લાડકી

ભારતીય સિનેમાની પ્રથમ હાસ્ય અભિનેત્રી: ટુનટુન

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ટુનટુન…. નામ સાંભળતાં જ ગોળમટોળ કોઠી જેવી કાયા, એવું જ ગોળમટોળ મોઢું અને હસતો,મુસ્કુરાતો ચહેરો નજર સામે ઊપસી આવે. આંખોમાં ભોળપણ અને સૂરત માસૂમ. ટુનટુનનું સ્મરણ થતાં જ હસવું આવે. અંદાજે બસ્સો જેટલી ફિલ્મોમાં હાસ્ય કલાકાર તરીકે સહુને હસાવનાર ટુનટુન ભારતીય સિનેમાની પહેલી હાસ્ય અભિનેત્રી હતી!

‘કોમેડી ક્વિન’ તરીકે જાણીતી ટુનટુનનો ચહેરો પણ હસમુખ હતો, પરંતુ એની પોતાની જીવનકથા અત્યંત કરુણ છે. ૧૧ જુલાઈ ૧૯૨૩ના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના અલીપુરમાં એક પંજાબી પરિવારમાં એનો જન્મ. માતા-પિતાએ દીકરીનું નામ ઉમાદેવી રાખ્યું, પણ આ બે-ચાર શબ્દની માહિતી સિવાય માતા-પિતાનું કોઈ સ્મરણ ટુનટુનને નહોતું. એનું કારણ એ કે જમીન હડપી જવા માટે ટુનટુનના સંબંધીઓએ જ એનાં માતા-પિતાની હત્યા કરી દીધેલી. એક ઇન્ટરવ્યુમાં ટુનટુને કહેલું, ‘હું માત્ર અઢી વર્ષની હતી ત્યારે એમની હત્યા કરી નાખવા આવી હતી. મારો આઠ-નવ વર્ષનો એક ભાઈ હતો. એનું નામ હરિ, પણ એક દિવસ મારા ભાઈની પણ હત્યા થઈ ત્યારે હું ચાર-પાંચ વર્ષની હોઈશ.’

નમાયી અને નબાપી ઉમાદેવીને કાકાએ પાંખમાં લીધી. જો કે કાકાએ પોતાને ઘેર એક ખૂણામાં ઉમાદેવીને પડી રહેવા જગ્યા આપી એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. ઉમાની હાલત એક નોકરાણી જેવી હતી કાકાના ઘરમાં. બે ટંક ખાવા માટે અને બે જોડી કપડાં માટે ઉમા ગદ્ધાવૈતરું કરતી. કોઈ સંબંધી કે ઓળખીતાને ઘેર લગ્નપ્રસંગ હોય ત્યારે કામ કરવા માટે ઉમાને મોકલવામાં આવતી.

ઉમાદેવીનું જીવન આ જ રીતે પસાર થઈ રહેલું. માતા-પિતા અને પોતાનું કહી શકાય એવું કોઈ ન હોવાથી એને ભણાવવામાં કોઈએ રસ ન લીધો, પણ રેડિયો પરથી પ્રસારિત થતાં ગીત એ તન્મયતાથી સાંભળતી. ગીતો સાંભળતી વખતે મનની પીડા થોડીક વાર માટે એ ભૂલી જતી. ગીતો સાંભળી સાંભળીને ઉમાદેવીને પણ ગાવાનો શોખ જાગ્યો. એ ગીત સાંભળીને એ જ રીતે ગાવાનો પ્રયાસ કરતી. જો કે પોતાને ગાતી કોઈ સાંભળી ન જાય એની તકેદારી ખાસ રાખતી, કારણ કે કોઈ સાંભળી જતું તો ઉમાને માર પડતો. આમ છતાં બધાથી છુપાઈને ઉમાએ ગાવાનો મહાવરો કર્યે રાખ્યો. આમેય નરક જેવી જિંદગીમાં ટકી રહેવાનો એક માત્ર સહારો ગીત જ હતું. ઉમાદેવી વિષપાન કરીને અમૃત જેવું વિચારતી કે, હું પણ એક દિવસ ગાયિકા બનીશ !

સપનાને કોઈ સાંકળમાં બાંધી શકે એમ નહોતું. સ્વપ્નને સથવારે દિવસો ખેંચી કાઢતી. ઉમાદેવીએ ઘરેલુ કામ કરવા માટે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં રહેતા એક સંબંધીને ઘેર અવારનવાર જવાનું થતું. ત્યાં એની મુલાકાત એક વાર અખ્તર અબ્બાસ કાઝી સાથે થઈ.

