ઈન્ટરવલ

માણસ જાતની દ્વિધા :સિકંદર બનવું છે કે ટિકંદર?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

યુરોપના કોઈ નાનકડા દેશમાં ટિકંદરનો જન્મ થયો હતો. ટિકંદરના બાપ પાસે પંદરેક વીઘા જમીન હતી. બાળપણથી એક વાત સાંભળતો કે વિશ્ર્વવિજેતા બનવાની લ્હાયમાં સિકંદરના અવસાન પછી નીકળેલી સ્મશાનયાત્રામાં બે હાથ ખુલ્લા હતા. ફિલોસોફર અને જ્ઞાનીઓ થકી એવું કહેવામાં આવતું કે આટલા સંઘર્ષ પછી તેને શું મળ્યું? આપણા ટિકંદરભાઇને આ વાત સ્પર્શી ગઇ. બે ટાઇમ ખાવા, થોડું રખડવા માટે કોઈ સંઘર્ષ કરવો નથી. જરૂર પડે તો જમીનનો એકાદ ટુકડો વેચીને બાકીના સમયને પૂરો કરી શકાશે. ફાઇનલી આપણા ટિકંદરભાઇ નિધન પામ્યા. ઇતિહાસમાં આવા આપણી આસપાસ રહેતાં અસંખ્ય ટિકંદરોનો ઉલ્લેખ મળે છે ખરો? કથાઓ તો ફક્ત સિકંદરની જ લખાયેલી છે. સામાન્ય માણસ માટે દ્વિધા એ હોય છે કે સિકંદરની સંઘર્ષવાળી જિંદગી સાચી કે ટિકંદરની સરળ જિંદગી સાચી? ફાઇનલી, આ દુનિયા જાતજાતના લોકોથી બનેલી છે અને બનતી રહેશે, જગતમાં એક્ટ્રિમ સિકંદરથી માંડીને છેલ્લા છેડા પર બેઠેલો ટિકંદર વસેલો છે.

એક માન્યતા મુજબ, ભારતીય માટે સામાન્ય જીવન જીવવા માટે દોઢેક કરોડ રુપિયા ઇનફ છે. દશ વીઘા જમીન વેચીને દોઢ કરોડ મળી જાય તો ટિકંદર થવું કે વીરતાપૂર્વક જીવન જીવવા સિકંદરની જેમ સંઘર્ષ કરતાં રહેવો જોઈએ એ વિચાર સમજવામાં જિંદગી ખતમ થઇ જાય છે. બધા પ્રકારના ફિલોસોફર, વિચારકો અને જ્ઞાનીઓને મહદઅંશે ટિકંદર વધારે ગમે છે.

આ કહેવાતા ટિકંદરભાઇની જિંદગીના કોઈ રેફરન્સ મળતા નથી, આપણી આસપાસ મળી આવશે. વર્ષોથી બાંકડે બેસીને તપ કરતો એક પ્રકારનો ટિકંદર જ છે. મહાન યોદ્ધા સિકંદર પર દેશદુનિયામાં અસંખ્ય પુસ્તકો લખવામાં આવ્યા છે. થોડાં પુસ્તકોના રેફરન્સ થકી સિકંદરને સમજીએ. શક્ય છે કે જે રેફરન્સ ઉપયોગ કરીએ એના તથ્ય અલગ હોય પણ આપણે સિકંદરની લાઇફ જાણવી છે. છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસની જેમ સિકંદર પાસે પણ ગુરુ હતાં. પિતા ફિલીપની હત્યા પછી માંડ વીસ વર્ષની વયે ઇસ પૂર્વે ૩૩૬માં એલેકઝાન્ડર સિકંદર ગાદી પર બેઠો. તેના પિતાનું સ્વપ્ન હતું કે ઇરાન જીતવું અને સિકંદરની જિંદગીનો પહેલો ધ્યેય ઇરાન પર વિજય હતો. સત્તા સંભાળ્યા પછી બે વર્ષે ઇરાન પર હુમલો કર્યો, ઇરાનમાં ગાદી પર ડેરિયસ ત્રીજો રાજા હતો. સિકંદરે ઇરાની રાજા ડેરિયસ ત્રીજાને આસાનીથી હરાવ્યો. ડેરિયસ પોતાની માતા, પત્નીઓ, પુત્રીઓ તથા પરિવારને છોડીને ભાગી ગયો. આ લડાઇથી પૌરાણિક ઇજિપ્ત સૌથી વધારે ખુશ હતું, વર્ષો સુધી ઇરાનની ગુલામી કરીને ત્રાસી ગયા હતાં. ઇજીપ્તમાં સિકંદરને દેવોનું સંતાન માનીને દેવતાઓની કથા સાથે જોડી દેવામાં આવ્યો. હવે યાદ કરો કોઈ નાગરિકો પેલા ટિકંદરને દેવતાઓનું સંતાન માનશે?

