ત્યારે અહીંથી 2 લાખ વાહનો પસાર થતા હતા, હવે 10 લાખ વાહનો પસાર થવા લાગ્યા છે. આ સંખ્યા આગામી દિવસોમાં આવી જ રીતે વધવાની છે. હવે, થોડી વસ્તુઓ કરવાની બાકી છે. શૌચાલય અને હોટલ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. મહાયુતિ સરકારે લોકોના મનમાં રહેલી સમસ્યાઓ દૂર કરવાનું કામ કર્યું છે. આ દેશનો સૌથી પહોળો રસ્તો છે જેની લંબાઈ 701 કિમી છે.
10 જિલ્લાઓને જોડતો પ્રોજેક્ટ
અમે ટૂંક સમયમાં પુણે-મુંબઈ રોડનું કામ કરી રહ્યા છીએ, જ્યાં સૌથી પહોળો પુલ અને ટનલ વિશ્ર્વના ટોચના પાંચમાં સ્થાન મેળવશે. તેના દ્વારા ઘણું બધું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ પંચાવન હજાર કરોડ રૂપિયા હતો. હવે તે 61 હજાર રૂપિયા થઈ ગયો છે. આ સમૃદ્ધિ મહામાર્ગ છે, જે 10 જિલ્લાઓને પ્રત્યક્ષ રીતે અને 14 જિલ્લાઓને પરોક્ષ રીતે જોડે છે, એમ અજિત પવારે કહ્યું હતું.
આ પણ વાંચો: ગુડ ન્યૂઝ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઇવે 5 જૂને સંપૂર્ણ શરુ થશે, સમયની બચત થશે
છ-લેનનો હાઇ-વે ગ્રીન ફિલ્ડ હાઈવે
આ છ-લેનનો હાઇવે રાજ્યના પાંચ મહેસૂલ વિભાગોના 10 જિલ્લાઓના 26 તાલુકાના 392 ગામોમાંથી પસાર થતો ગ્રીન ફિલ્ડ હાઈવે છે. સમૃદ્ધિ હાઇવે નાગપુર, વર્ધા, અમરાવતી, વાશિમ, બુલઢાણા, જાલના, છત્રપતિ સંભાજીનગર, અહિલ્યાનગર, નાસિક અને થાણે એમ 10 જિલ્લાઓને સીધો જોડે છે. ઉપરાંત, સમૃદ્ધિ હાઇવે ચંદ્રપુર, ગોંદિયા, ભંડારા, ગઢચિરોલી, યવતમાળ, આકોલા, હિંગોલી, પરભણી, નાંદેડ, બીડ, ધુળે, જળગાંવ, પાલઘર અને રાયગઢ એમ 14 જિલ્લાઓને પરોક્ષ રીતે જોડે છે.
12 કરોડ સિમેન્ટ બેગ અને 13 કરોડ ઘન મીટર ભરણી
આ પ્રોજેક્ટ માટે, આ હાઇવે પર 12 કરોડ સિમેન્ટની થેલીઓ નાખવામાં આવી છે. સાત લાખ મેટ્રિક ટન સ્ટીલ, 13 કરોડ ઘન મીટર ભરણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આઠ કરોડ ઘન મીટર ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ પછી નીકળેલા કાટમાળમાંથી છ કરોડના મૂલ્યની સામગ્રીનું રિસાયકલ કરવામાં આવ્યું છે. રોડ ડેવલપમેન્ટ બોર્ડની ટીમ અને જાહેર ક્ષેત્રે ખોદકામમાંથી નીકળેલા કાટમાળનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે એક વિઝન નક્કી કર્યું હતું. રાજ્ય માટે આટલું મોટું કામ થયું તે ખૂબ જ સંતોષની વાત છે.