ખેડૂતોની હાલત દયનીયઃ મહારાષ્ટ્રમાં કેટલા ખેડૂતો કરે છે આત્મહત્યા, જાણો?
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Farmer-Sucide.webp)
મુંબઈઃ છેલ્લા અનેક દાયકાઓથી ચાલી આવતી મહારાષ્ટ્રના ખેડૂતોની દયનીય સ્થિતિ આજે પણ યથાવત છે અને તે હાલમાં જ મળેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. એક આરટીઆઇ એટલે કે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટના જવાબમાં મળેલા આંકડાઓ પરથી આજે પણ સેંકડોની સંખ્યામાં દર વર્ષે મહારાષ્ટ્રના ખેડૂતો મોતને વ્હાલું કરતા હોવાનું જણાયું છે.
આરટીઆઇ કાર્યકર્તા જીતેન્દ્ર ઘાડગેએ રાજ્ય સરકાર પાસેથી રાજ્યના ખેડૂતોની આત્મહત્યાના આંકડા અંગે અરજી કરી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે તેમને સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જોકે આ માહિતીમાં આપવામાં આવેલા આંકડાઓ પરથી મહારાષ્ટ્રના ખેડૂતોની કફોડી હાલત છતી થાય છે.
સરકારે આપેલા આંકડા મુજબ આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 31મી મે દરમિયાન મહારાષ્ટ્રમાં 1,046 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એટલે કે 2024ના પાંચ જ મહિનાઓમાં હજાર કરતાં વધુ ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સરારેશ 209 ખેડૂતો દર મહિને મૃત્યુને ભેટે છે. ઘાડગેએ આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ખાસ કરીને અમરાવતીમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમરાવતી ડિવિઝનના ચાર જિલ્લાઓમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. અમરાવતીમાં આ વર્ષે સૌથી વધુ 143 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
જ્યારે ખેડૂતોની આત્મહત્યાની અમરાવતી બાદ સૌથી વધુ સંખ્યા યવતમાળ ડિવિઝનમાં જોવા મળી છે. યવતમાળમાં આ વર્ષે અત્યાર સુધી 132 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ બુલઢાણામાં 83 અને અકોલામાં 82 ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સરકારે આપેલા આંકડાઓ પરથી જણાય છે.
આંકડાઓને પગલે આ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રની હાલત કેટલી ગંભીર છે અને ખેડૂતો કરજ તેમ જ પાક નિષ્ફળ જવા ઉપરાંત અન્ય આર્થિક પરિસ્થિતિઓથી ઝઝૂમી રહ્યા હોવાના કારણે માનસિક બોજથી ત્રાસીને આત્મહત્યાનો વિકલ્પ પસંદ કરી રહ્યા હોવાનું જણાય છે.