સિકંદરે ફરીથી ઇરાન પર હુમલો કર્યો, ડેરિયસ મેદાન છોડીને ભાગી ગયો અને તેના સાથીદારે જ તેની હત્યા કરી નાખી. ઈરાનમાં સિકંદરે અત્યંત સુંદર રાજકુમારી રૌક્સાની સાથે લગ્ન કર્યું, આ વિજય પછી સિકંદરને વિશ્ર્વવિજેતા બનવાનો અભરખો જાગ્યો. સિકંદરની સેનાના અધિકારીઓ અને સૈનિકો ઘરે પરત જવાના મૂડમાં હતાં. જે સિકંદરની મહત્ત્વકાંક્ષાનો વિરોધ કરતાં એમને એક જ સજા થતી, મૃત્યુદંડ. પોતાની હઠને મનાવવા સિકંદરનો એક સમયે પ્રાણ બચાવનાર અધિકારી ક્લીટ્સને પણ મોતને ઘાટ ઉતારી દીધો. મહત્વકાંક્ષા અજીબ ચીજ હૈ, ભાઇ…
ઇરાન પરના સિકંદરના વિજયથી પશ્ર્ચિમ ભારતનાં નાનાં મોટા ંરાજ્યોનું ધ્યાન ગયું અને કેટલાક અધિકારીઓ તથા દુશ્મન રાજાઓ સાથે બદલો લેવા માંગતા સ્થાનિક રાજાઓએ સિકંદરની ભારત વિજય યાત્રા સરળ કરી આપવાની ખાતરી આપી. સિકંદરને જે જોઈતું હતું એ સામેથી મળી રહ્યું હતું. બે અઢી હજાર વર્ષના ઇતિહાસ શા માટે ભણવા જોઈએ? હજારો વર્ષથી આપણે એક જ ભૂલ કરીએ છીએ, પોતાનાઓને જ કષ્ટ અપાવવામાં આનંદ મેળવીએ છીએ. આ વાત ફક્ત રાજ્યસત્તાઓને જ લાગુ પડતી નથી પણ કોર્પોરેટ જગત તથા સંબંધોના તાણાવાણામાં પણ લાગુ પડે છે. ભારતમાં સિકંદર માટે રાહ આસાન કરવામાં શશિગુપ્ત નામનો હિન્દુકુશના એક રાજ્યનો અધિકારી અગ્રેસર હતો. તક્ષશિલાના રાજકુમાર આમ્ભિને પોરસ માટે નારાજગી હતી. પોરસ સાથે સિકંદરની લડાઇ માટે આમ્ભિને રસ હતો.

હા, સ્થાનિક સપોર્ટ હોવા છતાં સિકંદર માટે રાહ આસાન ન હતી. તક્ષશિલા પહોંચતા પહેલાં અનેક બહાદુર ગણરાજ્યોએ સિકંદરનો વિરોધ કર્યો, લડાઇઓ લડ્યા, હાર્યા અને વિરગતિને પ્રાપ્ત થયા. હસ્તિ નામના રાજાની સેનાનો સિકંદરની સેનાએ એક મહિના સુધી સામનો કરવો પડ્યો, છેલ્લા સૈનિકના છેલ્લા શ્ર્વાસ સુધી લડત આપી. જે પ્રદેશો સિકંદરે જીત્યા એના અધિકારી તરીકે શશિગુપ્તની ક્ષત્રપ તરીકે નિમણૂક કરવામાં આવી.

ફાઇનલી સિકંદર તક્ષશિલા સુધી પહોંચી ગયો અને આમ્ભિનો મહેમાન બન્યો. સમગ્ર જગતમાં ભારતની ધરતીની વિરતાની કથા પ્રચલિત છે એ રાજા પોરસને આધિપત્ય સ્વીકારવા માટે દૂત મોકલવામાં આવ્યો. વીર પોરસે જવાબ આપ્યો કે દૂરથી આવ્યા છો તો ચાલો એકવાર લડી લઇએ. બંને સેનાઓનું ઝેલમને કાંઠે મળવાનું નક્કી થયું. લડાઈ અંગે અનેક કથાઓ છે, ઇતિહાસકારોના અસંખ્ય વર્ણનો છે. બંને સેનાઓ લાંબો સમય માટે નદીની સામસામે રહ્યા. બંનેને દુશ્મન સેના વધારે સક્ષમ લાગતી હોવાથી વેઇટ એન્ડ વોચની નીતી અપનાવી હતી. સિકંદર માટે એવું કહેવાતું કે તેની લડાઇની રણનીતિ અચોક્કસ રહેતી, અકલ્પનિય જોખમ ઉઠાવવા તૈયાર રહેતો.

એવી કથા છે કે લડાઇના મેદાન પાસે અતિશય વરસાદ અને વાવાઝોડું આવ્યું, આ તકનો લાભ લઇને સિકંદર સેનાને લઇને વીસેક કિમી દૂર ગયો. નદી પસાર કરી અને અચાનક પોરસની સેના સામે આવીને ઉભા રહી ગયા. બંને સેનાઓ સક્ષમ હતી, વરસાદ વચ્ચે લડાઈ ફાટી નીકળી. વાતાવરણ કંઈક અંશે પોરસની વિરુદ્ધ હતું. વરસાદ અને કીચડમાં ભારતીય પરંપરાગત તીર કામઠાં ચલાવવા મુશ્કેલ હતાં, હાથીઓને કાદવમાં ચાલવાનું આસાન ન હતું. વિષમ આબોહવા છતાં પોરસની સેનાએ એલેકઝાન્ડર સિકંદરની હાલત ખરાબ કરી નાખી. એક સમયે સિકંદરને સાહસ ભારે પડશે અને ભાગવું પડે એવી સ્થિતિ થઇ હતી. કમનસીબે પોરસની સેનાના એક હાથીને ઇજા થતાં પોતાની સેના તરફ વળી ગયો, પરિણામસ્વરૂપે પોરસની સેનાની હાર થઇ.

આનંદ બક્ષીને મેરા ગાંવ મેરા દેશનું ગીત લખવાની પ્રેરણા મળી એ પ્રસંગ એટલે સિકંદરે પ્રશ્ર્ન પૂછ્યો કે બોલ તેરે સાથ ક્યા કીયા જાએ, માર દીયા જાય કે છોડ દીયા જાય? પોરસનો એક રાજાને છાજે તેવો જવાબ સાંભળીને બંને વચ્ચે સન્માનજનક
સંધિ કરવામાં આવી.

મુશ્કેલ લડાઇ પછી ભારતનો માર્ગ સરળ લાગવા લાગ્યો, પોરસ પરના વિજયની ખુશીમાં સિકંદરે બે નગરો વસાવ્યાં, જેમાં એક નગરનું નામ તેના ઘોડા વાઉકેફલા પરથી પાડવામાં આવ્યું, બીજા નગરનું નામ હોમવર્ક… સિકંદર નાના નાના જનપદો સાથે લડતો રહ્યો. જે આસાનીથી ઇરાન અને મધ્ય એશિયા પર વિજય મેળવ્યો હતો, સિકંદર એવું માનતો હતો કે એ આસાનીથી ભારત જીતી શકાશે. જે વિસ્તારો પર વિજય મેળવ્યો હતો ત્યાં પણ પ્રજાએ બળવો શરૂ કર્યો હતો. નાના મોટા રાજ્ય સામે લડવાથી તથા ભારતીય આબોહવામાં ગરમીને લીધે સિકંદરની સેના થાકી ગઇ હતી, એ સમયે મગધમાં નંદ વંશનું શાસન હતું. નંદો અત્યંત શક્તિશાળી ગણાતા હતાં. ઓળખ્યો નંદવંશને? ચાણક્યે જેને ઉખાડી નાખ્યો હતો એ બહાદુર નંદોની ધાક સિકંદરની સેના પર હતી. ખબર આવવા લાગી કે નંદોની સેના આવી રહી છે, સિકંદરની સેના નંદ સામે લડવા તૈયાર ન હતી. સિકંદરે જેને અધિકારી બનાવ્યો હતો એ શશિગુપ્તને પણ પ્રજાએ યમલોક પહોંચાડી દીધો હતો. સિકંદરની સેના આગળ વધવા તૈયાર ન હતી, કોઈ પણ ભોગે પરત જવું હતું. સિકંદરે મોટિવેશન લેક્ચર આપ્યા, ખોટું લગાડીને તંબુમાં ભરાઈ રહ્યો પણ સેનાને કોઈ અસર થઇ નહીં. સિકંદર પાછો ફર્યો, ખાલી હાથ… અહીં સિકંદરની કથા પૂરી થતી નથી… રુકો જરા… મહાન આમ જ નથી થવાતું, પાછા વળતા પણ ઘા સહેવા પડે.

