લાડકી

પ્રથમ મહિલા શરણાઈવાદક બાગેશ્ર્વરી કમર

એવી માન્યતા છે કે શરણાઈ વગાડવાની શારીરિક ક્ષમતા અને શક્તિ સ્ત્રીમાં હોતી નથી, પણ હવે તો આ નારીએ સાબિત કરી દીધું છે સ્ત્રીઓ પૂરી નિપુણતા સાથે શરણાઈ વગાડી શકે છે..!

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળું વાગે… શરણાઈની ગુંજ તો તમે સાંભળી જ હશે. એની વિશિષ્ટતા એ છે કે
શરણાઈ માત્ર પુરુષોનું વાદ્ય ગણાય છે. શરણાઈ વાદનમાં ફેફસાંની તાકાતની જરૂર પડે છે. એથી સ્ત્રીઓ માટે શરણાઈ વગાડવી મુશ્કેલ ગણાય છે. પરંપરાગત રીતે પુરુષો જ શરણાઈ વગાડતા જોવા મળે છે, પરંતુ એક નારી નામે – બાગેશ્ર્વરી કમરે આ પરંપરામાં પરિવર્તન આણ્યું. પિતા જગદીશપ્રસાદને પગલે ચાલીને બાગેશ્ર્વરીએ શરણાઈ વાદનમાં મહારથ હાંસલ કર્યું. એટલું જ નહીં, એ ભારતની પહેલી મહિલા શરણાઈવાદક પણ બની. પરિણામે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની શિષ્યા બાગેશ્ર્વરીને ચંડીગઢમાં ‘શરણાઈની રાણી’-શહનાઈ ક્વીનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

આ બાગેશ્ર્વરીને ગળથૂથીમાં જ સંગીતનો વારસો મળેલો. ત્રણ ત્રણ પેઢીથી એના પરિવારને સંગીતની સોગાદ મળેલી. એક એવો સમય હતો જયારે પુરાણી દિલ્હીના સદર બજાર વિસ્તારમાં ઇદગાહ માર્ગ પર ચંદ્ર કુટિરની આસપાસ સઘળે ઠેકાણે શરણાઈની ગુંજથી જ લોકોના દિવસની શરૂઆત થતી. આ મધુર ગુંજન ‘મંગળ ધ્વનિ’ તરીકે ઓળખાતો. દાદા દીપચંદ શરણાઈવાદક હતા. કાકા પણ શરણાઈ વગાડતા. પિતા જગદીશપ્રસાદ દિલ્હી ઘરાનાના ઉત્તમ શરણાઈવાદક હતા. જગદીશપ્રસાદ ૧૯૪૬માં માત્ર દસ વર્ષની ઉંમરે પારંપારિક ગુરુકુળ પરંપરા અનુસાર ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાથે જોડાયેલા. એ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પ્રિય શિષ્ય હતા. એમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળેલો. જગદીશપ્રસાદ શાયર પણ હતા, એથી એમણે ‘કમર’ એવું તખલ્લુસ પોતાના નામ સાથે જોડેલું. એ રીતે બાગેશ્ર્વરીના નામ સાથે પણ ‘કમર’ જોડાઈ ગયું.

બાગેશ્ર્વરી બાળપણથી જ મંત્રમુગ્ધ થઈ પિતાને શરણાઈ વગાડતાં જોતી. પોતે પણ આ વાદ્ય શીખશે એવું વિચારતી. બાગેશ્ર્વરી માત્ર છ્-સાત વર્ષની હતી, ત્યારે માતા ચંદ્રાવતીને કહેતી કે મારા માટે પણ શરણાઈ બનાવી દે. હું પણ શરણાઈ વગાડીશ. આખરે બાળહઠ પાસે નમતું જોખીને ચંદ્રાવતીએ દીકરીને શરણાઈ બનાવી આપી, પણ પિતા જગદીશપ્રસાદે બાગેશ્ર્વરીને શરણાઈ વગાડવાની બંધી ફરમાવી દીધી. સમજાવટના સ્વરે કહ્યું કે, શરણાઈ મહિલાઓનું સાજ નથી. આ વાદ્ય માત્ર પુરુષો જ વગાડી શકે છે, કારણ કે એને વગાડવામાં ખૂબ મહેનત અને તાકાતની જરૂર પડે છે.’ પિતાની વાત સાંભળીને બાગેશ્ર્વરીએ પડકાર ઝીલી લીધો. માતાની જાણમાં અને પિતાથી છુપાઈને એણે શરણાઈ વગાડવાનું જારી રાખ્યું.

