આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…

પ્રફુલ શાહ
કટોરાબાજ પાકિસ્તાનની રાજકીય, આર્થિક, સામાજિક કે નૈતિક બાબતોમાંથી કંઈક અજાણ્યું નથી. એ દેશમાં મોહમ્મદ અલી ઝીણા સિવાયના કોઈને યાદ કરાતા નથી. અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા લડનારાઓને પ્રતાપે જ સ્વતંત્રતા મળી હતી. ભારત તો આઝાદ થયું જ, ને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું. આમ છતાં નગુણા પાકિસ્તાને ક્યારેય આ બધાની પરવા કરી નથી.
પરંતુ નેતાજી સુભાષચંદ્ર બૉઝની ઈન્ડિયન નેશનલ આર્મી (આઈ.એન.એ) અર્થાત્ આઝાદ હિન્દ ફોજના ખજાનામાંથી પોતાને ય ભાગ મળવો જોઈએ એવી માગણી તેણે કરી હતી.2016માં નેતાજી અંગેની ડિક્લાસિફાઈડ ફાઈલ્સ જાહેર થઈ ત્યારે આ બાબત પ્રકાશમાં આવી હતી.
આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ નેતાજીની ટહેલ પર ગૃહિણીઓ સોનાના ઘરેણાં આપી દેતી હતી
આ ફાઈલમાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પશ્ર્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાનને 1953ની 18મી ઑક્ટોબરે લખેલા પત્રનો ઉલ્લેખ છે. એ મુજબ નહેરુ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈ.એન.એ.અને આઈ.આઈ.એલ. (ઈન્ડિયન ઈન્ડિપેન્ડસ)ના ખજાનાની 2:1ના રેશિયોમાં વહેંચણી માટે તૈયાર થયા હતા. આ પત્ર વિશે થોડું વધુ જાણીએ.
નેતાજી અને એમની આઝાદ હિન્દ સરકારના ખજાના વિશે તપાસ કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પશ્ર્ચિમ બંગાળની વિધાનસભાએ પસાર કર્યો હતો. આ અંગેની નોંધમાં લખાયેલું હતું: ‘ફાર ઈસ્ટ (એશિયાઈ ખંડના પૂર્વીય ભાગ)ના દેશોમાં યુદ્ધના અંત બાદ સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોમાં આઈ.એન.એ. અને આઈ.આઈ.એલ.ના હોદ્દેદારો અને અન્ય પાસેથી સોનું, ઘરેણાં અને કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરાઈ હતી. આ જપ્ત કરાયેલી સામગ્રી અંગે તપાસ કરવાની કેન્દ્રને વિનંતી છે.’
આ ઠરાવમાં વધુમાં જણાવાયું હતું કે આ સિંગાપોર સ્થિત માલ-મિલકતના કસ્ટોડિયનો પાસે બધું પડ્યુ હતું. 1950માં સિંગાપોર સરકારે આપેલી માહિતી મુજબ અ પ્રોપર્ટીની કિંમત 1,47,163 સ્ટ્રેઈટ્સ ડૉલર હતી. આ સ્ટ્રેઈટ્સ ડૉલર વિશે થોડું સમજી લઈએ. સાઉથ ઈસ્ટ એશિયામાં બ્રિટિશ હકૂમતના દેશ પ્રાંતમાં સમજૂતી-લેવડદેવડ એટલે સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટસ 1898થી 1939 સુધી સમાધાન અને હિસાબ ચૂકતે કરવા વપરાતા ડૉલર સ્ટ્રેઈટ્સ ડૉલર કહેવાતા હતા. જોકે એ સમયે પણ આ પ્રોપર્ટીનું ચોક્કસ – નિશ્ર્ચિત મૂલ્યાંકન કરવાનું અશક્ય હોવાનું નોંધમાં લખાયેલું હતું.
આ પણ વાંચો: આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…
આ વાત બહાર આવતા પાકિસ્તાને ઉપાડો લીધો કે નેતાજીના ખજાના-ભંડોળમાં અમારો ય ભાગ હોવો જોઈએ. ખૂબ ચર્ચા-મંત્રણા બાદ નક્કી થયું કે આ ખજાનાના 67 ટકા ભારતને મળશે અને પાકિસ્તાનને ભાગે 33 ટકા આવશે. આ મતલબની ખાતરી ખુદ વડા પ્રધાન નહેરુએ આપી હતી.
જોકે આ ભંડોળ – રકમ આપવાનું આસાન નહોતું, કારણ કે એમની પ્રોપર્ટીના કસ્ટોડિયનનો એના પર કોઈ હક હોતો નથી એટલે એ કોઈ સંખ્યા કે વ્યક્તિને આપી ન શકાય. કરુણતા એ છે કે પાકિસ્તાને તો ઠીક, ભારતનેય બૉઝના અસ્તિત્વ કે જીવન-મરણની જરાય ફિકર નહોતી પણ એમના ખજાનાના ભાગ બટાઈમાં બંને દેશની સરકાર અગ્રેસર હતી.
એ તો નેતાજી સુભાષચંદ્ર બૉઝ અંગેની ડિક્લાસિફાઈડ રખાયેલી ફાઈલને જાહેર કરાઈ ત્યારે નેતાજીની આઝાદ હિન્દ ફૌજના ખજાનાના બટવારાની આ વિગતો બહાર આવી, નહીંતર એ શર્મનાક ઘટના કાળની ગર્તામાં કાયમ માટે દબાઈ ગઈ હોત.
આ ખજાનાની પાકિસ્તાનની માગણી ભલે પંડિત જવાહરલાલ નહેરુએ સ્વીકારી લીધી પણ તેમણે આ ખજાનો પાછો મેળવવા માટે શું કર્યું હતું? દસ્તાવેજો સાબિતી છે કે નહેરુ આ ખજાના વિશે જાણતા હતા પણ તેમણે એ પાછો મેળવવા કંઈ જ નહોતું કર્યું એવો દાવો થઈ રહ્યો છે. (ક્રમશ)