લાડકી

રિટ્રીટ ને મોન્ટેસોરી શિક્ષણ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)
નામ: મૃદુલા સારાભાઈ
સ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧
સમય: ૧૯૭૪
ઉંમર: ૬૨ વર્ષ
ઈંગ્લેન્ડથી મુંબઈ આવતી વખતે સરલાદેવી અને અંબાલાલ પોતાની સાથે બે ઈંગ્લિશ ગવર્નેસ લઈ આવ્યા જે, એમની સાથે મુંબઈ પણ રહ્યાં. આ બંને ઈંગ્લિશ ગવર્નેસને લાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે, એમનાં બાળકો પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ અને વૈશ્ર્વિક બદલાવ સાથે સંપર્કમાં રહી શકે અને આધુનિક જીવનશૈલી અપનાવી શકે. અંબાલાલભાઈ નહોતા ઈચ્છતા કે એમનાં બાળકો બદલાતા સમયમાં પાછળ રહી જાય.

ઈંગ્લેન્ડ અને મુંબઈના નિવાસ પછી મારા માતા-પિતા અંબાલાલભાઈ અને સરલાદેવીએ સંતાનોનો ઉછેર કરવા માટે જાતભાતની પદ્ધતિઓ અપનાવી જોઈ. ઈંગ્લિશ ગવર્નેસ અત્યંત ડિસિપ્લિન અને કેટલીકવાર શિક્ષાની દુરાગ્રહી હતી. અમારું ટાઈમટેબલ ટાઈટ રહેતું. જેમાં માતા- પિતાને મળવાનો સમય પણ નિશ્ર્ચિત કરવામાં આવતો. મારા માતા-પિતા બંનેને આ અનુકૂળ નહોતું તેમ છતાં એમને કોઈ યોગ્ય રસ્તો દેખાતો નહોતો. એ જ વખતે એમના હાથમાં મેડમ મોન્ટેસોરીનું બાળ ઉછેરનું અને શિક્ષણનું પુસ્તક આવ્યું. બંને જણાંએ એ પુસ્તક વાંચીને એમનાં સંતાનોનો ઉછેર મોન્ટેસોરી પદ્ધતિથી કરવાનો નિશ્ર્ચય કર્યો. ઈંગ્લિશ ગવર્નેસને પાછી મોકલવામાં અને રિટ્રીટ બંગલામાં જ અમારા આઠ ભાઈ-બહેનો માટે એક અદભુત સ્કૂલ શરૂ કરવામાં આવી. અમારી સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે આવેલા કરુણાશંકર માસ્તરને સંસ્કૃત, ગુજરાતી, બંગાળી અને ભારતીય સંસ્કૃતિનું કેટલુંક શિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવી. મિસ્ટર સ્ટેન્ડિંગ અને મિસ વિલિયમ્સને બોલાવવામાં આવ્યા જે મોન્ટેસોરી પદ્ધતિ પ્રમાણે ટ્રેઈન થયેલા શિક્ષકો હતાં. જાણીતા લેખક ધૂમકેતુ, એસ.એચ. ગિદવાણી, વેલજીભાઈ દેસાઈ, કલા શિક્ષક પુલિન બિહારી અને છોટુભાઈ ભટ્ટ સહિત સંગીત, શિલ્પકલા જેવા અનેક વિષયો સાથે અમને ઓળખ કરાવવામાં આવી. સિતાર, વીણા, દિલરૂબા, વાયોલિન, પખવાજ અને તબલા જેવાં વાંજિત્રો વસાવવામાં આવ્યાં. યુરોપિયન સંગીતનાં વાદ્યોને પણ અહીં સ્થાન મળ્યું. અમને ગુજરાતી, સંસ્કૃત, બંગાળી, ઈંગ્લિશ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બાયોલોજી, ફિઝિયોલોજી અને ગણિત શીખવવામાં આવતું. સાથે જ ચિત્રકામ, સ્કલ્પચર, હેન્ડીક્રાફ્ટસ, પેપર કટિંગ, મેટલ વર્ક, પોટરી, માટીકામ, વણાટ, કાંતવાનું અને સુથારીકામ જેવા અનેક વિષયો શીખવવામાં આવતા. અમારા ભાઈ-બહેનોની ઉંમર વચ્ચે ખાસો તફાવત હતો. આટલા બધા વિષયો અને આટલા બધા શિક્ષકોમાં સૌથી મજાની વાત એ હતી કે, એક શિક્ષક સાથે એક જ વિદ્યાર્થી હોય. જેને જે ભણવું હોય, જ્યારે ભણવું હોય ત્યારે પોતાનું ટાઈમટેબલ બનાવવાની છૂટ હતી. મારી ૯ વર્ષની ઉંમરથી શરૂ થયેલી એ સ્કૂલ (૧૯૨૧)થી ગિરા ૨૩ વર્ષની થઈ ત્યાં સુધી એટલે કે ૧૯૪૬ સુધી ચાલી.

