પરભણી – બીડની હિંસા મુદ્દે અજિત પવારની ફડણવીસ સાથે ચર્ચા

પુણે: મહારાષ્ટ્રના બીડમાં સરપંચની હત્યા અને પરભણીમાં હિંસા બાદ એક વ્યક્તિના મૃત્યુ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
માર્યા ગયેલા સરપંચ સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના પરિવારની પવારે શનિવારે મુલાકાત લીધી હતી.પરભણીમાં થયેલી હિંસાના સંદર્ભમાં ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં કથિત રીતે સૂર્યવંશીનું મૃત્યુ થયું હતું.
એનસીપી (એસપી)ના અધ્યક્ષએ આજે શહેરના કૃષિ વિદ્યાલય ખાતે ભીમથાડી જાત્રામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ વખતે તેમણે મુખ્ય પ્રધાનને ફોન કરીને બીડ અને પરભણીના કેસની નોંધ લેવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : સુરત-થાણે ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન, મહારાષ્ટ્રમાંથી 5 કરોડના દાગીનાની ચોરી કરનારી ટોળકીને સુરતમાંથી દબોચી
ફડણવીસે શુક્રવારે પરભણી હિંસા અને સરપંચની હત્યાની ન્યાયિક તપાસ કરવાની અને દેશમુખ અને સૂર્યવંશીના સગાઓને 10 – 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
પુણેમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં શરદ પવારે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે જે સ્થળની મુલાકાત લીધી હતી તે વિશે મેં મુખ્ય પ્રધાન સાથે વાત કરી હતી. પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવી મેં તેમને આ બાબતની નોંધ લેવા કહ્યું હતું.’
(પીટીઆઈ)