ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?

- દેવલ શાસ્ત્રી
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાની ધમાલ વચ્ચે માણસ એકલતા અનુભવતો હોય છે. ચેક લેખક ફ્રાન્ઝ કાફ્કાની ધ ‘મેટામોરફોસીસ’ એક અનોખી વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર ગ્રેગોર સામ્સા છે. એક સવારે ગ્રેગોર ઊઠે છે અને અનુભવે છે કે એ એક વિશાળ જંતુમાં ફેરવાઈ ગયો છે. ગ્રેગોરનું માણસમાંથી જંતુ બનવાનું રૂપાંતર માટે લેખકે કોઈ કારણ આપ્યું નથી.
આ વિશ્વપ્રસિદ્ધ કથામાં ગ્રેગોર પોતાના પરિવારનું આર્થિક ભરણપોષણ કરે છે, પણ હવે જંતુ બની જવાથી કામ પર જઈ શકતો નથી. ગ્રેગોર, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, હવે નકામો થઈ જાય છે. પ્રારંભમાં પરિવાર સહાનુભૂતિ રાખે છે, પણ ધીમે ધીમે પરિવાર એને બોજ માનવા લાગે છે. ગ્રેગોર ધીમે ધીમે સમાજ અને પોતાની ઓળખથી અલગ થઈને દુનિયા માટે એકલો અને નકામો થઈને મરી જાય છે.
સામાન્ય જીવનમાં પણ આવું જ થતું હોય છે, માણસ જયારે મનોમન એવું માનવા લાગે છે કે એની જરૂરિયાત રહી નથી ત્યારે તે મનોમન મરવા લાગે છે. મનમાં ખાલીપો વધવા લાગે ત્યારે પોતાને જાણે -અજાણે બોજારૂપ માનવા લાગે છે.
જીવનમાં ઘણા પ્રશ્નો સતાવતા હોય છે, ક્યારેક એવું લાગે છે કે જીવનનો હેતુ શું છે કે પછી આ ધરતી પર શા માટે આવ્યો છે અથવા બીજાઓને પોતાના કરતાં શા માટે વધારે સુખ છે. આ પ્રશ્નોના જવાબ એ ભગવાન પાસે અથવા કુદરત પાસે શોધે છે.
ભગવાન અથવા પ્રકૃતિ તો સદાય મૌન ધારણ કરીને બેઠા છે. તેમને આપણા સવાલોની પરવા હોતી નથી. આપણને જવાબ મળતો નથી ત્યારે શૂન્યતાનો અનુભવ થાય છે. આ શૂન્યતાનું બીજું નામ ખાલીપો છે, જે સદાય પરેશાન કરે છે.
આ ખાલીપાને બીજી રીતે સમજવાની કોશિશ કરીએ, માણસ દરરોજ લગભગ એક જેવું કામ એક સરખા સમયે કરતો રહે છે. સવારે નવથી સાંજના પાંચ સુધી કામ કરતો રહે છે. એક સમયે એને રોજનું એકસરખું કામ નિરર્થક લાગે છે. માણસ જીવનનો હેતુ શોધવા પ્રયત્ન કરે છે, પણ જવાબ મળતો નથી. એ સતત જાતને પૂછતો ફરે છે કે શા માટે મારે જ આવી વ્યર્થ જિંદગી જીવવાની? એ જ વ્યક્તિ સોશિયલ મીડિયા તેમ જ સમાજમાં પોતાની સજ્જન અને બુદ્ધિશાળી હોવાની છાપ પાડવાનો પ્રયાસ કરે છે, પણ એક સમયે પોતાની જાતને છેતરતો હોવાથી અંતરાત્મા સ્વયં સામે બળવો પોકારે છે.
આલ્બેર કેમૂ નામના ફ્રેન્ચ વિચારકે એક વાર્તાના માધ્યમથી આ વાતને સરળ રીતે સમજાવી છે. સિસિફસ નામનો રાજા એક સમયે દેવતાઓને છેતરે છે. દેવતાઓ રોષે ભરાઈને એને શાપ આપે છે. જેમાં એક વિશાળ પથ્થરને ડુંગરની ટોચ પર ધકેલવાનો છે. દર વખતે પથ્થર નીચે ગબડી જાય છે. આમ છતાં તેણે આ કામ ચાલુ રાખવાનું છે. આ નિરર્થક કામ આપણા જીવનની એવી લડાઈ જેવું છે, જેમાં અંતે કશું હાથ ન આવે, છતાં આપણે ચાલુ રાખીએ છીએ. એક સરખા વિચારોને લીધે જીવનમાં ખાલીપો લાવે છે અને માણસ નિરાશાની ગર્તામાં ડૂબવા લાગે છે.
આપણ વાંચો: આ તો સ્કેમ છેઃ ચેટ્ટુરને ગંભીરતાથી લેવાયા હોત તો ખજાનો મળ્યો હોત?
લેખક આલ્બેર કેમુ આ ખાલીપાનો ઉકેલ આપતાં બહુ સરસ કહે છે, જયારે તમારા અસ્તિત્વ અથવા જીવનનો અર્થ મળતો નથી ત્યારે માણસના મનમાં નિરાશા વ્યાપી જાય છે. કોઈ ચમત્કારિક શક્તિ પાસે જવાબ મળતો નથી ત્યારે તે વધુ નિરાશા અનુભવે છે. આલ્બેર કેમુ માને છે કે માણસે ખાલીપા સામે અલગ રીતે વિચારવાની જરૂર છે. બ્રહ્માંડ કોઈ જવાબ આપતું નથી તો સામા પક્ષે તમને કોઈ પ્રશ્ન પણ પૂછતું નથી. તમે કયું કામ શા માટે કર્યું તો એનો પ્રશ્ન ક્યારેય કોઈ શક્તિ કે પછી બ્રહ્માંડ પૂછતું નથી. એનો અર્થ એવો થયો કે તમે તમારું જીવન માણવા માટે સ્વતંત્ર છો. ખાલીપાનો સામનો કરવા તમને ધરતી પર મળેલી સ્વતંત્રતાને ભોગવતા શીખવાની જરૂર છે. માણસે નિરાશામાં ડૂબવાને બદલે જીવનને હિમ્મત અને સ્વતંત્રતાથી જીવવું જોઈએ.
