ઈન્ટરવલ

મરદ માણસ

ટૂંકી વાર્તા -અરુણ ડાભી

‘એભલ છૂટીને આવ્યો છે’
વાત હવાની જેમ આખા ગામમાં ફરી વળી. ચોરે, ચૌટે, બજારે, દુકાને બધે એક જ વાત ચર્ચાતી હતી. એભલની. ગામ લોકો પાસે ફક્ત આ એક જ વિષય હતો. એભલનો. એભલ જેલમાંથી છૂટીને આવ્યો તેવી ખબર સૌ પહેલાં ગૌરીશંકર ગામમાં લાવ્યો. મણિયા કંદોઈની દુકાને આવતા જ તેણે વાત કાઢી ‘એભલ છૂટીને આવ્યો છે.’ અને વાત સાંભળતા જ માણસો હેબત ખાઈ ગયા. કશું બોલી શક્યા નહીં. ગૌરીશંકરની સામે સૂનમૂન થઈ જોતાં રહ્યા ત્યારે ગૌરીશંકરે ગળા પર હાથ રાખી કહ્યું, ‘ભાઈના સમ બસ. મને ચતુરે ખબર આપ્યા.’ ચતુરનું નામ આવ્યું. એટલે માણસો વાત માની ગયા. ચતુર ગામનો ખબરી. તે આજુબાજુનાં દસ ગામોની ખબર રાખતો.

ધુમાડા જેમ આ વાત આખા ગામમાં ઘડીભરમાં જ ફેલાઈ ગઈ.

‘એભલ છૂટીને આવ્યો છે.’
‘હેં…., શું વાત કરો છો?’
‘ભાઈના સમ. વાત સાચી છે. ’
‘તો તો હવે રૂપસિંહનું…’
રૂપસિંહનું નામ આવતાં માણસો વાત અટકાવી દેતા.

રૂપસિંહ અને એભલ આમ તો વર્ષો પહેલાં ભાઈબંધ હતા. તોડી તૂટે નહીં એવી એમની દોસ્તી હતી, પણ પછી જુવાનીએ એમની દોસ્તીમાં ઝેર ઘોળ્યું. એભલની બહેન સાથે રૂપસિંહને સ્નેહ બંધાણો અને પ્રેમમાં જે ન બનવું જોઈએ તે જ બને છે તેવો કોઈ નિયમ હશે તેથી જ એભલને જાણ થતાં એણે ભયંકર કામ કરી નાખ્યું. એવું ભયંકર કામ કે ગામ આખું થથરી ગયું. કહોને કે ગામનું ખોરડે ખોરડું ધ્રૂજી ગયું. ગામ હેબત ખાઈ ગયું. એભલે પોતાની જ બહેન લાખીનું ખૂન કરી નાખ્યું અને પછી રૂપસિંહને ખતમ કરવા તૈયાર થયો. પણ રૂપસિંહ ભાગી ગયો. એભલે બહેનના ખૂનનો પોલીસમાં એકરાર કર્યો, સજા પડી. સાથે સાથે સોગંદ પણ ખાધા કે ‘જે દિ’ જેલમાંથી છૂટીશ તે દિ’

રૂપસિંહને જીવતો નહીં મેલું…’ એભલ જેલમાં ગયો પછી રૂપસિંહને પાછો ગામમાં આવ્યો હતો. અને આજે… આજે… એભલ જેલમાંથી છૂટીને આવ્યો હતો. ગામમાં નહોતો આવ્યો, પણ ગૌરીશંકર કહેતો હતો કે આપાની વાડીએ રહ્યો છે.

એભલના આવ્યાની વાત હજુ ગામ લોકોને મોઢે ઊભરાતી હતી ત્યાં જ ચતુર એવા જોરદાર ખબર લાવ્યો કે ગામ લોકો તો હબકી ગયા. ચતુરે મણિયા કંદોઈની દુકાને આવી જ્યારે કહ્યું કે ‘એભલ આજે રાતે રૂપસિંહને મળવા એને ઘરે જાવાનો છે’ ત્યારે સૌના શ્ર્વાસ તાળવે ચોંટી ગયા.

‘ખલાસ. પરોઢે રૂપસિંહની લાશ જ જડવાની.’
‘પણ રૂપસિંહ ઘરમાં હોય તોને’
‘અરે ભૈ, મેં જોયો છે નજરોનજર… એ ઘરમાં જ છે. અને ભાગીને હવે જાય પણ ક્યાં?’

‘પણ એભલ ફરી છડેચોક રૂપસિંહનું ખૂન કરીને પાછો જેલમાં.’
‘અરે ભૈ, એ તો એનું બોલેલું પાળે ઓવો મરદ છે. દસ વરસ જૂનું વેર છે. એ વેર ભૂલે એવો નથી.’

