Bangladesh માં હિંસક પ્રદર્શન બાદ 105 લોકોના મોત, દેશની કમાન સેનાને સોંપાઈ

ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસક વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ અત્યંત નાજુક છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારે હવે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની કમાન સેનાને સોંપી દીધી છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
બાંગ્લાદેશમાં સરકારે શુક્રવારે કર્ફ્યુ લાદી દીધો હતો અને સરકારી નોકરીઓમાં ક્વોટાને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે સેનાને તૈનાત કરી હતી. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને કહ્યું કે દેશમાં કોઈપણ પ્રકારની રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સ્થિતિ પર કાબુ મેળવવો મોટો પડકાર
દેશભરમાં ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા રોકવામાં પોલીસ નિષ્ફળ રહી છે. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 105 લોકો માર્યા ગયા છે. જેમાંથી 52 લોકોના મોત શુક્રવારે રાજધાની ઢાકામાં થયા છે. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ છે. નઈમુલ ઈસ્લામે કહ્યું કે સરકારે લોકોની મદદ માટે સેના તૈનાત કરવાનો અને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. 15 વર્ષથી સત્તામાં રહેલા વડાપ્રધાન શેખ હસીનાની સરકાર માટે આ સ્થિતિ પર કાબુ મેળવવો મોટો પડકાર છે.
શું છે આંદોલનકારીઓની માંગ
વર્ષ 1971માં પાકિસ્તાન સામેની આઝાદીની લડાઈમાં લડનારા લીડરોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની કેટલીક નોકરીઓ અનામત રાખવાની વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શનકારીઓ ઘણા દિવસોથી રેલીઓ કરી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે અને વડા પ્રધાન શેખ હસીનાના સમર્થકોને લાભ આપે છે.
અવામી લીગ પાર્ટીએ મુક્તિ ચળવળનું નેતૃત્વ કર્યું
અવામી લીગ પાર્ટીએ મુક્તિ ચળવળનું નેતૃત્વ કર્યું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે તેને મેરિટ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવે. અનામત પ્રણાલીનો બચાવ કરતી વખતે હસીનાએ કહ્યું હતું કે સંઘર્ષમાં યોગદાન આપનારાઓનું સન્માન કરવું જોઈએ, પછી ભલે તે કોઈ પણ રાજકીય સંબંધ હોય.