ઈન્ટરવલ

આવી હતી આપણી વિશ્ર્વવિખ્યાતતક્ષશિલા- નાલંદા વિદ્યાપીઠ…

અહીં નાત- જાતના ભેદભાવ વગર અભ્યાસ-આવાસ-ભોજન- ઔષધ, વગેરેની સુવિધા ગરીબ વિદ્યાર્થીને વિનામૂલ્યે મળતી ,જયારે શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા.

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

તક્ષશિલા તથા નાલંદા જેવી વિશ્ર્વપ્રસિદ્ધ વિદ્યાપીઠ ભારતમાં હતી.તક્ષશિલા ઈસુના જન્મ પહેલાં સાતમી સદીથી જન્મ પછી છઠ્ઠી સુધી અસ્તિત્વમાં હતી.નાલંદા ઈસુના જન્મ પછી ચોથી સદીથી અસ્તિત્વમાં આવી હતી.કાળક્રમે નાશ પામીને બન્ને ઈતિહાસના ગર્તામાં ભલે સરી ગઈ,પણ એ બંને વિદ્યાપીઠ અનેક રીતે શ્રેષ્ઠ કેમ હતી એના ભવ્ય અને રસપ્રદ ઈતિહાસ આજની યુવા પેઠીએ જરૂર જાણવો જોઈએ…

પ્રાચીન ભારતના રાવલપિંડી શહેરની પશ્ર્ચિમે ૩૫ કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાંતની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરી હતી એવી ઈતિહાસ સાક્ષી પૂરે છે. ભરતે પોતાના પુત્ર તક્ષને એનો રાજા નિમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે જાણીતી થઈ એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.

ઈ.સ.પૂર્વના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની,બીજા સૈકામાં ઈન્ડો-બેક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુશાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી.ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો.

મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોવાથી એનું રાજકીય મહત્ત્વની સાથે એક વિદ્યા કેન્દ્ર તરીકે એની ખ્યાતિ વિશ્ર્વમાં હતી.

ઈ. સ.પૂર્વે સાતમી સદીથી ઈ.સ. છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યા કે ન્દ્ર બની ગયું પછી ઉજ્જૈન,મથુરા,મિથિલા,વારાણસી જેવાં મહાનગરો તથા કુરુ કોશલ જેવા પ્રદેશોમાંથી નાત- જાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ લેવા આવતા હતા.આ વિદ્યા કેન્દ્ર ગુરુકુળ સ્વરૂપનું હતું.વિદ્યાર્થીઓ ગુરુ આચાર્યના ઘેર રહેતા. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા.શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા.વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહેતો.

આચાર્ય જીવક,ભગવાન કૌટિલ્ય,વૈયાકરણી પાણિનિ,કોશલ સમ્રાટ પ્રસન્નજિત અહીંના વિદ્યાર્થી રહી ચૂકયા હતા.જીવક અને કૌટિલ્ય આચાર્ય પદે રહેલા.બ્રાહ્મણ દર્શનનું આ વિદ્યા કેન્દ્ર હતું એટલે અહીં ત્રણ વેદ-વ્યાકરણ ને દર્શન મુખ્ય વિષય હતા.ઉપરાંત વૈદક,શલ્ય કર્મ,ગજ વિદ્યા, ધનુર્વિદ્યા,જ્યોતિષ, નામું, વાણિજ્ય, કૃષિ, ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર જેવા ૬૪ જેટલા વિષયોનું અહીં અધ્યાપન થતું, જેમાં રાજકારણ,સામાજિક વિજ્ઞાન અને રાજધર્મ પણ સામેલ હતા.યુદ્ધથી લઈને વિવિધ કળાઓનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.અહીં વિવિધ ક્ષેત્રમાં વિશેષ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ આવતા.

ચારિત્ર્યનું ઘડતર,વ્યક્તિત્વનો વિકાસ,ધર્મ અને નીતિનું સિંચન,સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યા કેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં.આ આજની મુક્ત વિદ્યાપીઠનું પૂર્વકાલીન સ્વરૂપ હતું.પદવી પરીક્ષા ન હતી.વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી વ્યવહારિક અનુભવો માટે દેશાટને જતા. સમય વિતતા હૂણોના આક્રમણને લીધે આ નગરનો નાશ થયો તે પહેલા ચીની પ્રવાસી ફાહિયાન અહીં આવ્યો હતો, પરંતુ સાતમી સદીમાં આવેલા હ્યુએન સાંગે આ નગરની મુલાકાત લીધી તે વખતે ખંડેર અવસ્થામાં હતું.આ નગરના અવશેષો પ્રજાને પ્રત્યક્ષ કરવાનું પ્રથમ કાર્ય જનરલ કનિંગહામે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કર્યું હતું.

