બાવનકુળેએ રાહુલ ગાંધીને ‘મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગ’ નિવેદન પર ઘેરી લીધા, ‘ઇતિહાસ’ યાદ કરાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ગેરરીતિઓ તરફ ઈશારો કરીને ‘મેચ ફિક્સિંગ’ની ટિપ્પણી કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાના આ નિવેદન પર સવાલ ઉઠાવતા બાવનકુળેએ કેટલાક આંકડા રજૂ કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે.
તેમણે એક્સ પર કરેલી એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી કહે છે કે મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં 39 લાખ મતદારોનો વધારો ‘શંકાસ્પદ’ છે. પણ રાહુલજી, 2009માં શું થયું હતું? જો તમને યાદ ન હોય, તો હું તમને કહીશ.’ ત્યારબાદ બાવનકુલેએ આંકડાઓમાં આખી વાર્તા કહી હતી. તેમણે કહ્યું હતું કે, ‘એપ્રિલ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 7 કરોડ 29 લાખ 54 હજાર મતદારો હતા, જ્યારે ઓક્ટોબર 2009માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 7 કરોડ 59 લાખ 68 હજાર મતદારો હતા. ત્યારે પણ, માત્ર પાંચ મહિનામાં મતદારોની સંખ્યામાં 30 લાખનો વધારો થયો હતો!’
આ પણ વાંચો: મેચ ફિક્સિંગ મામલે રાજનીતી ગરમાઈઃ રાઉત અને ફડણવીસે આપી પ્રતિક્રિયા…
તેમણે પૂછ્યું હતું કે, ‘શું તમને ત્યારે ચૂંટણી પંચ પર વિશ્વાસ હતો કે પછી કોંગ્રેસ-કમિશનનું ગઠબંધન હતું? શું તમે ત્યારે પણ કૌભાંડ કર્યું હતું? આનો જવાબ આપો. જ્યારે તમે 2004, 2009માં જીત્યા, ત્યારે કોઈ પ્રશ્ર્ન નહોતો! આજે, જ્યારે તમે હારી ગયા, જ્યારે મહારાષ્ટ્રના લોકોએ તમને નકારી કાઢ્યા, પછી રડવાનો અવાજ આવી રહ્યો છે.
રાહુલ જી, આંકડા અધૂરા વાંચીને દેશને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ ન કરો. તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે બીજાઓને દોષ આપવાને બદલે, થોડું આત્મનિરીક્ષણ કરો.’ એમ ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખે આખરે રાહુલ ગાંધી પર રાજ્યનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના લોકોએ તમને નકારી કાઢ્યા, હવે બિહારના લોકો પણ તમને બહાર કાઢવા જઈ રહ્યા છે. આ ડરથી, તમે હવે તમારી હારના કારણો આપી રહ્યા છો. મહારાષ્ટ્રના લોકોએ અમારી મહાયુતિને બહુમતીથી પસંદ કરી છે. આ જ વિશ્વાસ લોકોને અમારા પર છે. આગામી ચૂંટણીઓમાં પણ આ જ વિશ્વાસ રહેશે. તમે વારંવાર ખોટું બોલીને રાજ્યના લોકોનું અપમાન કરી રહ્યા છો. જનતા તમને ક્યારેય માફ નહીં કરે.’