વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?

- ભરત વૈષ્ણવ
‘વેલ ડન ઇઝ હાફ ડન’ અંગ્રેજી ભાષામાં આવી કહેવત છે. મતલબ કે જેનો સારો પ્રારંભ થાય તેને અડધી સફળતા મળી કહેવાય. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા એવી પણ કહેવત આપણામાં પ્રચલિત છે. છોકરા કે છોકરીની સગાઇ કે ગોળ ધાણા ખાધા હોય, છતાં સંબંધ લગ્ન સુધી પહોંચશે તેની ગેરંટી હોતી નથી. તમે કહેશો : ‘ગિરધરલાલ, તમેય શું ફેંકાફેંક કરો છો?’
શું કરું મજબૂર છું. દિલ્હી તરફથી હવા આવે એટલે ભલભલા ફેંકવા માંડે છે. દિલ્હી ફેંકવાની બાબતમાં યુનિવર્સવલ રાજધાની છે.
‘ચાર બંગડી વાળી ગાડી લાવી દઇં’ ગીતથી ઘરે ઘરે જાણીતી થયેલ ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ચાર વરસ સગાઇ રાખ્યા પછી ‘ઇસ રિશ્તે કો કયા નામ દૂ?’ની ઝંઝટમાં પડયા સિવાય ‘ન રહેંગા બાંસ ન રહેંગી બાંસુરી’ની જેમ ‘અભી બોલા અભી ફોક’ સ્ટાઇલથી ‘અપને સૈંયાજીસે બ્રેક અપ કર લિયા, પેક અપ કર લિયા..’
આમ સગાઈથી લગ્નની યાત્રાને સો વિઘ્ન આવે છે.
રસ્તા, પુલ, ડેમ કે બસ સ્ટેન્ડ જેવા વિકાસના કામોનું પણ આવું જ સખળડખળ હોય છે. કોઇ મંત્રી, ધારાસભ્ય , સરપંચ કે કલેક્ટર-ડીડીઓ મોટા ઉપાડે તાળીઓના ગડગડાટ, કેમેરાની ફલેશગનની ઝાકમઝોળ વચ્ચે કામોનું ખાતમુહૂર્ત કે શિલાન્યાસ કરે છે. ખાતમુહૂર્તની તકતીને દીવાલમાં જડે છે. દેશને ખાડામાં ઉતારનાર મંત્રી કે પ્રધાનમંત્રી હોંશે હોંશે ખાડામાં ઊતરી ચાંદીના લેલાથી સિમેન્ટ રેતીનો લબ્દો લગાડી શિલાન્યાસ કરે છે. ખાતમુહૂર્તમાં હાજર રહેનાર સૌ લોકોને તેવી આશા હોય છે કે પલક ઝપકતાં જ રોડ બની જશે. આવી અટલ શ્રધ્ધા હોવા છતાં આદયાર્ં અધૂરાં રહે છે…..
કચ્છ જિલ્લાના લખપતથી મોટી છેર માર્ગનું ખાતમુહૂર્ત દોઢ વર્ષ પહેલાં તત્કાલીન માર્ગ મકાનમંત્રીના હસ્તે કરવામાં આવેલું. જો કે માનનીય મંત્રી મહોદય ખુરશીવિહીન થઇને માર્ગદર્શક મંડળનો અતૂટ હિસ્સો બની ગયા. ભૂમિપૂજન વિધિ થયા બાદ આ કામને એક વરસમાં પૂરું કરવાનું હતું, પણ કામ પૂરું કરવાની વાત દૂર રહી, કામનાં મંડાણ પણ થયા નથી.
અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઇવેની કામગીરીની માટે પણ તે યથાર્થ ઠરે છે, કારણ કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇ-વે નંબર 47ની કામગીરીની આજ છ-છ વર્ષનાં વાણાં વાઈ ગયાં હોવા છતાં હજુ પૂર્ણ થયો નથી. આ પ્રોજેકટનું કોઈક અવળા ચોઘડિયામાં ખાતમુહૂર્ત શરૂ કરવામાં આવ્યું હશે. આજ રીતે, ભાવનગરના પ્રથમ ફલાય ઓવર બ્રિજનું સન્માન મેળવનાર પુલનું વર્ષ 2019માં ખાતમુહૂર્ત થયું હતું. જેને તૈયાર કરવાની સમયમર્યાદા દોઢ વર્ષ હતી. જોકે, પાંચ વર્ષ બાદ આખરે અડધા ફ્લાયઓવરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, માત્ર એક તરફનો ફલાયઓવર શરૂ કરવામાં આવ્યો છે! સંપૂર્ણ ફ્લાયઓવર ક્યારે શરૂ કરવામાં આવશે એ તંત્ર તો ઠીક, રામ સુધ્ધાં નહીં જાણતા હોય…
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર અને પીયાવા ગામ વચ્ચે પાંચ કિલોમીટરનું અંતર છે. આ ગામનો રસ્તો ઓર્ડિનરી કે જનરલ ખખડધજ નહીં, પરંતુ ડિલકસ ખખડધજ હતો. તેનું કામ મંજૂર થતા ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું. એમની ધારાસભ્ય તરીકે પાંચ વરસની મુદત પૂરી થઇ, પરંતુ નઘરોળ તંત્ર તે પાંચ કિલોમીટરનો રોડ પૂરો કરી શકયું નહીં. ત્યારબાદ નવા ધારાસભ્ય ચૂંટાયા. નવા ધારાસભ્યે પણ ધામધૂમથી સરકારી ગ્રાંટનો ધુમાડો કરી ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્ત કર્યું તોય રસ્તાનું કામ શરૂ થયું નથી. આ રસ્તાનું પ્રથમવાર ખાતમુહૂર્ત કરનાર જૂના ધારાસભ્ય કાગળિયા લખી લખીને થાક્યા છે. આ કામ પૂરું થાય તે માટે તંત્રને કુંભકર્ણની ઊંઘમાંથી જગાડવા સત્યનારાયણની કથા કરાવી રામધૂન બોલાવી છે, છતાં….. ,
અમારા રાજુ રદીને કોઇ છોકરી લગ્ન માટે હા પાડતી નથી અને રાજુ રદી ઠેકાણે પડતો કે ઠેકાણે લાગતો નથી એમ આણંદની સિવિલ હોસ્પિટલ પણ બનતી નથી. પચ્ચીસ વરસથી સિવિલ બનાવવાની વાતોના વડા કે ભજિયા થાય છે. તાવડો ગરમ થતો નથી અને ભજિયાનો ઘાણ ઊતરતો નથી.
આગળ વાંચવાની હિંમત છે?
આપણે ત્યાં એક ભવમાં બે ભવ કરતા નથી. કોઇ ક્ધયાનું શ્રીમંત એક જ વાર થાય. વારંવાર શ્રીમંત કે બાપનું બારમું કરી શકાય નહી. જો કે , શંખેશ્વર તીર્થક્ષેત્ર અપવાદરૂપ છે. શંખેશ્વર જૈન ધર્મનું મોટું યાત્રાસ્થાન છે. શંખેશ્વરમાં બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય પંચકમાં લીધો હશે. સને બે બજાર ચારમાં બસ સ્ટેન્ડ બનાવવા જૂનું બસ સ્ટેન્ડ તોડી પાડ્યું. ત્યારથી શંખેશ્વર પર શનિની નહીં પણ સરકારની પનોતી બેસી છે. શનિની પનોતીમાંથી સાડા સાત વરસે છુટકારો મળે, પરંતુ, સરકારી પનોતીમાંથી સતર વરસે પણ છુટકારો મળે નહીં તેવું સ્થાનિક લોકો કહે છે. આ બસ સ્ટેશનનું છેલ્લા વીસ વરસમાં એક, બે, ત્રણ નહીં પણ છ -છ વાર ખાતમુહૂર્ત થયું છે, છતાં આદયાર્ં અધૂરાં જ રહ્યાં છે…