વિશેષ: માત્ર પૃથ્વી પર જ નહીં, એ ગ્રહ પર પણ જીવન છે?

અનંત મામતોરા
પૃથ્વીથી સાતસો ટ્રિલિયન માઇલ દૂર સ્થિત K2-18b ગ્રહ પર જીવનના સંકેતો મળી આવ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય વૈજ્ઞાનિક નિક્કુ મધુસૂદને દાવો કર્યો છે કે આ ગ્રહના વાતાવરણમાં એવાં રસાયણો મળી આવ્યાં છે, જે ફક્ત જીવંત જીવો દ્વારા જ ઉત્પન્ન થાય છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઈ નથી, આ શોધ બ્રહ્માંડમાં જીવનની શક્યતાઓના દરવાજા ખોલી શકે છે.
માનવજાત સદીઓથી આ પ્રશ્ર્ન સાથે સંઘર્ષ કરી રહી છે. શું આપણે આ બ્રહ્માંડમાં એકલા છીએ? હવે આ રહસ્ય પરથી પડદો ઊઠતો દેખાય છે. પૃથ્વીથી સાતસો ટ્રિલિયન માઇલ દૂર સ્થિત K2-18b નામના ગ્રહ પરથી વૈજ્ઞાનિકોને સંકેતો મળ્યા છે, જે જીવનની શક્યતા તરફ નિર્દેશ કરે છે. આ ગ્રહ પૃથ્વી કરતાં અઢી ગણો મોટો છે અને તેના વાતાવરણની તપાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વિશેષ: 40 વર્ષ પછી મહિલામાં આ પાંચ રોગનું જોખમ વધે છે
K2-18bના વાતાવરણમાં, વૈજ્ઞાનિકોએ ડાયમિથાઈલ સલ્ફાઈડ (DMS) અને ડાયમિથાઈલ ડાયસલ્ફાઈડ (DMDS) જેવાં રસાયણો શોધી કાઢ્યાં છે, જે પૃથ્વી પર સામાન્ય રીતે ફાયટોપ્લાંકટોન અને બેક્ટેરિયા જેવા જીવંત જીવો દ્વારા જ ઉત્પન્ન થાય છે. જોકે આ સંકેતોને હજુ અંતિમ પુરાવા ગણી શકાય નહીં, પરંતુ મુખ્ય સંશોધક પ્રોફેસર નિક્કુ મધુસૂદન માને છે કે આગામી એક કે બે વર્ષમાં એ સાબિત થઈ શકે છે કે K2-18b પર જીવનની હાજરી શક્ય છે.
સમુદ્રની હાજરીનો સંકેત પણ છે
આ ગ્રહના વાતાવરણમાં એમોનિયાની ગેરહાજરીએ પણ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કેK2-18b પર એક વિશાળ સમુદ્ર હોઈ શકે છે, જે એમોનિયા શોષી રહ્યો છે. એમોનિયાની હાજરી સામાન્ય રીતે જીવન માટે એક મુખ્ય સંકેત છે, તેથી તેની ગેરહાજરી ગ્રહ પર જીવનને ટેકો આપતી રચનાઓ, જેમ કે સમુદ્ર, હોવાની શક્યતા વધારે છે. જોકે એ પણ શક્ય છે કે સપાટી નીચે લાવાનો સમુદ્ર હોઈ શકે છે, જે જીવન માટે પ્રતિકૂળ હશે.
આ પણ વાંચો: વિશેષઃ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે?
વધુ સચોટ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
વૈજ્ઞાનિકોને અત્યાર સુધી K2-18b ના વાતાવરણમાંથી ‘થ્રી-સિગ્મા’ સ્તરની પુષ્ટિ મળી છે. ‘સિગ્મા’ એ વૈજ્ઞાનિક ચોકસાઈ માપવા માટેનું ધોરણ છે. સામાન્ય રીતે, શોધને મજબૂત કહેવા માટે ‘ફાઇવ-સિગ્મા’ જરૂરી છે. જોકે થ્રી-સિગ્મા સ્તરે મળેલા સંકેતો આ દિશામાં એક મોટું પગલું છે, તેમ છતાં વૈજ્ઞાનિક સમુદાયને સંપૂર્ણ રીતે ખાતરી આપવા માટે વધુ ચોકસાઈની જરૂર છે.
પ્રોફેસર નિક્કુ મધુસૂદન કહે છે કે જો K2-18b પર જીવન મળી આવે છે, તો તે ફક્ત એક ગ્રહની વાર્તા નહીં હોય, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડમાં જીવનની વ્યાપક શક્યતાઓ જાહેર કરશે. આ શોધ માત્ર વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ માનવતાના ભવિષ્યની સમજણ માટે પણ ઐતિહાસિક માનવામાં આવશે.