અખ્તર અબ્બાસ દિલ્હીના જકાત વિભાગમાં નિરીક્ષક હતા. કાઝીએ ઉમાદેવીને આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. કેટલીક મુલાકાતોમાં બન્ને એકમેકને પસંદ કરવા લાગ્યા.

પણ હૈયાની વાત હોઠે આવે એ પહેલાં જ બન્નેએ છૂટાં પડવાના સંજોગોનું સર્જાયા. ભારત પાકિસ્તાનના ભાગલા થતાં પહેલાં કાઝી લાહોર ચાલ્યા ગયા.

    ગાયિકા બનવાનું સ્વપ્ન પૂરું કરવા ઉમાદેવીએ મુંબઈ જવાનું વિચાર્યું. એની  એક સખીની મુંબઈમાં ફિલ્મઉદ્યોગ સાથે જોડાયેલાં કેટલાક લોકો સાથે ઓળખાણ હતી. એક વાર એ ગામ આવી. એણે ફિલ્મ દિગ્દર્શક નીતિન બોઝના સહાયક જવ્વાદ હુસૈનનું સરનામું ઉમાદેવીને આપ્યું. ઉમાદેવીએ સાહસના મહાસાગરમાં ઝંપલાવ્યું. ગામ-ઘર છોડીને ભાગી. વર્ષ ૧૯૪૬ અને ઉમાદેવીની ઉંમર હતી ૨૩ વર્ષ!

આપેલા સરનામાને સહારે ઉમાદેવી મુંબઈ જવ્વાદ હુસૈનને ઘેર પહોંચી. જવ્વાદ હુસૈને એને પોતાને ઘેર આશરો આપ્યો. ધીમે ધીમે એ મુંબઈમાં ગોઠવાતી ગઈ. એ દરમિયાન એનો પરિચય અભિનેતા- દિગ્દર્શક અરુણ આહુજા તથા એની ગાયિકા પત્ની નિર્મલાદેવી સાથે થયો.

      આહુજાદંપતી એટલે મશહૂર ફિલ્મસ્ટાર ગોવિંદાના માતા-પિતા. એમણે ઉમાદેવીની ઓળખાણ કેટલાયે નિર્માતા અને દિગ્દર્શકો સાથે કરાવી.  એ વખતે  ઉમાદેવીને ખબર પડી કે ફિલ્મ દિગ્દર્શક અબ્દુલ રશીદ કરદાર ‘દર્દ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ઉમાદેવી કરદારના સ્ટુડિયો પહોંચી ગઈ. સીધું જ પૂછી લીધું:
      ‘કરદારસાહેબ ક્યાં મળશે ? મારે એમની ફિલ્મમાં ગાવું છે...’
      સામે ઊભેલી વ્યક્તિ ખુદ કરદાર જ હતા. એમને ઉમાદેવીનો પ્રશ્ર્ન પૂછવાનો અંદાજ ગમી ગયો. એમણે સંગીતકાર નૌશાદના સહાયક ગુલામ મોહમ્મદને બોલાવીને ઉમાદેવીનો ટેસ્ટ લેવા કહ્યું. એ ટેસ્ટમાં ઉમાદેવીએ ‘ઝીનત’ ફિલ્મમાં નૂરજહાંએ ગાયેલું આંધિયાં ગમ કી યૂં ચલી... ’ ગીત ગાયું. ઉમાદેવીએ ગાયનનું પ્રશિક્ષણ લીધું નહોતું, છતાં એનો સૂરીલો કંઠ સહુને ગમી ગયો. એને મહિને પાંચસો રૂપિયાના પગારે નોકરીએ રાખી લેવામાં આવી.

એક દિવસ ઉમાદેવીની મુલાકાત નૌશાદ સાથે થઈ. એણે બેધડકપણે કહ્યું કે: નૌશાદસાહેબ, તમે મને તમારી ફિલ્મમાં ગાવાનો મોકો  આપો, નહીંતર  હું તમારા ઘરની સામેના સમુદ્રમાં ડૂબીને જીવ આપી દઈશ... !’ 

