દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં લંપટ બાબા સામે થઈ ફરિયાદ

રત્નાગિરીઃ દિલ્હીની કૉલેજમાં ચૈતન્યાનંદ નામના બની બેઠેલા બાબાની કામવાસનાની લીલા બહાર આવી હતી ત્યારે આવી જ ઘટના મહારાષ્ટ્રના રત્નાગિરીમાં બની છે. અહીં ગુરુકુલમાં વિદ્યાર્થિનીઓનું શારિરીક શોષણ કરનારા કોકરે મહારાજ સહિત બે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અહીંના ખેડ તાલુકામાં આધ્યાત્મિક એવી વારકરી ગુરુકુલનો આ કિસ્સો છે, જ્યાં સંસ્થાના પ્રમુખ અને એક શિક્ષક સામે એક સગીરાની જાતિય સતામણીનો કેસ દાખલ થયો છે.
ગુરુકુલના શિક્ષક પ્રીતેશ પ્રભાકર અને પ્રમુખ કોકરે મહારાજ સંસ્થામાં ભણવા આવેલી સગીરા સાથે છેડછાડ કરતા હોવાની ફરિયાદ થતા પોલીસે તેમની સામે POCSO હેઠળ કેસ નોંધ્યો છે. આ ગુરુકુલમાં છોકરા અને છોકરીઓ મહારાષ્ટ્રના ગામે ગામથી આવે છે. આધ્યાત્મિક શિક્ષણ લેવા માટે તેઓ અહીં રહે છે. સગીરા પણ થોડા સમયથી અહીં રહેતી હતી. મહારાજ તેમને બોલાવી તેમની સાથે અજુગતું વર્તન કરતા હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પીડિતા સાથે જ્યારે એકાદ બે વાર આવી ઘટના ઘટી ત્યારે તેણે ગુરુકુલના એક પદાધિકારીને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે ચુપ રહેવાની ધમકી આપી હતી. મહારાજના સામાજિક અને રાજનૈતિક સંબંધો હોવાથી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી, પરંતુ સગીરા સાથે વારંવાર જાતિય સતામણી થતા તેણે પરિવારને જાણ કરી હતી અને પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.