ઈન્ટરવલ

ઉપવન: ભારતીય પરંપરાગત જ્ઞાનની વિશિષ્ટ ઓળખ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

પૌરાણિક યુગમાં રાજાની તથા ઋષિમુનિની કથાઓમાં પ્રફુલ્લિત વાતાવરણ દર્શાવવા બાગ-બગીચાઓનો ઉલ્લેખ મળે છે. એનો અર્થ એ થયો કે ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા તથા જ્ઞાન હજારો વર્ષ પુરાણાં છે. કામદેવની કથાઓમાં ગાઢ વનરાજી, સુગંધિત હવા અને સ્વચ્છ વાતાવરણનાં વર્ણન આલેખાયેલા છે. પૌરાણિક સાહિત્યમાં બાગ-બગીચામાં વૃક્ષ-ફૂલ-લતાઓ અને નાનાં તળાવોનાં વર્ણન છે. રામાયણ અને મહાભારતમાં બગીચાના ઉલ્લેખ છે. મહાભારત મુજબ કમળ સમગ્ર આર્યાવતમાં ઉપલબ્ધ હતું. દરેક સ્થળ પર તલાવડીના ઉલેખ મળે છે. હડપ્પા સંસ્કૃતિમાં ગાર્ડન હોવાના ઉલ્લેખ છે. એમનાં ઘરવપરાશનાં સાધન પર વૃક્ષોનાં ચિત્ર દોરવામાં આવતાં હતાં.

કાલીદાસ યુગમાં દરેક કથામાં ઉપવનોનું મહત્ત્વ બતાવ્યું છે. બગીચાના સુંદર વાતાવરણમાં આગળ વધતી હોય એવી કથાઓ છે. ઉપવન અને બગીચા વચ્ચે નાનો ફેર છે, પણ હેતુ માનવજીવનને પ્રકૃતિના સૌંદર્ય સાથે શાંતિ આપવાનો છે. કાલીદાસના ‘કુમારસંભવ’ કે ‘મેઘદૂત’ કે શુદ્રકનું ‘મૃચ્છકટિકમ’ની કથામાં બગીચા કથાઓને આગળ વધારે છે. સંસ્કૃતના સુવર્ણયુગમાં બગીચાના માધ્યમથી માણસજાતના વિકાસ અને સંપન્નતાને ખૂબીપૂર્વક વણી લીધો છે.

સામાજિક મનોવિજ્ઞાનના શિક્ષક એવા વાત્સાયને ચાર પ્રકારના બગીચાની કલ્પના લખી છે. પ્રમોદયા પ્રકારના બગીચામાં રાજા અને રાણી એકાંત જીવનની મજા માણતાં. ઉદયન બગીચામાં રાજા ટાઇમપાસ કરવા માટે રખડવા નીકળતા. વૃક્ષવાટિકામાં પ્રધાનો અને પ્રજા ફરે અને નંદનયાન બગીચા ખાસ ઈશ્ર્વરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હતા.

બુદ્ધ યુગમાં બગીચાનું મહત્ત્વ હતું. ચીની પ્રવાસી હ્યુ એન સંગ ભગવાન બુદ્ધના જન્મસ્થાન પર ગયો હતો ત્યાં સુંદર બગીચા હોવાનો એણે ઉલ્લેખ કર્યો હતો. એના કથન મુજબ સ્વચ્છ પાણીના નાનાં તળાવમાં કમળને ઉગાડવામાં આવતા હતાં. તલાવડીના પાણીથી બૌદ્ધ વિહાર અને સ્મારકોની આસપાસ સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા.

એ જ્માનામાં ભારતમાં ગાર્ડનિંગ આર્ટને વૈજ્ઞાનિક રીતે વિકસાવવામાં મૌર્ય શાસનનો આગવો ફાળો હતો. સમ્રાટ અશોકે બનાવેલાં સ્તૂપોની આસપાસ ગાર્ડનની કળા વિકસી હતી. રસ્તાની બંને તરફ વિશાળ વૃક્ષ વાવવાની પ્રણાલી અશોકે શરૂ કરી હતી. સમ્રાટ અશોકના સમયમાં બૌદ્ધ ધર્મ સાથે ભારતમાંથી ગાર્ડન આર્ટ થાઇલેન્ડ, કોરિયા, ચીન થઈ છેક જાપાન સુધી પહોંચી હતી. દક્ષિણ ભારતમાં ચૌલ રાજાઓએ બગીચાના વિકાસ માટે નવી શૈલી વિકસાવીને વિશાળ મંદિરોની આસપાસ વિશાળ બગીચાઓ બનાવ્યા હતા. આ પરંપરાના ભાગ સ્વરૂપ સમગ્ર ભારતમાં મંદિર આસપાસ બગીચા જોવા મળે છે.

ગાર્ડન આર્ટ માટે શું ધ્યાનમાં રાખવામાં આવતું હોય?

સમાજની આર્થિક ભૌતિક સ્થિતિ, જે તે વિસ્તારનું હવામાન, માનવસભ્યતાનો વિકાસ, માનવસ્વભાવ, સંસ્કૃતિ, રહેણીકરણી, જમીનનું બંધારણ, પાણીની સંભાવના અને માળીકામના જાણકારો સહિત અસંખ્ય બાબત વિચારવામાં આવતી હશે. ભારતમાં મુસ્લિમ શાસન આવતા પ્રારંભમાં પર્શિયન સ્ટાઇલના ગાર્ડન બનતા હતી, જેની ઘણી સજાવટ ઇરાન સાથે મળતી હતી. ચૌદમી સદીમાં સુલતાન ફિરોઝ શાહને ગાર્ડનનો ખૂબ શોખ હતો. એણે દિલ્હીની ભૂમિ પર બારસો જેટલા બગીચા બનાવ્યા હતાં. બાગ અને બગીચો શબ્દ મૂળે ફારસી ભાષામાંથી આવ્યો છે.

મુઘલ સામ્રાજ્ય શરૂ થયા પછી ગાર્ડન માટે ફરી સુવર્ણયુગ આવ્યો હતો. મુઘલ સમયમાં ભારતનો વ્યાપાર સમગ્ર વિશ્ર્વમાં ફેલાયેલો હતો. આફ્રિકા, ચીન, જાપાન, પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે બ્રિટિશ જેવા યુરોપ સહિત અનેક વિસ્તારોના વેપારીઓ પોતાના વિસ્તારના ઝાડ ફૂલ વગેરે લાવતા રહ્યા, જેના પરિણામે ભારતમાં વૃક્ષ સંપદા વધવા લાગી હતી.

મુઘલ શાસનમાં બાબરે બગાચા બનાવવાનો પ્રારંભ કર્યો હતો. એણે આગ્રામાં રામ બાગ અને જોરા બાગ બનાવ્યા હતા. મુઘલયુગમાં મુખ્યત્વે બે પ્રકારના બગીચા બનતા. એક શાસક પરિવારના આનંદ પ્રમોદ માટે તથા બીજા કબરો અને સ્થાપત્યોની આસપાસ બગીચા બનતા.

સમ્રાટ અકબરે ફતેહપુર સિક્રીમાં તથા સિક્ધદરા ગાર્ડન, આગ્રામાં બનાવ્યા હતા. એના સમયમાં નસીમબાગ નામનો ગાર્ડન કાશ્મીરમાં બનાવ્યો હતો.

જહાંગીરને ગાર્ડનિંગનું ઘણું જ્ઞાન હતું. બીબી નૂરજહાંને બગીચાઓ ગમતાં. જહાંગીરે લાહોરનો શાલીમાર ગાર્ડન સહિત કાશ્મીરમાં, આગ્રા, અલ્હાબાદ તથા ઉદયપુરમાં બગીચા બનાવ્યા હતા.
શાહજહાંએ દિલ્હીમાં શાલીમાર ગાર્ડન, ચશ્મે શાહી ગાર્ડન શ્રીનગરમાં તથા આગ્રામાં ફોર્ટ ગાર્ડન બનાવ્યા હતાં. તાજમહાલ આસપાસ સુંદર ગાર્ડન બન્યા હતા. શાહજહાંના સરદાર અસફખાને શ્રીનગરમાં દાલ લેક પર નિસાતબાગ બનાવ્યો હતો, જે કદાચ ભારતનો પ્રથમ ટેરેસ ગાર્ડન કહી શકાય. ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકને પણ ગાર્ડનિંગનો શોખ હતો.