 નૌશાદે ‘દર્દ’ ફિલ્મમાં ઉમાદેવી પાસે ‘અફસાના લિખ રહી હૂં દિલે બેકરાર કા...’ ગીત ગવડાવ્યું. ૧૯૪૭માં ‘દર્દ’ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે આ ગીતે ધૂમ મચાવી. ઉમાદેવી રાતોરાત મશહૂર ગાયિકા બની ગઈ.

આ ગીત સાથે ઇંતઝારની ઘડીઓ પણ પૂરી થઈ. ઉમાદેવીનો ખોવાયેલો પ્રેમ પાછો મળ્યો. બન્યું એવું કે ગીત સાંભળીને અખ્તર અબ્બાસ કાઝી પાકિસ્તાનથી ભારત પાછા ફર્યા. ઉમાદેવી અને કાઝી લગ્નગ્રંથિથી જોડાયાં. ગીત ગાવાનું ચાલતું રહ્યું.

 ઉમાદેવીએ ‘નાટક’ ફિલ્મમાં ‘દિલવાલે જલકર મર હી જાના...’, ‘અનોખી અદા’માં ‘કાહે જિયા ડોલે હો કહા નહીં જાયે...’ અને ‘દિલકો લગા કે હમને કુછ ભિ ન પાયા...’ તથા ‘ચાંદની રાત’માં ચાંદની રાત હૈ, હાય ક્યાં બાત હૈ...’ સહિત ૪૫ જેટલાં ગીત ગાયાં.

દરમિયાન લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી વિધિવત સંગીત શિક્ષણ મેળવનાર ગાયિકાઓએ ફિલ્મી દુનિયામાં આગમન કર્યું. પરિણામે ઉમાદેવીનું ગાવાનું કામ મળવાનું ઓછું થતાં થતાં બંધ થઈ ગયું, પણ પરિવારમાં ઉમાદેવી અને એનાં ચાર બાળકો સહિત પાંચના પેટનો ખાડો પૂરવાનો હતો. કમાનાર એક જ હતા કાઝી. એટલે ઉમાદેવીએ ફરી કામ કરવાનો નિર્ણય કર્યો. એ નૌશાદ પાસે ગઈ. ત્યાં સુધીમાં લતા – આશા સંગીતના શિખરે જઈ પહોંચેલી એટલે નૌશાદે એક સોનેરી સલાહ ઉમાદેવીને આપી: ‘તું અભિનયમાં હાથ કેમ અજમાવતી નથી?’

   ઉમાદેવીએ અભિનય કરવાનું વિચાર્યું નહોતું, પણ પરિવારને ખાતર કાંઈક તો કરવું જ પડે એમ હતું. એ બેફિકરાઈથી બોલી: 
   ‘હું અભિનય કરીશ, પણ માત્ર દિલીપકુમાર સાથે...! ’  એ સમયે દિલીપકુમાર સુપરસ્ટાર હતા. એથી ઉમાદેવીની વાત સાંભળીને નૌશાદ હસી પડ્યા,  પણ યોગાનુયોગ એવો થયો કે ઉમાદેવીને ૧૯૫૦માં પહેલી ફિલ્મ દિલીપકુમાર સાથે જ મળી. ફિલ્મનું નામ ‘બાબુલ’, નાયક દિલીપકુમાર અને નાયિકા નરગીસ.... 

આ ગાળા સુધીમાં ઉમાદેવીનું વજન ખાસ્સું વધી ગયેલું. ફિલ્મમાં એનું પાત્ર પણ હાસ્યપ્રધાન હતું. ફિલ્મના એક દ્રશ્યમાં દિલીપકુમાર સાથે ઉમાદેવી અથડાય છે અને બંને પલંગ પર પડે છે ત્યારે દિલીપકુમાર બોલી ઊઠે છે:
‘કોઈ ઉઠાઓ ઈસ ટુનટુન કો..! ’ બસ, ત્યારથી ઉમાદેવી ‘ટુનટુન’ તરીકે જાણીતી થઈ ગઈ. ભારતીય સિનેમાની પહેલી હાસ્ય કલાકાર તરીકેની ઓળખ એણે મેળવી.
અંદાજે બસ્સો ફિલ્મમાં કામ કર્યા પછી ૨૪ નવેમ્બર ૨૦૦૩ના એનું નિધન થયું…
ખુદનું જીવન કરુણરસથી ભરપૂર હતું, છતાં લાખ્ખો દર્શકોને હોઠે હાસ્ય રમતું મૂક્યું એ ટુનટુનની સિદ્ધિ જ ગણાશે !


આશરે ૯૭૧ શબ્દ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો