મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….

વોશિંગ્ટન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શુક્રવારથી ચાલી રહેલી ભીષણ જંગ વધુ ઉગ્ર બની છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ ઈરાનમાં ભારે તબાહી મચાવીને સેંકડો ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. બીજી તરફ ઈરાને પણ ઇઝરાયલના અનેક મોટા શહેરો પર મિસાઈલ હુમલા કરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. આ બધા વચ્ચે, ઇઝરાયલના સમર્થનમાં અમેરિકા પણ યુદ્ધના મેદાનમાં ઝંપલાવી શકે તેવી અટકળો તેજ બની છે. આ અટકળો પર હવે ઈરાનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે અમેરિકાને કડક ચેતવણી આપી છે.
ઈરાનની અમેરિકાને સ્પષ્ટ ચેતવણી
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ ઇઝરાયલ દ્વારા ઈરાન પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે અમેરિકાને ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે “અમેરિકાનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ આ ક્ષેત્રમાં પૂર્ણ યુદ્ધનું કારણ બનશે. એટલે કે, ઇઝરાયલી હુમલાઓમાં અમેરિકન હસ્તક્ષેપથી ‘પૂર્ણ યુદ્ધ’ ફાટી નીકળશે.”
શા માટે અમેરિકાની એન્ટ્રીની સંભાવના?
શરૂઆતમાં, ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં અમેરિકાએ પોતાને અલગ રાખ્યું હતું. જોકે, હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધમાં ભાગીદારીનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ યુદ્ધવિરામથી કઈક વધુ વિચારી રહ્યા છે. અમેરિકાએ આ ક્ષેત્રમાં વધુ યુદ્ધ વિમાનો મોકલી આપ્યા છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સરકારને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું હતું અને ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમને ખબર છે કે અયાતુલ્લા ખોમેની ક્યાં છુપાયેલા છે.
આ પણ વાંચો - ઇન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી! બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત આવી, અનેક ઉડાનો રદ…
અત્યાર સુધી કોને કેટલું નુકસાન?
વોશિંગ્ટન સ્થિત એક ઈરાની માનવાધિકાર જૂથ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈરાનમાં ઓછામાં ઓછા 239 નાગરિકો સહિત 585 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, 1,300 થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાને ઇઝરાયલ પર 400 મિસાઈલો અને સેંકડો ડ્રોન છોડ્યા છે. આ હુમલાઓમાં ઇઝરાયલમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.