લગભગ બે-ત્રણ વર્ષ સુધી જગદીશપ્રસાદને બાગેશ્ર્વરીના શરણાઈવાદન વિશે ખબર ન પડી. પણ પછી એક દિવસ અચાનક એ ઘેર આવ્યા ત્યારે શરણાઈની ગૂંજ સાંભળી. એમણે ચંદ્રાવતીને પૂછ્યું : ‘શરણાઈ કોણ વગાડે છે ?’ ચંદ્રાવતીએ ડરતાં ડરતાં કહ્યું : ‘એ તો આપણી બબ્બૂ છે…! ’

બાગેશ્ર્વરીનું લાડકું નામ બબ્બૂ હતું. જગદીશપ્રસાદને ખબર પડી કે, બાગેશ્ર્વરી શરણાઈ વગાડવાનો રિયાઝ કરી રહી છે ત્યારે પિતા આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયા, કારણ કે યોગ્ય તાલીમ લીધા વિના પણ બાગેશ્ર્વરીના સૂર અને તાલ એકદમ સ્પષ્ટ હતા. એથી જગદીશ પ્રસાદે કહ્યું કે, ‘આમ તો હું તારા શરણાઈ વાદનના પક્ષે નથી. છતાં વગાડવી જ હોય તો વિધિસર વગાડ.’

આમ પિતા પાસેથી શરણાઈવાદનની પરવાનગી મળી ગઈ. દરમિયાન, ૧૯૭૯માં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન દિલ્હી આવ્યા. ત્યારે જગદીશપ્રસાદે બાગેશ્ર્વરીના શરણાઈ વાદનની વાત કરી. ઉસ્તાદને પણ અચરજ થયું. એમણે બાગેશ્ર્વરીને શરણાઈવાદનના આશીર્વાદ આપ્યા. આમ બાગેશ્ર્વરીની વિધિવત તાલીમનો આરંભ થયો. આરંભે જગદીશપ્રસાદે જ દીકરીને શરણાઈવાદનનું શિક્ષણ-તાલીમ આપ્યાં . એમણે દીકરીને પાનો ચડાવતા કહ્યું કે, ‘લખનારા અને વાંચનારા તો ઘણા હશે, પણ શરણાઈ વગાડનારી એક જ છોકરી હશે. એ છોકરી એટલે તું- બાગેશ્ર્વરી…! ’ આમ પિતાના પ્રોત્સાહનથી બાગેશ્ર્વરીનું પ્રશિક્ષણ ચાલ્યું. બારમા ધોરણ સુધી ભણીને બાગેશ્ર્વરીએ ભણતર છોડી દીધું અને શરણાઈને સમર્પિત થઈ ગઈ.

કેટલાક સમય સુધી ઘેર પિતા પાસે બાગેશ્ર્વરીએ પ્રશિક્ષણ લીધું. એ પછી જગદીશપ્રસાદે દીકરીને આગળની તાલીમ માટે બનારસ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પાસે મોકલી. બે-ત્રણ કલાકનો રિયાઝ તો સામાન્ય ગણાય. જો કે રિયાઝ દરમિયાન ગાવા-વગાડવા સિવાયની કોઈ વાત નહીં. ખાન સાહેબે બાગેશ્ર્વરીને હંમેશાં પ્રોત્સાહિત કરી. એમણે શરણાઈ વાદનમાં છોકરાઓ સાથે બાગેશ્ર્વરીની જુગલબંદી પણ કરાવી. બાગેશ્ર્વરીનું શિક્ષણ પૂરું થયું ત્યારે ઉસ્તાદે એની હાથની બાજુ પર ગંડા તરીકે ઓળખાતો એક દોરો બાંધ્યો. એનો અર્થ એમ થાય કે એનું શિક્ષણ હવે સમાપ્ત થયું.

