કવર સ્ટોરી: આરબીઆઈ હૅટ-ટ્રિકના મૂડમાં

-નિલેશ વાઘેલા
ટ્રમ્પની ટૅરિફ વોરને કારણે વૈશ્વિક સ્તરે પ્રસરેલી અનિશ્ર્ચિતતા, સ્થાનિક સ્તરે ઇન્ફ્લેશનનું અનુકૂળ સ્તર અને અર્થતંત્રને વેગ આપવાની આવશ્યકતા જોતાં જૂન પૉલિસીમાં આરબીઆઇ રિપોઝિશન રેટમાં સતત ત્રીજી વખત પચ્ચીસ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી પ્રબળ શક્યતા નીતિ આયોગે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે ભારત જાપાનને પાછળ ખસેડીને વિશ્ર્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. જોકે, પાછળથી એવી સ્પષ્ટતા કરી હતી કે, હજુ વિશ્ર્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું નથી, પરંતુ વર્ષ 2025ના અંત સુધીમાં બની જશે! હવે વળી વડાપ્રધાનની ઇકોનોમી એડવાઇઝરી કાઉન્સિલના સભ્યએ એવું કથન કર્યું છે કે, ભારત વિશ્ર્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે! જોકે, એ જ સાથે એવી ચર્ચા પણ છેડાઇ છે કે અર્થતંત્ર ડોલરના ધોરણે ગમે એટલું દમદાર બને, પરંતુ સામાન્ય નાગરિકોની આમદનીમાં તો કાણો પૈસો ય વધ્યો હોય એવું લાગતું નથી!
ખેર આ ટિપ્પણીમાં થોડું વજૂદ છે અને એની પાછળનાં કારણો અને એમાંથી ઉદ્ભવનારા પ્રશ્ર્નનો જવાબ જુદી ચર્ચાનો વિષય છે. અલબત્ત એકવાત એ પણ ખરી છે કે આપણા પગારમાં એકે પૈસો ભલે ના વધ્યો હોય પરંતુ જ્યારે આપણે આવા સમાચાર વાંચીએ ત્યાર ગર્વ અવશ્ય થાય છે. જીડીપીના તાજા આંકડા પણ મજબૂત આવ્યા છે.
હવે મુદ્દો એ છે કે ભારત ઝડપી ત્વરા સાથે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવા તરફ આગળ વધવા માગે છે. આ વેગ મેળવવા માટે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરીને થોડું ઇંધણ ઉમેરવાનું કામ કરશે, તર્ક તો એવું કહે જ છે, પરંતુ સાથે આર્થિક સંયોગો પણ અનુકૂળ જણાઇ રહ્યાં છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : પુત્રના ‘પરાક્રમ’થી લાલુ પ્રસાદના પરિવારમાં યાદવાસ્થળી…!
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) અન્ય સાનુકૂળ પરિબળોને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસને ટેકો આપવા માટે ફેબ્રુઆરી અને એપ્રિલ બાદ જૂનમાં રિપોઝિશન રેટ (રિપો રેટ)માં સતત ત્રીજી વખત પચ્ચીસ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાના મૂડમાં હોય અને એની તૈયારી કરી રહી હોય એવા સંકેત મળી રહ્યાં છે.
હાલમાં રિપો રેટ 6.00 ટકા છે. આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આગામી સમીક્ષામાં છઠ્ઠી જૂને રિપો રેટમાં ફરી એક વખત પચ્ચીસ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા અનેક અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. આરબીઆઇની એમપીસી બેઠક આજે ચોથી જૂનથી શરૂ થશે અને તે છઠી જૂને પરિણામ જાહેર કરશે.
ગ્રાહક ભાવાંક (સીપીઆઇ) સતત ત્રીજા મહિને, આરબીઆઇના મધ્યમ ગાળાના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે રહ્યો હોવાથી બેન્કિંગ ક્ષેત્રની નિયામકને બેન્ચમાર્ક દરોમાં વધુ ઘટાડો કરવા માટે અવકાશ મળ્યો છે. અગાઉ જણાવ્યું તેમ કેન્દ્રિય બેન્ક હવે વૃદ્ધિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : મોમ દીપિકાની બદલાતી ડિમાન્ડ!
એપ્રિલ પોલિસી દરમિયાન કેન્દ્રીય બેંકે, નીતિ દરના ઘટાડા સાથે, આર્થિક દૃષ્ટિકોણનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કરીને તેનું વલણ ‘તટસ્થ’ થી બદલીને ‘સહનશીલ’ (ન્યુટ્રલથી બદલીને ટોલરન્ટ) જાહેર કર્યું હતું. આ અનુકૂળ વલણનો અર્થ એ છે કે કેન્દ્રીય બેંક આર્થિક વિકાસને વેગ આપવા માટે નાણાં પુરવઠાને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે.