સૌથી મોટી વાત એ છે કે નિરર્થક જિંદગીને જુસ્સા સાથે જીવતા શીખવું જોઈએ. આપણે નાની-નાની ખુશીઓ, પ્રકૃતિની સુંદરતા અને મજાના અનુભવોને માણવા રહેવા જોઈએ, ભલે તેનો કોઈ શાશ્વત અર્થ ન હોય. આપણા કામમાં આનંદ શોધવો જોઈએ. આજના સોશિયલ મીડિયાના યુગ મુજબ વિચારીએ તો આપણે દંભમાંથી બહાર નીકળીને થોડી વાસ્તવિક જિંદગી તરફ વળવું જોઈએ. સોશિયલ મીડિયામાં પોતાનો ઉલ્લેખ કરતી વેળા જાતને છેતરવાની બંધ કરવી જોઈએ.
મેક્સિકોના લુઈસ બુનુએલની ફિલ્મ આવી હતી. ફિલ્મમાં શ્રીમંત લોકો એક ડિનર પાર્ટીમાં જાય છે અને કોઈ અજાણ્યા કારણોસર એક રૂમમાં ફસાઈ જાય છે. દરવાજો ખુલ્લો છે છતાં દિવસો સુધી એ બધા બહાર નીકળી શકતા નથી. રૂમમાં સભ્ય સમાજ અસભ્ય થઇ જાય છે, આ ફિલ્મ આપણા સમાજની વાસ્તવિકતા બતાવે છે. આપણે જીવનની સ્વતંત્રતાઓ ભોગવવાને બદલે રૂઢિઓ અને નિયમોમાં ફસાઈ જઈએ છીએ, જેનો કોઈ હેતુ નથી. આ ફિલ્મ જોતી વખતે લાગે છે કે આપણે પણ ક્યાંક આવી જ અદૃશ્ય જેલમાં ફસાયેલા છીએ.
ભારતીય સનાતન પરંપરામાં જીવનની અર્થવિહીનતા પર ઉપનિષદના માધ્યમથી વિગતે લખવામાં આવ્યું છે, ‘હું કોણ છું કે હું કોણ નથી’ જેવા પ્રશ્નથી મનુષ્ય જીવનના જવાબ શોધવાનો પ્રયાસ થયો છે. ભગવદ ગીતામાં અર્જુનના પ્રશ્નમાં પણ આપણને જીવનની નિરર્થકતા દેખાય છે અને ભગવાન જીવનમાં ઉલ્લાસ અને ઉત્સાહ આપતા કહે છે કે ‘તું ફક્ત કર્મ કર, બાકી ચિંતા મારા પર છોડી દે….’ ભારતીય સનાતન સાહિત્ય એબ્સર્ડીઝમની જેમ જીવનની અર્થહીનતાને સ્પષ્ટ રીતે સ્વીકારતું નથી. તેના બદલે જીવનની શૂન્યતા, દુ:ખ અને અનિશ્ર્ચિતતાને માયા, અજ્ઞાન અથવા કર્મનું પરિણામ માને છે. જીવનમાં તેનો ઉકેલ ધર્મ, ભક્તિ, કર્મયોગ અથવા આત્મજ્ઞાન દ્વારા આપે છે. ભગવાન બુદ્ધ જીવનની શૂન્યતાની વાત કરે છે પણ એમનો ઉદ્દેશ્ય થોડો
અલગ છે.
એક વાત હંમેશાં યાદ રાખવાની જરૂર છે કે જીવનમાં ખાલીપાનો અહેસાસ થતો હોય, એવું લાગે કે જીવન જીવવાનો ય કંટાળો આવે છે ત્યારે નાની ખુશીઓ અને હિંમત જ મદદરૂપ થાય છે. આજના જીવનમાં સોશિયલ મીડિયા, નોકરીઓ ધંધાના પ્રેશર અને બિનજરૂરી બંધનોમાં ફસાયેલા હોઈએ છીએ, આ ખાલીપાની લાગણી સામાન્ય છે. આ સમયે દોસ્તો સાથે ગપ્પાં મારવા, સંગીત, પ્રકૃતિ સાથે જોડાવું કે ક્યારેક તો એક કપ ચા પણ જિંદગી જીવવાનો ઉત્સાહ આપે છે. ક્યારેક જિંદગી ભલે ખાલી લાગે, આપણે તેને પોતાની રીતે રંગીન બનાવી શકીએ.
ધ એન્ડ :
જૈન પુરાણ મુજબ ભગવાન ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે રાજ્યસત્તા માટે યુદ્ધ થાય છે. ભરત સમગ્ર વિશ્વને જીતવાની ઇચ્છા રાખે છે, પરંતુ બાહુબલી તેનો પ્રતિકાર કરે છે. યુદ્ધની અર્થહીનતા સમજાયા પછી બાહુબલી સંસારનો ત્યાગ કરીને તપસ્યા કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભરત પણ અંતે સંસારની નિરર્થકતા સમજે છે અને આધ્યાત્મિક માર્ગ અપનાવે છે.