ભાજપના નેતાએ મહારાષ્ટ્રના પ્રધાનની હકાલપટ્ટીની માંગણી કરી

છત્રપતિ સંભાજીનગર: ભાજપના એક નેતાએ મહારાષ્ટ્રના પ્રધાન અબ્દુલ સત્તારને સરકારમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે, તેમણે એવો આરોપ મૂક્યો છે કે તેણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જાલના બેઠક પર સત્તારે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.
બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને લખેલા પત્રમાં પાર્ટીના સિલ્લોડ શહેર એકમના વડા કમલેશ કટારિયાએ એવો દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા અબ્દુલ સત્તાર અને તેમના સમર્થકોએ કોંગ્રેસના ઉમેદવાર કલ્યાણ કાળેને જાલનામાં મત મેળવવામાં મદદ કરી હતી, જેને કારણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો એક લાખથી વધુના માર્જિનથી પરાજય થયો હતો.
કટારિયાએ દાવો કર્યો હતો કે રાજ્ય વિધાનસભામાં સિલ્લોડનું પ્રતિનિધિત્વ કરતા સત્તારે તેમના સેગમેન્ટમાં (ભાજપના ઉમેદવાર) વિરુદ્ધ કામ કર્યું હતું, જે જાલના લોકસભા મતવિસ્તારનો ભાગ છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે રાજ ઠાકરે, ઉદ્ધવ કરાવી રહ્યા છે સર્વે
ભાજપ પાસે સિલ્લોડમાં મતદાર આધાર છે અને સત્તાર અહીં પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકરો સામે ખોટા કેસ નોંધવામાં આવે છે, એવો આક્ષેપ તેમણે બાવનકુળેને લખેલા પત્રમાં કર્યો હતો.
અગાઉ, સત્તારે દાવો કર્યો હતો કે તેમણે દાનવે માટે કામ કર્યું હતું, પરંતુ તેમના કેટલાક લોકો પીછેહઠ કરી ગયા કારણ કે તેઓ માનતા હતા કે સિલ્લોડ મતવિસ્તારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને પાછો ટેકો મળશે નહીં. (પીટીઆઈ)