જો કે તેનું વ્યવસ્થિત ઉત્ખનન સર જ્હોન માર્શલના માર્ગદર્શન હેઠળ આ સદીની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું ત્યાર પછી ૧૯૪૪-૪૫માં સર મોર્ટીમર વ્હીલરે એના પર વિશેષ સંશોધન કરીન ઘણી અજાણી વાત બહાર લઈ આવ્યા.

આ થઈ તક્ષશિલા વિદ્યાપીઠની વાત.હવે જાણીએ નાલંદા વિશ્ર્વ વિદ્યાપીઠ વિશે…

નાલંદા બિહારનો એક જિલ્લો અને વિશ્ર્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યા કેન્દ્ર. તે પટણાથી આશરે ૮૮ કિલોમીટર દૂર ગંગાને કાંઠે અગ્નિ ખૂણે બડગામ ગામની હદમાં છે.

ફાહિયાને ઈ.સ. ૪૧૦માં અહીંની મુલાકાત લીધી હતી.નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તે નિશ્ર્ચિતપણે જાણવા મળતું નથી. ૧૯૦૨માં નાલંદા પાસે થયેલ ઉત્ખનન પરથી જાણવા મળે છે કે ત્યાં મહાન બૌદ્ધ વિદ્યાપીઠ હતી.ગુપ્ત વંશના રાજાઓ તથા હર્ષવર્ધન પાસેથી આર્થિક સહાય મેળવીને તેનો વિકાસ થયો હતો.પાંચમી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અહીં આવતા હતા. ભારતમાં આવેલા બે ચીની પ્રવાસી હ્યુએન સાંગ તથા ઈત્સિંગે નાલંદા વિદ્યાપીઠ વિશે વિગતો આપી છે.

ચીની પ્રવાસી હ્યુએન સાંગના જણાવ્યા મુજબ રાજા શક્રાદિત્યે (કુમાર ગુપ્ત પહેલો)એક મઠ બાંધીને નાલંદાનો પાયો નાખ્યો. એના પુત્ર બુદ્ધ ગુપ્તરાજે (સ્કંદગુપ્ત)એમાં ઉમેરો કર્યો અને પૌત્ર ગુપ્તરાજે (પરાગુપ્તે) તે કાર્ય આગળ વધાર્યું. ગુપ્તરાજના પુત્ર બલાદિત્યરાજે (નરસિંહગુપ્ત ૪૬૮ – ૪૭૨) અને તેના પુત્ર વજ્ર(કુમારગુપ્ત બીજો) એ વિહારનું બાંધકામ વિસ્તારી પૂર્ણ કર્યું.

નાલંદા વિદ્યાપીઠ ૧.૬ કિલોમીટર લાંબા અને ૦.૮૦ કિલોમીટર પહોળા વિસ્તારમાં ફેલાયેલી હતી. તેના મધ્યસ્થ વિદ્યાલયમાં સાત મોટા ખંડ અને ત્રણસો નાના ખંડ હતા.વિહારનાં મકાનો અને સ્તૂપો આયોજનપૂર્વક બંધાયેલાં હતાં.મકાનો ભવ્ય અને બહુમાળી હતાં.આ વિદ્યાપીઠમાં અગિયાર વિહાર જુદાં જુદાં સ્તૂપો,મંદિરો તથા વિશાળ માર્ગો મળી આવ્યાં છે.સમગ્ર વિસ્તારમાં ઈમારતો મુખ્યત્વે ઉત્તર- દક્ષિણ દિશા તરફ અને એની પૂર્વમાં વિહાર તથા પશ્ર્ચિમે મંદિર તથા સ્તૂપ હતાં.નાલંદાના વિહારોમાં ખુલ્લા ચોકની ચારે તરફ ઓરડા હતા અને પ્રવેશ માટે નાનો મંડપ હતો. મંડપની સામેની દીવાલે પૂજાસ્થાન હતું.નાલંદામાં ત્રણ નંબરની જગ્યા પરનો સ્તૂપ સૌથી વિશાળ હતો. ત્યાં ઊંડાં અને પારદર્શક તળાવો નીલકમલથી શોભાયમાન હતાં.ત્યાંનું શાંત અને પવિત્ર વાતાવરણ વિદ્યાનું પોષક હતું. વિદ્યાપીઠમાં અધ્યાપન માટે વિશાળ ખંડો,ચિંતન માટે યોગ ગુફાઓ,સરોવરો અને કુંજો હતાં. ‘ધર્મગંજ’ નામે પ્રસિદ્ધ પુસ્તકાલય રત્નસાગર,રત્નોદધિ અને રત્નરંજક નામના ત્રણ ભવ્ય પ્રસાદનું બનેલું હતું. તેમાં વિવિધ વિષયોની હજારો હસ્તપ્રતો હતી. રત્નોદધિને નવ માળ હતા.

નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ વ્યાકરણ,ગદ્ય-પદ્ય સાહિત્ય,તર્કશાસ્ત્ર, અભિધર્મકોષ અને જાતકોનું અધ્યયન કરવું પડતું. આટલું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાપીઠમાં પ્રવેશ માટે વિદ્યાર્થી લાયક બનતો હતો.આમ નાલંદા એ ઉચ્ચ અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી.પોતાના પ્રાંત કે દેશમાં વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓ આ જગપ્રસિદ્ધ વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે આવતા .આ વિદ્યાપીઠમાં ભારત ઉપરાંત ચીન,જાપાન,મોંગોલિયા,મધ્ય એશિયા, કોરિયા,જાવા,તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવતા .તેમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી અને દસમાંથી બે અથવા ત્રણ ઉમેદવારો ઉત્તીર્ણ થતાં.તેમાં ભણાવતા વિષયોમાં બૌદ્ધ ધર્મની અઢાર શાખાઓ વેદો, હેતુવિદ્યા, શબ્દવિદ્યા, વ્યાકરણ, સાંખ્ય, તર્કશાસ્ત્ર, ચિકિત્સાવિદ્યા, ગણિતશાસ્ત્ર, ન્યાય, યોગ, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો સમાવેશ થતો હતો. એશિયાનું તે મહાન સાંસ્કૃતિક કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મનું જ્ઞાન ત્યાંથી અન્ય દેશોમાં ફેલાયું હતું.

આઠસો વર્ષ પર્યંત આ વિદ્યાપીઠે ભારત તથા એશિયાના અનેક દેશોની વિવિધ પ્રજાનો માનસિક વિકાસ સાધ્યો હતો.એ માત્ર ભારતની જ નહિ, પરંતુ એશિયાની તત્કાલીન સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. ઈ.સ.ની સાતમી સદીમાં એ સમસ્ત જગતમાં અદ્વિતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.વિદ્યાર્થીઓને અધ્યાપન,આવાસ,ભોજન, ઔષધ વગેરે સુવિધા વિનામૂલ્ય મળતી.વિદ્યાપીઠને રાજાઓએ દાનમાં આપેલાં અનેક ગામોની આવકમાંથી બધો ખર્ચ મળી જતો.પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુએન સાંગ સાતમી સદીમાં ત્યાં પાંચ વર્ષ રહ્યા હતા.ત્યારે ત્યાં પાંચ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા એમણે વિદ્યાપીઠનાં મકાનો,પ્રાકૃતિક સૌંદર્ય વગેરેનું સરસ વર્ણન કર્યું છે.ત્યારબાદ ચીની પ્રવાસી ઈત્સિંગ (ઈ.સ.૬૭૩) આ વિદ્યાપીઠમાં રહ્યા હતા. ત્યાંની જલઘટિકાનું એમણે વિસ્તૃત વર્ણન કર્યું છે.

અહીં ધર્મપાલ, ચક્રપાલ, ગુણમતિ, સ્થિરમતિ, પ્રભામિત્ર, જ્ઞાનમિત્ર, શીલભદ્ર જેવા પ્રસિદ્ધ વિદ્વાનો અધ્યાપન કરતા. વિદ્યાપીઠનું સંચાલન એક મુખ્ય ભિક્ષુક વિદ્યાવિષયક તથા વ્યવસ્થાવિષયક સમિતિઓની મદદથી કરતા હતા. તિબેટમાં લામાવાદના સ્થાપક પદ્મસંભવ નાલંદા અભ્યાસ કરવા ગયા હતા.નવમી સદીમાં નાલંદાના બાર ભિક્ષુકો પ્રથમ સાત તિબેટી ભિક્ષુઓને સ્થાપિત કરવા તિબેટ ગયા હતા. બંગાળના પાલ વંશના રાજાઓ નાલંદા વિદ્યાપીઠને ઘણી આર્થિક મદદ કરતા. બારમી અને તેરમી સદીઓમાં મુસ્લિમ આક્રમકોએ નાલંદા વિદ્યાપીઠની ઈમારતોને આગ લગાડીને નાશ કર્યો. અનેક વિદ્યાઓની હજારો હસ્તપ્રતોનો તેમાં નાશ થયો.ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વગેરેને મારી નાખવામાં આવ્યા હતા…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?