અનુકૂળ નીતિ સમયગાળા દરમિયાન, કેન્દ્રીય બેંક વ્યાજદરોમાં ઘટાડો કરવા તૈયાર હોય છે અને દરમાં વધારો મોટેભાગે ટાળવામાં આવે છે. જ્યારે વૃદ્ધિને નીતિ સહાયની જરૂર હોય અને ફુગાવો તાત્કાલિક ચિંતાનો વિષય ન હોય ત્યારે કેન્દ્રીય બેંક સામાન્ય રીતે અનુકૂળ નીતિ અપનાવે છે. અર્થશાસ્ત્રીઓ અનુસાર ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂ. 2.69 લાખ કરોડના બમ્પર ડિવિડન્ડથી પણ નાણાકીય પરિસ્થિતિ હળવી થવાની અપેક્ષા છે, જે કેન્દ્રને વર્ષ માટે 4.4 ટકાના ખાધ લક્ષ્યાંક સંદર્ભે મદદ કરશેે. એ જ સાથે આરબીઆઇ તરફથી પ્રવાહિતા વધારવા માટે વધુ નાણાં પ્રવાહ સિસ્ટમમાં ઠાલવવામાં આવે એવી શક્યતા પણ ચર્ચાઇ રહી છે.
ઇન્ફ્લેશન લેવલ અંગે વાત કરતા ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર મલ્હોત્રાએ તાજેતરમાં કહ્યું હતું કે ટ્રમ્પ ટેરિફ ભારતીય અર્થતંત્ર પર બે વિરોધી અસરો કરી શકે છે. એક તરફ ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશનને પરિણામે ભાવ સ્તરમાં વધારો થશે અને બીજી બાજુ, ધીમી વૈશ્ર્વિક માગ ભાવમાં ઘટાડો કરશે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : શેરમાર્કેટમાં ગાજ્યા આઇપીઓ વરસ્યા નહીં!-
જોકે, બીજી અસર વધુ મજબૂત રહેવાની હોવાથી, ટેરિફના કારણે ભારતીય અર્થતંત્ર માટે એકંદરે ફુગાવો ઓછો થવાની શક્યતા હોવાનું આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું. બહુ ઓછા નિષ્ણાતો માને છે કે જૂન પોલિસીમાં કેન્દ્રીય બેંક તેના ફુગાવાના અંદાજમાં સુધારો કરશે, કારણ કે ખાદ્ય ફુગાવો અને એકંદર મુખ્ય ફુગાવો આરબીઆઇના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી નીચે રહેશે.
જોકે, ચોમાસા અને અન્ય સંભવિત પ્રતિકૂળ હવામાન ઘટનાઓની અનિશ્ર્ચિતતા જોતા, કેટલાક અર્થશાસ્ત્રીઓએ સીપીઆઇ ફુગાવાનો અંદાજ 20થી 30 બેસિસ પોઇન્ટ સુધી ઘટાડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. એક ટોચના અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, આરબીઆઇ પાસે અંદાજ ઘટાડવાનો અવકાશ છે કારણ કે મોડેલ-આધારિત અંદાજ 3.5 ટકા પર ટ્રેક કરી રહ્યો છે, ભલે ખાદ્ય પુરવઠાના સંભવિત આંચકા માટે બફર રાખ્યો હોય. ગયા વર્ષથી
મુખ્ય ફુગાવો નીચો રહ્યો છે, જે નકારાત્મક આઉટપુટ ગેપની હાજરી દર્શાવે છે.
એપ્રિલ નાણાકીય નીતિ દરમિયાન, આરબીઆઇએ નાણાકીય વર્ષ 2026 માટે સીપીઆઇ ફુગાવાનો અંદાજ ઘટાડીને ચાર ટકા કર્યો હતો, જેમાં પ્રથમ ક્વાર્ટર માટે 3.6 ટકા, બીજા ક્વાર્ટર માટે 3.9 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 3.8 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 4.4 ટકા હતો. ભારતનો રિટેલ ફુગાવો માર્ચમાં 3.34 ટકાથી ઘટીને એપ્રિલમાં 3.16 ટકા થયો હતો. સરકારે જણાવ્યું છે કે જુલાઈ 2019 પછી ફુગાવાનો આ સૌથી નીચો વાર્ષિક દર છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : પાકિસ્તાનની જાસૂસી જાળના ભેદ-ભરમ
આમ છતાં, કેટલાક નિષ્ણાતો માને છે કે આરબીઆઇના વૃદ્ધિ અંદાજમાં ઘટાડો થશે. ખાસ કરીને જો પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી અપેક્ષાઓ કરતાં ઓછો હોય તો ઘટાડાનું જોખમ રહેશે. એપ્રિલ નીતિ સમીક્ષા દરમિયાન, આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસદરના અંદાજને સુધારીને 6.5 ટકા કર્યો હતો, જે ફેબ્રુઆરીની બેઠકમાં 6.7 ટકા હતો.
ગવર્નર મલ્હોત્રાએ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિ 6.5 ટકા (6.7 ટકાથી નીચે), બીજા ક્વાર્ટર માટે 6.7 ટકા (7 ટકાથી નીચે), ત્રીજા ક્વાર્ટર માટે 6.6 ટકા (6.5 ટકાથી ઉપર) અને ચોથા ક્વાર્ટર માટે 6.3 ટકા (6.5 ટકાથી નીચે) રહેવાનો અંદાજ પણ મૂક્યો હતો.
ટૂંકમાં કથાનો સાર એ જ છે કે આ વખતે સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો ચોક્કસ જોવા મળશે.