પારસમણિના સ્પર્શથી થતા પ્રભાવની જેમ બાગેશ્ર્વરી શરણાઈવાદનમાં સુવર્ણ બનીને ઝળહળી. એ પછી બાગેશ્ર્વરી એક પછી એક સોપાન સર કરવા લાગી. એને પહેલો જાહેર કાર્યક્રમ કરવાની તક મળી. બાગેશ્ર્વરીના શબ્દોમાં કહીએ :

૨૭ ફેબ્રુઆરી ૧૯૮૩નો દિવસ મને યાદ છે. દિલ્હીના કામાણી ઓડિટોરિયમમાં મારો પહેલો સાર્વજનિક કાર્યક્રમ હતો. હું ત્યારે સત્તર વર્ષની. હું ‘ઓલ વુમન મ્યુઝિક ફેસ્ટિવલ’માં સહભાગી થઈ હતી. એ સમયનાં પ્રખ્યાત કલાકાર શન્નો ખુરાનાએ મહિલાઓ માટે વિશેષ આયોજન કરેલું.

જો કે મારું આ પહેલું જાહેર શરણાઈવાદન જોવા મારા પિતા આવ્યા નહોતા. મારા મનમાં ડર હતો કે હું પ્રેક્ષકો સામે શરણાઈ વગાડી શકીશ કે નહીં, પણ બધું સરસ ગોઠવાઈ ગયું. મેં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના ‘મિયા કી ટોડી’ રાગ વગાડ્યો. આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયું. એક મહિલાને શરણાઈ વાદન કરતી જોઈને લોકોને વિસ્મય થયું. ત્યારથી મારી શરણાઈવાદનની પરંપરા શરૂ થઈ તે વણથંભી ચાલતી રહી.’

   બાગેશ્ર્વરીએ દેશ ઉપરાંત વિદેશમાં પણ અનેક જાહેર કાર્યક્રમો કર્યાં. ૧૯૮૮માં રશિયામાં બાગેશ્ર્વરીએ ભારત મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું. છ કલાકારના વૃંદમાં બાગેશ્ર્વરી એક માત્ર મહિલા હતી. રશિયાએ પણ પહેલી વાર કોઈ મહિલાને શરણાઈવાદન કરતાં જોયેલી. એ પછી ૧૯૯૬માં દુબઈમાં પણ આ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો. એક વાર ચંડીગઢના  કાર્યક્રમમાં શરણાઈ વગાડવાની હતી. એ પ્રસંગનું સ્મરણ કરતાં બાગેશ્ર્વરીએ કહે છે : ‘એક પ્રોફેસર પણ એ કાર્યક્રમ જોવા આવેલા. એમણે મને જોઈને એવી ટિપ્પણી કરી કે, આવી  દૂબળી-પાતળી છોકરી શરણાઈ નહીં વગાડી શકે,  પણ એમણે મને શરણાઈવાદન કરતાં જોઈ તો ખુશીથી ઝૂમી ઊઠ્યા. ચંડીગઢના એ કાર્યક્રમ પછી હું શહનાઈ ક્વીન- ‘શરણાઈની રાણી’ તરીકે પ્રખ્યાત થઈ ગઈ.’

   શરણાઈની આ રાણીએ ૧૯૮૫માં નરેશકુમાર સાથે લગ્ન કર્યાં. બાગેશ્ર્વરીની બે દીકરી છે. બન્નેનું નામ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને રાખ્યું : કુકુબ બિલાવલી અને ગમક. કુકુબ અને બિલાવલી, એ બન્ને રાગ છે. માતા અને દીકરીઓ-ત્રણેય સૂરીલાં. 

   બાગેશ્ર્વરી કહે છે, સામાન્યપણે એવી માન્યતા છે કે ‘સ્ત્રીમાં શરણાઈ વગાડવાની શારીરિક ક્ષમતા અને શક્તિ હોતી નથી, પણ હવે તો એવું સાબિત થઈ ચૂક્યું છે કે સ્ત્રીઓ શરણાઈ  વગાડી શકે છે. અને એ પુરવાર કરનાર  હું છું !’

   બાગેશ્ર્વરીએ મહિલા શરણાઈ વગાડી શકે છે એવું પુરવાર તો કર્યું છે, પણ એ દરેક ઠેકાણે શરણાઈ વાદન માટે જતી નથી. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને શીખવ્યું છે કે, સંગીત સાથે જોડાવાનો અર્થ ઈશ્ર્વરનો સાક્ષાત્કાર કરવાનો છે. સંગીત એ ઈશ્ર્વરની ભક્તિ છે. એથી જ લગ્ન સમારંભોમાં બાગેશ્ર્વરી શરણાઈ વગાડવાનું ટાળે છે. એ કહે છે, ‘હું પૈસા માટે શરણાઈવાદન કરતી નથી. કળા માટે અને સાધના માટે  જ મારી શરણાઈ છે !’
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…