ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ ચેટ્ટુરને ગંભીરતાથી લેવાયા હોત તો ખજાનો મળ્યો હોત?

  • પ્રફુલ શાહ

નેતાજી સુભાષચંદ્ર બૉઝના એટલે કે ઈન્ડિયન નેશનલ આર્મીના મસમોટા ખજાનાના અદૃશ્ય થવા વિશે ટોકિયો સ્થિત ઈન્ડિયન લાયઝન ઑફિસના વડા કૃષ્ણા કૃષ્ણા ચેટ્ટુરે સ્પષ્ટ અને બોલકા અભિપ્રાય તાત્કાલીન નહેરુ સરકાર સુધી પહોંચાડ્યા હતા. ગોળગોળ કે ફેરવીફેરવીને વાત કરવાને બદલે ચેટ્ટુરે કરેલી મૌખિક અને લિખિત રજૂઆતને ગંભીરતાથી લેવાઈ નહોતી. એમની વાતો પર ધ્યાન આપવાની, પગલા લેવાની અને તપાસ યોજવાની જરૂર હતી પણ એવું કંઈ ન થયું.

કે. કે. ચેટ્ટુરની નોંધ ખજાનો ગાયબ થવા વિશે એમ. રામમૂર્તિ અને એના ભાઈ જે. રામમૂર્તિ ભણી આંગળી ચીંધી હતી. અગાઉ એટલે કે 1947માં ટોકિયો સ્થિત ઈન્ડિયન લાયઝન ઓફિસના વડા બેનેગલ રામરાવે પણ રામમૂર્તિ પર આક્ષેપ કર્યો હતો. નેતાજીના જૂના સાથી એસ.એ.ઐયર પર પણ શંકા વ્યક્ત કરી હતી.

કે.કે. ચેટ્ટુરે નેતાજીના ખજાના વિશે પૃચ્છા કરતા ઐયરે આપેલો જવાબ જાણીએ, ઐયરે કીધું કે, ‘મને ભારત સરકારે બે જવાબદારી સોંપી હતી. એક, રેન્કોજી મંદિરમાં રખાયેલા અવશેષ નેતાજીના છે કે નહિં એની ખાતરી કરવી. બે, નેતાજીના દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી ખજાનો પાછો મેળવવો.’

આ તો ઐયરનો ખુલાસો થયો પણ ચેટ્ટુરે ભારત સરકારને મોકલેલ ગુપ્ત સંદેશમાં સ્પષ્ટપણે લખાયું હતું કે બન્ને મૂર્તિ બંધુ ઐયરને પાછા આવેલા જોઈને સ્થાનિક ભારતીયો ગુસ્સામાં હતા કારણ કે આ ત્રિપુટીનો નેતાજીએ ભંડોળરૂપે મેળવેલા સોનું અને ઘરેણાના ગાયબ થવા સાથે કંઈક સંબંધ હતો.

એક કરતાં વધુ અને જવાબદાર વ્યક્તિ તરફથી શંકમંદોના નામ બહાર આવ્યા હતા. અહીં ઐયરે નવો ધડાકો કર્યો. તેમણે ચેટ્ટુરને જણાવ્યું કે આઈ.એન.એ.નો આંશિક ખજાનો બચી ગયો છે અને તે 1945થી રામમૂર્તિ પાસે છે. અને ભારતીય દૂતાવાસે એ આંશિક ખજાનો રામમૂર્તિના નિવાસસ્થાનેથી મેળવી લીધો હતો.

આમ છતાં ચેટ્ટુરનું મન માનતું નહોતું કે ઐયરે પૂરેપૂરી કે એકદમ સાચી જાણકારી આપી છે. દિલ્હીને એક કેબલ મોકલીને તેમણે પોતાની આ શંકા વ્યક્ત કરી હતી. તેમના કહેવા મુજબ 1945માં શાંતિ કરાર થવાનો વહેલો અંદેશો આવી જવાથી ઐયર ‘લૂંટના ભાગ પાડવા’ ટોકિયો ગયા હતા. આની સાથોસાથ સલામતીના પગલા રૂપે સરકારને સોનાનો નાનકડો જથ્થો પણ સોંપી દીધો હતો.

કે.કે. ચેટ્ટુરમાં ગજબની મક્કમતા હતી. એમના સંદેશા કે રજૂઆતને યોગ્ય પ્રતિસાદ નહોતો મળતો છતાં તેઓ ચલિત ન થયા. 1951ની 22મી જૂને પોતાના આખરી સંદેશામાં તેમણે નેતાજીના ખજાનાના ગાયબ થવા વિશે તપાસ યોજવાની ઓફર કરી હતી. પણ આ મેસેજનું પણ અગાઉ જેવું જ થયુ. આ બાબતમાં કંઈ ન થયું.

બેનેગલ રામરાવ અને કે.કે. ચેટ્ટુર બાદ ભારતના વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી આર.ડી. સાઠેએ પણ ખજાનો ગાયબ થવા વિશે બે પાનાની નોંધ લખી હતી. 1951ની પહેલી નવેમ્બરની ‘આઈ.એન.એ.ના ખજાના અને તેની એસ.એ. ઐયર અને રામમૂર્તિએ રાખેલી સંભાળ પરનો નિષ્કર્ષ’ જેવા શીર્ષક સાથેની વિગતો જાણીએ. ‘નેતાજી સુભાષચંદ્ર બૉઝને તેમની લડાઈ માટે ફાર ઈસ્ટમાં રહેતા ભારતીયોએ નોંધપાત્ર પ્રમાણમાં સોનું અને ઘરેણાં આપ્યા હતા, પરંતુ મળ્યુ માત્ર 11 કિલો સોનું, ધાતુમાં ઓગળી ગયેલા સોનાનો ત્રણ કિલોનો ગઠ્ઠો અને 1945માં ઐયરે સાયગોનથી ટોકિયો લાવેલું 300 ગ્રામ સોનું. ભારતીય સત્તાધીશીએ રામમૂર્તિની અનેકવાર પૂછપરછ કરી પણ તેમણે કોઈ ખજાનાના અસ્તિત્વને જ નકારી કાઢ્યો હતો. જાપાનમાં ઐયરની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી. વધુ મહત્ત્વની બાબત એ છે કે સાયગોનમાં ખજાનાનો મોટોભાગ રહેવા દેવાયો હતો અને 1945ની 26મી જાન્યુઆરીએ ઉપલબ્ધ માહિતી મુજબ નેતાજીના ખજાનાનું વજન એમના વજન કરતાં ઘણું વધુ હતું.’

આપણ વાંચો:  ઔર યે મૌસમ હંસીં… : એ લખોટીઓ તો મારા-તમારા બાળપણનો વૈભવ હતો…

આટલું જ નહિ, સાઠે સાહેબે તો ઐયરની સાયગોનથી ટોકિયોની અવરજવર ભણી આંગળી ચીંધતા ઘટસ્ફોટ કર્યો હતો કે ઐયરના રૂમમાં (ખજાનાના) કેટલાંક બૉક્સ જોનારો સાક્ષી પણ હતો. ‘પછી આ બધા બૉક્સનું શું થયું એ ભેદ જ રહ્યો કારણ કે ઐયર પાસેથી તો અમને માત્ર 300 ગ્રામ સોનું અને 260 રૂપિયા મળ્યા હતા.’

આર.ડી. સાઠેએ વધુ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો જેની ખજાનાની ગાયબ થવામાં ભૂમિકા વિશે કાયમ શંકા રહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button