વાતોનો કોઈ અંત નહોતો અને આ વાત જ એવી હતી કે તેનો અંત આવી શકે તેમ નહોતું. ‘એભલ રૂપસિંહના ઘરે જવાનો છે.’ એ વાત જ એવી દારૂના ગોળા જેવી હતી કે જ્યાં ફૂટતી ત્યાં માણસો હબકી જતાં, પણ સવારે… સવારે… વાતનો અંત આવી જવાનો હતો. મણિયો કંદોઈ કહેતો, ‘સવારે જોજોને દિ’ ઊગતાં જ ખેલ ખલાસ. રૂપસિંહના ઘરમાંથી એની લાશ જ કાઢવી પડશે. અને એભલ એ તો ભાગી જવાનો જોજોને આઘેરો નીકળી જાશે. આ વખતે પોલીસના હાથમાં નઈ આવે… મરદ માણસ છે… વેર વાળીને રાતે જ નીકળી જાશે…’

ગામ લોકો વાતો કરતાં, કરતાં સાંભળતા અને સાંજ પડી ત્યાં જ સવાર પડવાની રાહમાં જાગતા રહ્યાં.

રૂપસિંહ ઓસરીમાં ખાટલો ઢાળીને સૂતો હતો. તેને ખબર હતી એભલ આવવાનો હતો, પણ હવે શું? એભલ આવે તોયે શું ફેર પડશે. રૂપસિંહને મનમાં હસવું આવ્યું. દસ વરસ… દસ વરસમાં તો કેવું કેવું બની ગયું. તેને લાખી યાદ આવી. હા, લાખી હોત તો જીવતરમાં ઘણો ફેર પડી જાત, પણ લાખી તો ચાલી ગઈ. એભલ… એભલ સમજી ન શક્યો, સમજ્યો હોત તો લાખીને પોતે સુખી કરતે, પણ હવે એ બધું યાદ કરવું નક્કામું હતું. લાખીના ગયા પછી રૂપસિંહ જીવવા જ નહોતો માગતો, પણ એભલના હાથે જ તેને મરવું હતું. તે જાણતો હતો એક જ દિ’ તો જેલમાંથી છૂટીને એભલ પાછો આવશે જ. રૂપસિંહને પાતાળમાંથી પણ શોધી કાઢશે અને રૂપસિંહ પણ એ દિવસની જ રાહ જોતો હતો. આજે તે દિવસ આવી ગયો હતો. એટલે જ રૂપસિંહ ખાટલામાં પડ્યો પડ્યો એભલના આવવાની રાહ જોતો હતો. તે આંખો મીંચીને પડ્યો રહ્યો. જે હાથે લાખી મરી હતી તે જ હાથે પોતે મરવા માગતો હતો. દસ વરસ સુધી એભલની રાહ જોઈ છે. નહીંતર મોત તો ઘડીકમાં મળી જાય તેમ હતું.

થોડી વારે ડેલી ખખડી. રૂપસિંહે આંખો ખોલ્યા વગર જ કહ્યું, ‘આવ એભલ, હું તારી જ વાટ જોતો હતો.’ પગલાં નજીક આવ્યાં એટલે રૂપસિંહે આંખો ઉઘાડી અને ખાટલામાં બેઠો થયો: સામે એભલ જ ઊભો હતો, પણ એભલ રૂપસિંહને જોઈને જાણે હેબતાઈ ગયો. આ રૂપસિંહ, ક્યાં ગઈ એની જુવાની…. એનું અલમસ્ત શરીર… આ રૂપસિંહ છે કે કોઈ ડોસો. ફાનસના આછા અજવાળામાં પણ રૂપસિંહને જોતા જ એભલ ચકરી ખાઈ ગયો. ‘બેસ એભલ, તારી માટે પાણી લાવું.’ કહીને રૂપસિંહ ઊભો થયો પણ એભલ ઓસરીની કોરે બેસતાં ‘ના… મારે પાણી નથી પીવું…’ બોલીને ફરી ટગર-ટગર રૂપસિંહની સામે તાકતો રહ્યો. કમ્મરમાંથી બેવડ વળી ગયેલો રૂપસિંહ. શરીરનું એકેએક પાંસળું દેખાતું હતું. દૂબળો અને માંદો જાણે મરવા પડેલી લાશ… રૂપસિંહને ઊભા થતાં પણ હાંફ ચડી… ઉધરસના જોરદાર બે ઠૂસકા આવી ગયા. ગળફો ગળામાં સલવાઈ ગયો. રૂપસિંહે જોર કરીને ગળફાને થૂંકી નાખ્યો.

એભલ તો હજુ આંખો ફાડીને રૂપસિંહ સામે તાકી રહ્યો હતો. એની નજર સાથે નજર મેળવતાં રૂપસિંહ બોલ્યો, ‘એભલ, મને ખબર છે તું મને મારવા આવ્યો છો, તો લે હું આ રહ્યો તારી સામે… મારી નાખ મને એટલે મારો છુટકારો થાય.’ બોલતાં બોલતાં રૂપસિંહ હાંફી ગયો. જાણે એને કોઈ દર્દ હતું…. જીવલેણ દર્દ.

