સ્પોટર્સમેનઃ સોબર્સના શિષ્ય દિલીપ દોશીનો સ્પિન-જાદુ ક્યારેય નહીં વિસરાય

-અજય મોતીવાલા
148 વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટના સૌપ્રથમ સ્થળ મેલબર્નમાં ઑસ્ટ્રેલિયનોને 1981માં ભારે પડેલા દિલીપભાઈએ પ્રથમ કક્ષાની મૅચોમાં 898 વિકેટ લીધી હતી કોઈના પણ વ્યક્તિત્વના વિકાસમાં મૂલ્યોનું ખૂબ મહત્ત્વ હોય છે. માત્ર પર્સનાલિટી ડેવલપ કરવામાં જ નહીં, આત્મવિશ્ર્વાસ વધારવામાં પણ મૂલ્યો ઘણા અગત્યના છે. મૂલ્યો એટલે કારકિર્દી ઘડવા માટે આવશ્યક શિસ્તબદ્ધતા. ખેલાડીમાં જો એ પૂરતા હોય તો તે ટૅલન્ટ, ક્ષમતા અને કાબેલિયતને આધારે તે સ્ટાર બની શકે છે અને તેના ગુણો જો લાખો-કરોડો લોકોને સ્પર્શી ગયા હોય તો તે લેજન્ડ બની જાય છે.
લેફ્ટ-આર્મ સ્પિનર દિલીપ દોશીનો ચાર વર્ષની ટૂંકી કરીઅરમાં પર્ફોર્મન્સ એકંદરે સુપર-ડુપર તો નહોતો, પરંતુ ભારતે ક્રિકેટ જગતને આપેલા ટોચના સ્પિનર્સમાં તેમનું નામ અચૂક લેવામાં આવે છે. વિશ્ર્વના સર્વોત્તમ ઑલરાઉન્ડર તરીકે ઓળખાતા વેસ્ટ ઇન્ડિઝના સર ગૅરી સોબર્સના આશીર્વાદ જેમને મળે એ ખેલાડી ખ્યાતિ અચૂક મેળવે જ અને દિલીપ દોશી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
દિલીપ દોશીનું સોમવારે લંડનમાં હૃદયની બીમારીને કારણે 77 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ 1983માં કરીઅર પર પડદો પડ્યો ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા હતા. તેમનો પુત્ર નયન દોશી પણ પિતાની જેમ લેફ્ટ-આર્મ સ્પિનર હતો અને તે 2001થી 2013 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી પ્રથમ કક્ષાની મૅચો તેમ જ આઇપીએલમાં બે ટીમ વતી (બેંગલૂરુ અને રાજસ્થાન) વતી રમી ચૂક્યો છે.
આ પણ વાંચો: સ્પોટર્સ મેન: આઇપીએલ ડૉટબૉલકૉમ: ક્રિકેટ પણ પર્યાવરણની સેવામાં
દિલીપ રસિકલાલ દોશીનો જન્મ રાજકોટમાં થયો હતો. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં વર્ષો સુધી સ્પિનનો જાદુ ફેલાવ્યા બાદ છેવટે 1980ના દાયકાના અંત ભાગમાં તેમને પહેલી વાર ભારત વતી રમવા મળ્યું હતું. તેઓ શ્રીનિવાસ વેન્કટરાઘવન, રવિ શાસ્ત્રી, શિવલાલ યાદવના યુગમાં થઈ ગયા હોવાને કારણે તેમને ભારત વતી ફક્ત ચાર વર્ષમાં 33 ટેસ્ટ અને 15 વન-ડે રમવા મળી હતી.
જેમ વર્ષોથી દેશના સ્પિન જાદુગરો વચ્ચે કુલદીપ યાદવને ઓછું રમવા મળ્યું એવું કહેવાતું હોય છે એમ દિલીપ દોશીને 1979થી 1983 દરમ્યાન રમવાનો બહુ ઓછો મોકો મળ્યો હતો. એક તો ટીમ ઇન્ડિયામાં તેમનો ચાન્સ છેક 32 વર્ષની ઉંમરે લાગ્યો હતો અને એમાં પણ તેમના અરસામાં અનેક ટેસ્ટ મૅચો વિદેશી પિચો પર રમાઈ હોવાથી તેમને બહુ ઓછું રમવા મળ્યું હતું.
જોકે પહેલી ટેસ્ટ ઇનિંગ્સમાં 103 રનમાં છ વિકેટ લેવાથી માંડીને 1982માં (કરીઅરના અંતના આગલા વર્ષે) લાહોરમાં પાકિસ્તાન સામેના પાંચ વિકેટના પર્ફોર્મન્સ સુધીમાં દિલીપભાઈએ ભારતને કેટલીક મૅચો જિતાડી હતી. એમાં પણ ટેસ્ટ-ક્રિકેટના 1877ની સાલની સૌપ્રથમ મૅચના સ્થળ મેલબર્નમાં દિલીપભાઈને એક જ ટેસ્ટ રમવા મળી હતી અને એમાં તેમણે યાદગાર પર્ફોર્મ કરીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.
આ પણ વાંચો: અજિંક્ય રહાણેને 2,000 Sq.Ft.ની જમીન!…જાણો શું નિર્ણય લીધા સરકારે
આ મૅચ વિશેની રસપ્રદ વિગતો જાણતાં પહેલાં આપણે દિલીપભાઈ અને ગૅરી સોબર્સ વચ્ચેની વાતચીત વિશે થોડું જાણી લઈએ. ઉલ્લેખનીય છે કે ગૅરી સોબર્સ 1953થી 1974 વચ્ચેની 21 વર્ષની ફર્સ્ટ-ક્લાસ કરીઅર દરમ્યાન નૉટિંગહૅમશર કાઉન્ટી ક્લબની ટીમ વતી રમ્યા હતા અને દિલીપ દોશીને પણ એ જ ટીમ વતી રમવાનો અવસર મળ્યો હતો. ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં દિલીપભાઈએ 238 મૅચમાં કુલ 58,712 બૉલ ફેંકીને 23,874 રનના ખર્ચે 898 વિકેટ લીધી હતી. તેઓ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં સૌરાષ્ટ્ર ઉપરાંત બંગાળ તેમ જ ત્રણ કાઉન્ટી ટીમ વતી રમ્યા હતા.
ખુદ દિલીપભાઈએ થોડા વર્ષો પહેલાં એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું કાઉન્ટી ક્રિકેટમાં નૉટિંગહૅમશર વતી રમ્યો હતો. એ ક્લબે સર ગૅરી સોબર્સને મારી બોલિંગ જોઈને કોઈ સૂચન હોય તો કહેવાની વિનંતી કરી હતી. તેઓ જે મૅચ જોવા આવ્યા હતા એમાં મેં સાત વિકેટ લીધી હતી. મૅચ પછી હું ગ્રાઉન્ડની બહાર પાર્કિંગ સ્લૉટમાં આવ્યો ત્યારે સિલ્વર કલરની જૅગ્વારની બાજુમાં સોબર્સ ઊભેલા મેં જોયા.
તેમણે કાળા સનગ્લાસ પહેર્યા હતા અને મને આવતો જોઈ રહ્યા હતા. તેઓ મારી નજીક આવ્યા, મારી સાથે હાથ મિલાવ્યા અને બોલ્યા, ‘વાહ બેટા, તેં ખૂબ સારું પર્ફોર્મ કર્યું. તારી બોલિંગ ઉમદા છે. સોબર્સના મોઢે આ પ્રશંસા સાંભળીને મને ખૂબ રાહત થઈ હતી અને મારો આત્મવિશ્ર્વાસ અનેકગણો વધી ગયો હતો. મારું હૃદય ઉત્સાહથી છલકાતું હતું. વિનમ્ર સ્વભાવના સોબર્સ ક્રિકેટ જગતને ઈશ્ર્વર પાસેથી મળેલી બહુ મોટી ભેટ સમાન હતા.’
આ પણ વાંચો: અશ્વિનનું એરાપલ્લી પ્રસન્ના જેવું જ થયું?
સોબર્સના આશીર્વાદ દિલીપભાઈને પ્રથમ કક્ષાની તેમ જ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ખૂબ મદદરૂપ થયા હતા. ખાસ કરીને 1981ની મેલબર્ન ટેસ્ટની વાત કરીએ તો એના પ્રથમ દાવમાં ગુંડપ્પા વિશ્વનાથના 114 રન છતાં ભારતીય ટીમ કુલ 237 રનનો સાધારણ સ્કોર નોંધાવી શકી હતી. ડેનિસ લિલી, લેન પાસ્કૉ અને બ્રુસ યાર્ડલીએ ભારતીય ટીમને કાબૂમાં રાખી હતી.
જોકે દિલીપભાઈએ ડગ વૉલ્ટર્સ (78 રન), વિકેટકીપર રૉડની માર્શ (45 રન) અને બ્રુસ યાર્ડલી (0)ની મહત્ત્વની વિકેટો લઈને ભારતીય ટીમને વધુ નુકસાન થતું રોક્યું હતું. બીજા દાવમાં સુનીલ ગાવસકર અને ચેતન ચૌહાણ વચ્ચેની 165 રનની ભાગીદારીની મદદથી ભારતે 324 રન બનાવીને યજમાન ટીમને 143 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
એ ટાર્ગેટ મહાન ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે ખૂબ નાનો હતો, પરંતુ કપિલ દેવની પાંચ વિકેટ તેમ જ કરસન ઘાવરીની બે વિકેટ ઉપરાંત દિલીપ દોશીએ પણ ગ્રેમ વૂડ (10 રન) અને કિમ હ્યુઝ (16 રન)ની અગત્યની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને ગ્રેગ ચૅપલની ટીમ માત્ર 83 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતનો 59 રનથી અકલ્પનીય વિજય થયો હતો. ખુદ ગ્રેગ ચૅપલ ત્યારે દિલીપભાઈની ટૅલન્ટથી ખૂબ પ્રભાવિત થયા હતા.
હરીફોના મેદાન પર તેમ જ ઘરઆંગણે જ્યાં સ્પિનરોને ઓછો લાભ મળ્યો હોય એવી પિચો પર સિલસિલાબંધ મેઇડન ઓવર કરવા માટે જાણીતા દિલીપ દોશી ચતુર અને ધીરજપૂર્વક હરીફો પર હાવિ થવા માટે જાણીતા હતા. માર્ચ, 1981માં ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ સામે (69-34-79-2), જાન્યુઆરી, 1982માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે (57-31-69-4), જૂન, 1982માં મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે (47-17-102-6) અને માર્ચ, 1981માં ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂ ઝીલૅન્ડ સામે (49-23-67-1) તેમના મેઇડન ઓવર્સના જાદુવાળી ઓવરના કેટલાંક ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.