આ શાળાના પરિણામે અમે સૌ જુદી રીતે ઉછર્યાં. અમારા ઘરમાં સૌને સ્વતંત્ર
વિચારો રાખવાની છૂટ મળતી. સહુ પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે એ માટે વારંવાર ચર્ચાઓ થતી અને એ ચર્ચા દરમિયાન સહુ પોતપોતાની વાત ખુલ્લા દિલે મૂકી શકતા એટલું જ નહીં, પરસ્પર વિરોધ કરવાની પણ અમને છૂટ મળતી. એવા જ એક સમયમાં મારા ફોઈ અને મારા પિતા પણ સામસામે મજૂર મહાજન અને મિલ માલિક તરીકે દલીલો કરતાં. મારા ફોઈ અનસૂયાબેન ઈંગ્લેન્ડથી મેડિકલનું શિક્ષણ પૂરું ન કરી શક્યા કારણ કે, એ વેજિટેરિયન હતા અને પ્રાણીઓના, માણસોના શરીર ચીરવાની સાથેની પ્રક્રિયામાં એમને ખૂબ તકલીફ થતી. ઈંગ્લેન્ડમાં એમની દોસ્તી ડો. જીવરાજ મહેતા સાથે થઈ (જે પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા). એ ઈંગ્લેન્ડથી પાછાં ફર્યાં. કેલિકો મિલના મજૂરોનું જીવન અને એમની તકલીફો જોઈને મારાં ફોઈ અનસૂયાબેને મજૂરો સાથે કામ કરવાનું શરૂ કર્યું. એમના અધિકારો એમને મળે અને એમની સગવડો, સુરક્ષા પૂરી સચવાય એ માટે મજૂર મહાજનની સ્થાપના થઈ. અનસૂયાબેન જીવનભર એના અધ્યક્ષ રહ્યાં, બીજી તરફ મારા પિતા અંબાલાલભાઈ મિલ માલિક. એ પોતાની વાત કરે અને મારાં ફોઈ મજૂરોનો પક્ષ લઈને મારા પિતાની સામે પડે. મજૂરોના અધિકાર માટે હડતાલ કરાવે. મેનેજમેન્ટ સાથે લડે-પરંતુ, ઘરમાં એ વાત કરવાની નહીં. પોતપોતાની માન્યતાને સન્માન, પરંતુ પરિવારનો પ્રેમ અને લાગણી સર્વોચ્ચ. ક્યારેક વિરુદ્ધ માન્યતાઓની દલીલ થાય, પરંતુ દલીલો પૂરી થાય એટલે સૌ સાથે મળીને જમતા અને આનંદથી વાતો કરતાં. વિચાર જુદા હોય એટલે વ્યક્તિ તરીકે એનો વિરોધ ન થઈ શકે, એ વાત હું સાવ નાની હતી ત્યારે મારા પરિવારમાંથી જ શીખી.

૧૯૩૦માં વિદેશી કાપડની હોળી કરતી વખતે મારી મા સરલાદેવી, ખુરશીદબેન અને હું ગિરફ્તાર થયાં. એ અરસામાં બહુ નાની ઉંમરે સાબરમતી, દેલગામ, યરવડા અને રાજકોટ જેવી જેલની મેં મુલાકાત લઈ લીધી હતી. હું એટલી બધી નાની હતી કે મને છોડી મૂકવામાં આવતી. એ ગાળામાં જે નેતાઓ અને સ્વયંસેવકો પકડાતા એ છૂટતા તો ખરા, પરંતુ એમની મિલકતમાંથી અંગ્રેજ સરકાર ભારે દંડ વસૂલ કરતી.

ગાંધીજી માનતા કે, અસહકારના આંદોલનમાં જોડાવા માટે ઉંમરનો કોઈ બાધ ન હોવો જોઈએ. બાળકોથી શરૂ કરીને વૃદ્ધો સુધી સહુ પોતપોતાની રીતે અસહકારના આંદોલનમાં, સ્વરાજ્યની લડતમાં પોતાનો ફાળો આપી જ શકે છે. આ વિચાર સાથે ગાંધીજીએ બાળકોને સ્વરાજની લડત માટે તૈયાર કરવા એક નવી જ શાખા ઊભી કરી જેનું નામ ૩૯;વાનરસેના૩૯; હતું. એમણે મને એ વાનરસેનાની અધ્યક્ષ બનાવી. સત્યાગ્રહ સમાચારની પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડવી, સમાચાર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા, સભાઓ ચાલતી હોય ત્યારે બહાર ચોકીદારી કરવી, પિકેટિંગનું કામ અને સાથે સાથે વિદેશી કાપડના બહિષ્કારની વાત ઘેર ઘેર જઈને કરવાનું અમારું, ૩૯;વાનરસેના૩૯;નું કામ હતું. દારૂના પીઠા, વિદેશી કાપડની દુકાનો અને વિદેશી માલની દુકાનોની બહાર અમે બાળકો ઊભાં રહેતાં. ત્યાં આવનાર શ્રીમંત અને વિદેશી અસર નીચે પોતાની જાતને ગોરા સાહેબો સાથે સરખાવતા અનેક લોકોને અમે વિદેશી માલ નહીં ખરીદવા સમજાવતા, એની સામે દેશમાં ઉત્પાદિત માલ ખરીદીને દેશવાસીઓને મદદ કરવાની વિનંતી કરતાં. વિદેશી માલની ગુણવત્તા વિશે જ્યારે એ લોકો દલીલ કરે ત્યારે અમે એમને સમજાવતા કે, જો દેશનું ઉત્પાદન ખરીદશો તો આપણી ગુણવત્તા પણ એક દિવસ આવી જ થશે… આ બધું કામ કરવું મને બહુ ગમતું, પરંતુ એ સમયમાં હું જે જીવન જીવી રહી હતી એ દેશ કે ગુજરાતની બીજી સ્ત્રીઓનું નસીબ નહોતું, એની પણ મને ખબર હતી. મને મારા પરિવારે જે સ્વતંત્રતા અને સગવડો આપી હતી એને કારણે હું આ બધું કરી શકતી, પરંતુ ગુજરાતમાં મોટાભાગની છોકરીઓનાં લગ્ન ૧૦થી ૧૬ વર્ષની વચ્ચે થઈ જતા.
સંયુક્ત કુટુંબનું રૂઢિચુસ્ત વાતાવરણ, વડીલ શાહી, એકથી વધુ પત્નીઓ કરવાની પરંપરા હતી, સંતાન ન થાય તો પત્નીને કાઢી મૂકવાની પણ સમાજ છૂટ આપતો. ત્યક્તાએ માતા-પિતાના આશરે કે ભાઈના આશરે જીવવું પડતું, જ્યાં એની સ્થિતિ લગભગ ગુલામ જેવી રહેતી. એનાં બાળકોને ક્યારેક શિક્ષણ ન મળે અને નાની ઉંમરે કમાવા માટે પરિવારના જ કોઈ સભ્યની દુકાને ગુમાસ્તાગીરી કે બીજા કામમાં લાગી જવું પડતું. વિધવા સ્ત્રીની સ્થિતિ તો વળી ઓર દુ:ખી હતી. એને ફરજિયાત વૈધવ્ય પાળવું પડતું એટલું જ નહીં, પારિવારિક સંપત્તિમાંથી એના સંતાનને ભાગ્યે જ હિસ્સો મળતો. અમુક જ જ્ઞાતિમાં અને ગોરમાં લગ્નો થાય એટલે વરનો પરિવાર ગેરવાજબી માગણીઓ કરતો જેને ક્ધયા પક્ષવાળાએ ન છૂટકે સ્વીકારવી પડતી. આ બધું હું નજરે જોઈ રહી હતી. જ્યાં સુધી મારા પરિવાર સાથે રહેતી હતી અને ઘરની બહાર નહોતી નીકળી ત્યાં સુધી આ બધી વાતો વિશે મને કોઈ જાણ નહોતી. મારા ઘરમાં આનંદથી જીવતી અને હું એમ જ માનતી કે બધી સ્ત્રીઓ-છોકરીઓ આવું જ જીવન જીવે છે!
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે