સરકારી ડોક્ટર ઑડિયો ક્લિપમાં સહકર્મીને કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’નું કહેતા સંભળાયા: ગુનો દાખલ

લાતુર: 2021ની મહામારી દરમિયાન કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’ માટે સહકર્મીને સૂચના આપવા બદલ લાતુર જિલ્લામાં સરકારી હોસ્પિટલના સિનિયર ડોક્ટર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
લાતુરની ઉદગિર સરકારી હોસ્પિટલમાં તત્કાલીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સર્જન એવા આરોપી ડો. શશીકાંત દેશપાંડે અને કોવિડ-19 કૅર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડો. શશીકાંત ડાંગે વચ્ચેનો વાર્તાલાપ હવે ઑડિયો ક્લિપના માધ્યમથી સોશિયલ મીડિયા પર સપાટી પર આવ્યો છે.
2021માં મહામારીએ માઝા મૂકી ત્યારે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી હતી અને સંસાધનો ખૂટી પડ્યાં હતાં તે સમયની આ ઘટના છે.
આ પણ વાંચો: ભારતમાં કોવિડ-19ના વધી રહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા
જે દર્દીને મારી નાખવા માટે કહેવામાં આવ્યું હતું તે દયામી અજિમોદ્દીન ગૌસોદ્દીન (53)ની પત્ની કૌસર ફાતિમા બાદમાં આ રોગથી સાજી થઇ ગઇ હતી.
ડો. શશીકાત દેશપાંડે એવું કહેતા સંભળાય છે કે ‘કોઇને અંદર જવા દેશો નહીં, તે દયામી મહિલાને મારી નાખો.’ ડો. ડાંગે સતર્ક રીતે એવો પ્રતિસાદ આપે છે કે ઑક્સિજન સપોર્ટ ઓછો થઇ ગયો છે.
હવે ગૌસોદ્દીનની ફરિયાદને આધારે ઉદગિર સિટી પોલીસ દ્વારા 24 મેએ ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દેશપાંડેનો મોબાઇલ જપ્ત કર્યો છે. ઑડિયો ક્લિપની વિશ્ર્વસનીયતા અમે તપાસી રહ્યા છીએ. ડો. ડાંગેને પણ નોટિસ જારી કરવામાં આવી છે, જે હવે જિલ્લાની બહાર છે. તેનો પણ મોબાઇલ જપ્ત કરાશે, એમ ઇન્સ્પેક્ટર દિલીપ ગાડેએ કહ્યું હતું.
આ પણ વાંચો: કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
એફઆઇઆર મુજબ 2021માં ફાતિમા (તે સમયે 41 વર્ષ)નો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15 એપ્રિલ, 2021ના તેને ઉદગિરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. હોસ્પિટલના વ્યવસ્થાપન હેઠળની નાંદેડ રોડ પરની આઇ હિેસ્પટલની સામેની ઇમારતમાં ઉપચાર અપાતો હતો, જ્યાં ડો. ડાંગે ઉપચાર કરતા હતા.
ફાતિમા 10 દિવસ સુધી દાખલ હતી. તેને દાખલ કર્યાના સાતમા દિવસે ડો. ડાંગે ભોજન કરતો હતો ત્યારે તેની બાજુમાં ફાતિમાનો પતિ બેઠેલો હતો. તે સમયે ડો. ડાંગેને ફોન આવતાં સ્પીકર પર મૂકીને વાત શરૂ કરી. ડો. દેશપાંડે એ સમયે બેડની ઉપલબ્ધતા વિશે પૂછ્યું. ડો. ડાંગેએ કહ્યું હતું કે બેડ નથી. ત્યારે દેશપાંડેએ કહ્યું કે દયામી મહિલાને ખતમ કરી દે. તું આવા લોકોને હાથ ધરવા માટે ટેવાયેલો નથી. (પીટીઆઇ)