સ્યુગર મિલની ચૂંટણીમાં અજિત પવાર વિરુદ્ધ શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બારામતીની માલેગાંવ કો-ઓપરેટિવ સ્યુગર મિલ માટે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યા બાદ, તેમના કાકા શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)એ પણ ચૂંટણી મેદાનમાં ઝૂકાવ્યું હતું અને એક હરીફ પેનલ બનાવી છે.
બારામતી તાલુકાના અડધો ડઝન ગામોના પક્ષના કાર્યકરો અને સ્યુગર મિલના સભ્યોને સંબોધતા શરદ પવારે બુધવારે ચેતવણી આપી હતી કે પ્રચાર દરમિયાન લાલચ આપવામાં આવી શકે છે અને તેનો શિકાર ન બનવા અપીલ કરી હતી.
પવારે પરિવારના ગૃહ પ્રદેશ બારામતીમાં કો-ઓપરેટિવ સ્યુગર મિલના એકવીસ સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી બાવીસ જૂને યોજાવાની છે અને પરિણામો ચોવીસ જૂને જાહેર કરવામાં આવશે.
આપણ વાંચો: સમૃદ્ધિ મહામાર્ગ માટે કેટલી સામગ્રીનો ઉપયોગ? અજિત પવારે આપ્યો હિસાબ
અજિત પવાર પોતે પણ 90 ઉમેદવારોમાં સામેલ છે અને ચાર દાયકાથી વધુ સમય પછી તેઓ સ્યુગર કો-ઓપરેટિવ મિલની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ નીલકંઠેશ્ર્વર પેનલના ઉમેદવાર છે, જે હાલમાં સ્યુગર મિલમાં સત્તા ધરાવે છે.
ઉમેદવારો પાર્ટી ટિકિટ પર નહીં પણ અલગ અલગ પેનલના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.
નીલકંઠેશ્ર્વર પેનલ અને સહકાર બચાવ પેનલ ઉપરાંત, શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ ‘બલિરાજા સહકાર બચાવ’ પેનલ બનાવીને મેદાનમાં ઉતરી છે, જેનાથી સ્પર્ધા ત્રિકોણી બની ગઈ છે. શરદ પવાર સીધા મેદાનમાં નથી.
બલિરાજા સહકાર બચાવ પેનલે વીસ અને નીલકંઠેશ્ર્વર પેનલે એકવીસ ઉમેદવારો ઉભા રાખ્યા છે.
આપણ વાંચો: શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી
મતદારોને સંબોધન કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા સિનિયર પવારે કહ્યું હતું કે, જો એનસીપી (એસપી) સાથે સંકળાયેલા લોકોને (અજીત પવાર સમર્થિત શાસક પેનલ દ્વારા) સાથે લેવામાં આવ્યા હોત, તો તેમની પાર્ટીને ચૂંટણી માટે હરીફ પેનલ બનાવવાની જરૂર ન પડી હોત.
‘આજે પણ અમે આવી સ્થિતિ લેવા માગતા નથી. જોકે, પરિસ્થિતિને કારણે પક્ષને આ સ્થિતિ લેવાની ફરજ પડી હતી. જો બધાને સાથે રાખવાનો અભિગમ અપનાવવામાં આવ્યો હોત, તો આ સ્થિતિ (તરતી હરીફ પેનલ) ટાળી શકાઈ હોત, પરંતુ ભૂતકાળને ભૂલી જવા દો,’ એમ શરદ પવારે કહ્યું હતું.
આપણ વાંચો: અજિત પવારે શાળાઓમાં હિન્દીના વિરોધની ઝાટકણી કાઢી
એનસીપીમાં 2023ના વિભાજન પહેલાં સ્યુગર મિલના બોર્ડમાં ફક્ત એક પેનલ (નીલકંઠેશ્ર્વર) પવાર પરિવારનું પ્રતિનિધિત્વ કરતી હતી. શરદ પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ આ મતભેદને (હરીફ એનસીપી જૂથો વચ્ચે) લાંબા ગાળાના મુદ્દા તરીકે જોતા નથી.
‘આ ફક્ત આ ચોક્કસ ચૂંટણી સુધી મર્યાદિત છે, જેમાં ફક્ત 19,000 મતદારો – મિલના સભ્યો જે મતદાન કરવા માટે લાયક છે,’ એમ તેમણે કહ્યું હતું.
સિનિયર પવારે સ્યુગર મિલો દ્વારા ઉત્પન્ન થતા કચરાના પ્રવાહને કારણે નીરા નદીમાં થતા પ્રદૂષણ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે.
‘મતદાન દરમિયાન કેટલાક લોકો સત્તાનો દુરુપયોગ કરી શકે છે અને લાલચ આપી શકે છે, પરંતુ સુનિશ્ર્ચિત કરો કે ગમે તે થાય, તમારા મત વેચશો નહીં,’ એમ તેમણે કહ્યું હતું.