એભલને હજુ કળ વળી નહોતી. તે ઊઠીને રૂપસિંહની નજીક આવ્યો અને એની જ પડખે બેસી ગયો. રૂપસિંહના રોગથી ખખડી ગયેલા શરીરને જોતાં તે ધીમા સાદે બોલ્યો, રૂપસિંહ… હું તને મારવા નથી આવ્યો, પણ એક વાત કહેવા આવ્યો છું. જેલમાં એકેય રાત મને ઊંઘ નથી આવી,’ બોલતાં બોલતાં એભલ અટકી ગયો. તેની આંખોની કોરે પાણી બાઝી ગયાં. પછી અંધારામાં જાણે કશું જોવાનો પ્રયત્ન કરતો હોય તેમ ફરી બોલ્યો, ‘લાખી મારી બેન. લાખીનો આત્મા ભટકે છે… મને સપનામાં આવી’તી અને કીધું કે રૂપસિંહને કશું કરીશ તો પછી હું ભટકતી રહીશ. રૂપસિંહ મારાથી પાપ થઈ ગયું. સગી બેનને મારી નાખી. તારી સાથે હા રૂપસિંહ આજે થાય છે કે તારી સાથે એની વળાવી હોત તો…’

એભલ આગળ બોલી ન શક્યો. એનું ગળું ભરાઈ આવ્યું. રડી પડ્યો. ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

રૂપસિંહની આંખો ફાટી ગઈ. એભલ રડતો હતો. હીબકાં ભરીને રડતો હતો, માફી માગતો હતો. આવું તો કેમ બને? પોતે તો મોતની રાહ જોતો જીવતો હતો. એભલ આવીને પોતાને મારી નાખે તો આ જીવલેણ રોગમાંથી છુટકારો થાય, પણ એભલ તો દસ વરસ પછી આવીને નાના બાળકની જેમ રડતો હતો.

રૂપસિંહે એભલના હાથને હાથમાં લેવા પોતાનો હાથ લંબાવવાનો પ્રયત્ન કર્યો પણ હાથ જાણે ખોટો પડી ગયો હતો. શરીર જાણે ધીરે ધીરે ખોટું પડતું જતું હતું. રડતા એભલ સામે નજર નોંધતાં તે બોલ્યો ‘એભલ’… અને જાણે જીભ પણ તાળવા સાથે અંદર ખેંચાવા લાગી. નસોમાં જાણે બરફ ભરાતો હોય તેવું રૂપસિંહને લાગ્યું અને તે ફરી ખાટલામાં સૂઈ ગયો. તેની છાતી હાંફતી હતી. રૂપસિંહ કશું બોલી શક્યો નહીં પણ તે એભલ સામે જોતો રહ્યો.

થોડી એભલ ઊઠયો અને રૂપસિંહના પગને સ્પર્શ કરી ભીના અવાજે બોલ્યો ‘રૂપસિંહ, હું તારો અને લાખીનો ગુનેગાર છું, પાપી છું, મને માફ કરજે.’

અને એભલ સડસડાટ ડેલી બહાર અંધકારમાં ભળી ગયો. રૂપસિંહ ડેલી તરફ ફાટી આંખે તાકી રહ્યો. બસ તાકી જ રહ્યો.

‘એભલે રૂપસિંહને ખતમ કરી દીધો.’

સવારમાં જ ગૌરીશંકરે દોડતાં આવી મણિયા કંદોઈને વાત કરી કે તરત જ દુકાને ટોળું ભેગું થઈ ગયું.

‘શું હો છો ભૈ… વાત સાચી?’

ગૌરીશંકર હાંફતો હતો. થોડી વાર શ્ર્વાસ ખાઈને બોલ્યો, ‘ભાઈના સમ… પોલીસ આવી ગઈ છે… રાતે એભલ રૂપસિંહને ઘરે ગયો’ તો… ચતુરે નજરોનજર ભાળેલો અને અડધી રાતે પાછો દોડતો ડેલી બહાર આવેલો.’

‘પણ રૂપસિંહ’ પૂછવાવાળાને અટકાવતાં જ ગૌરીશંકરે ખુલાસો કર્યો, ‘રૂપસિંહની લાશ ખાટલામાં જ પડી હતી. ગળું ડાબીને જ મારી નાખ્યો લાગે છે. ડોળા ફાટી ગ્યા’તા. પોલીસે એભલને આપાની વાડીએથી પકડ્યો અને એભલે પણ ગુનો કબૂલી લીધો.’

વાત સાંભળી ગામ ફરી હેબત ખાઈ ગયું…

મણિયો કંદોઈ કહેતો હતો ‘હું નો’તો કહેતો સવારે રૂપસિંહની લાશ જ મળશે. ભૈ, અમે એભલને ઓળખીએને, એ મરદ માણસ છે, વેર લીધે પાર કરે. મરદ વેર નોં ભૂલે.’
ગામમાં જાત જાતની વાતો થતી હતી ત્યારે એભલ હાથમાં હાથકડીઓ પહેરી ભીની આંખે નીચું જોઈ પોલીસ જમાદારને કહેતો હતો, ‘હા સાહેબ, રૂપસિંહને મેં જ રાતે ગળું દાબી મારી નાખ્યો છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?