સિકંદરની પરત યાત્રા મુશ્કેલ હતી, ભારતીય વિસ્તારમાંથી બહાર નીકળતાં સિકંદરનો દમ નીકળી ગયો. પોરસની મદદ મળી પણ રાજા સૌભૂતિ સાથે લડવું પડ્યું. એને હરાવ્યા પછી આગ્રેય ગણરાજ્ય સાથે જે લડાઇ થઇ એ સિકંદર આજે પણ યાદ કરતો હશે. સિકંદર સામે જીતવું મુશ્કેલ લાગતા ગણરાજ્યના નાગરિકોએ પોતાની સ્ત્રીઓ અને બાળકોને અગ્નિપ્રવેશ કરાવી દીધો અને જાતે લડતા લડતા શહીદી ભોગવી લીધી. હવે ક્ધફ્યુઝન થાય છે કે સિકંદર બનવામાં મજા છે કે ટિકંદર?

રાવી નદીના કિનારા પર બંને તરફ માલવ ગણરાજ્ય હતાં, બંને વચ્ચે બાપ માર્યાની દુશ્મની હતી પણ સિકંદર સામે લડવા બંને એક થઇ ગયાં. શુદ્રકો પણ ભળી ગયા. આ બંને પ્રજા એકબીજાના કટ્ટર દુશ્મન હતા. કદી દીકરીઓ ન આપતા સમાધાન માટે બંને પક્ષે અનેક લગ્નો કરાવ્યા અને ઘરઘરથી એક એક સૈનિક તૈયાર કર્યો. સિકંદરની સેના ડરી ગઇ, સિકંદરે પોતાના સૈનિકોને સમજાવવું પડ્યું કે આપણે પાછા જઇ રહ્યા છીએ પણ આ લડાઇઓ લડવી પડે છે એમાં મારો કશો વાંક નથી. જો કે સિકંદરે બીજી સેના આવે એ પહેલાં હુમલો કર્યો, નિર્દય સંહાર થયો. સિકંદરે મહિલાઓ અને નિર્દોષ બાળકોની હત્યા કરવાનો આદેશ આપ્યો. બીજી સેનાની મદદ આવતા સિકંદરે સમાધાનનો માર્ગ તૈયાર કર્યો. બંનેએ સિકંદરના વિજયનો સ્વીકાર કર્યો. જો કે ઘણા ઇતિહાસકારો માને છે કે સિકંદરનો પરાજય થયો અને હાર સ્વીકાર કરીને સમાધાન થયું. હકીકત એ છે કે અસંખ્ય વૈવિધ્ય ધરાવતી ભારતીય પ્રજા રાષ્ટ્રના ગૌરવ માટે સદીઓથી એક છે. હજી લડાઇઓ બાકી છે, પંજાબ પાસે અંબાતિ, ક્ષતૃ અને વસાતિ ગણરાજ્યો સામે લડવું પડ્યું, બ્રાહ્મણક જનપદોએ જબરદસ્ત સામનો કર્યો. પાકિસ્તાની હૈદરાબાદ સિકંદરના વિરોધમાં ગામ ખાલી થઇ ગયું, કદાચ પહેલું અસહકારનું આંદોલન કહી શકાય. સિંધુ નદીના છેડે પહોંચ્યા પછી અડધી સેના સમુદ્ર માર્ગે ગઇ અને બાકી સેના જમીન માર્ગથી પરત થઇ. ઇરાન જતાં નાની મોટી લડાઇઓ થઇ, એક સમયે સિકંદરે વિચાર્યું કે ઈરાનમાં નવું રાજ્ય બનાવવું અને નિવાસ કરવો… યાદ કરો પેલી ફિલોસોફીવાળી કથા… ખાલી હાથ આના હૈ અને ખાલી હાથ જાના હૈ… કે પછી બે હજાર વર્ષ પછી અમર થવું છે. બત્રીસ વર્ષની વયે સિકંદર મૃત્યુ પામ્યો. એની વે, બોલો શું બનવું છે? સતત લડાઇઓ લડીને ઇજાગ્રસ્ત બનવું કે ઘરે શાંતિથી રહીને લાંબું આયુષ્ય ભોગવવું? વિશ્ર્વવિજેતા સિકંદર બનવામાં મજા છે કે ઘરમાં રહીને પાંચ વીઘા જમીન વેચીને મસ્ત લાઇફ પૂરી કરતો ટિકંદર મસ્ત જીવ્યો? ચોઇસ ઇઝ યોર્સ…

ધ એન્ડ : યુદ્ધ જીતવાનો આધાર કેવળ વીરતા નથી પણ સામા પક્ષે કેટલો દગો કરાવી શકો છો એના પર પણ હોય છે, એ યુદ્ધ કૌશલ્યનો ભાગ છે.

લેખક : દેવલ શાસ્ત્રી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?