પંજાબમાં આજે પણ અત્યંત મશહૂર એવો પિંજોરી ગાર્ડન તથા ઔરંગાબાદમાં વિશાળ ગાર્ડન ઔરંગઝેબે બનાવ્યો હતો.

મુઘલ શાસનમાં વટેમાર્ગુ આરામ કરી શકે એ માટે રોડ સાઇડ ગાર્ડન બનવાની શરૂઆત થઈ હતી. સારા આર્કિટેચરલી વર્ક તથા એસ્થેટિકલી ડિઝાઇન હોવાને લીધે આજે પણ ભારતમાં બનતા ગાર્ડનમાં મુઘલ શૈલીની અસરો હોય છે. આ જ અરસામાં રાજા માનસિંહે પણ વિશાળ સરોવર સાથે બગીચા બનાવ્યા હતાં. જયપુર, જોધપુર જેવાં સ્થળ પર રાજપુત શૈલી સાથે ગાર્ડન જોવા મળે છે.
ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય થતાં ફરી ગાર્ડન શૈલીમાં ફેરફારો આવ્યા. બ્રિટિશરો યુરોપિયન શૈલી મુજબ ભારતમાં ગાર્ડન બનાવ્યા અને ભારતના રાજાઓએ આ શૈલીને વિવિધ ભારતીય પરંપરા સાથે વધુ વિકસાવી.

હૈદર અલીએ બનાવેલા લાલબાગને તથા મહારાજા રણજિતસિંહના અમૃતસર ગાર્ડનને બ્રિટિશરોએ પોતાની શૈલીથી વધુ વિકસિત કર્યો હતો.

બ્રિટિશ શૈલીમાં ગાર્ડનમાં લોનનું મહત્ત્વ વધ્યું. ગાર્ડનને વધુ આકર્ષક બનાવવા માટે રોક આર્ટ આવી. બ્રિટિશરોએ ગાર્ડન તથા પ્લાન્ટ ડેવલપમેન્ટ માટે બોટોનિકલ ગાર્ડન બનાવવાના શરૂ કર્યા, જેણે ભારતના ગાર્ડનની આર્ટને નવી દિશા આપી. ભારતમાં કલકત્તા, દાર્જિલિંગ, લખનૌ, સહારનપુર, દહેરાદૂન, ઉટી, કોઇમ્બતૂર સહિત અનેક સ્થાનો પર વિરાટ અને ભવ્ય બોટોનિકલ ગાર્ડન બનાવ્યા, જે આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્વતંત્ર ભારતમાં પર્યાવરણ પર ભાર મુકાવા પછી સ્વચ્છ હવા અને હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ ધ્યાનમાં રાખીને નવા ગાર્ડન બનવા લાગ્યા. આઝાદ ભારતમાં પૌરાણિક ભારતીય પ્રથા સાથે મુઘલ તથા બ્રિટિશ શૈલીનું ફ્યુઝન કરીને સુંદર બગીચાઓનું નિર્માણ થવા લાગ્યું. રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડન હોય કે રોક ગાર્ડનની વાત થતી હોય ત્યારે આધુનિક ભારતની ઓળખ ગાર્ડન થકી થાય છે. વડોદરાનો સયાજીબાગ અને મુંબઈનો હેંગિંગ ગાર્ડન અફલાતૂન નમૂના છે. તમે જોયેલા શ્રેષ્ઠ ગાર્ડનનું એક લિસ્ટ બનાવશો તો એ બહાને પ્રકૃતિ સમીપે જવાશે.

ધ એન્ડ :
અપને હી પાનીમેં પીઘલ જાના બર્ફ કા મુક્કદર હોતા હે… (ફિલ્મ ‘સ્વદેશ’)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો