ઇન્ટરનેશનલ

ઇઝરાયેલ શું છુપાવી રહ્યું છે? બે બ્રિટિશ મહિલા સાંસદોને ઇઝરાયલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા

તેલ અવિવ: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર ખતમ થયા બાદ ઉઝારાયેલે ગાઝામાં ફરી હુમલા શરુ કર્યા છે. યુનાઈટેડ નેશન્સના અહેવાલ મુજબ 18 માર્ચે ઈઝરાયેલે ફરી હુમલા શરૂ થયા પછી ગાઝામાં દરરોજ ઓછામાં ઓછા 100 બાળકોના મોત થઇ રહ્યા છે અથવા ઘાયલ થઇ (Israel attacks on Gaza) રહ્યા છે, અમેરિકા સહીત પશ્ચિમી દેશો ઇઝરાયેલના સમર્થનમાં રહ્યા છે. એવામાં ઇઝરાયલે એક ચોંકાવનારુ પગલું ભર્યું છે. ઇઝરાયલે બે બ્રિટિશ મહિલા સાંસદો(British Members of Parliament)ને દેશમાં પ્રવેશતા અટકાવ્યા એટલું જ નહીં, પણ તેમને અટકાયતમાં પણ લીધા.

અહેવાલ મુજબ બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદો અબ્તિસમ મોહમ્મદ (શેફિલ્ડ સેન્ટ્રલના સાંસદ) અને યુઆન યાંગ (અર્લી અને વુડલીના સાંસદ) ગાઝાની સ્થિતિ પર નજર રાખવા માટે સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે ઇઝરાયેલ પહોંચ્યા ત્યારે તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા અને અટકાયતમાં લેવામાં આવ્યાં. આ મામલે બ્રિટનમાં હોબાળો મચી ગયો છે. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ ઇઝરાયેલના પગલાની ટીકા કરી છે.

ઇઝરાયેલનો દાવો:
અજેવાલ મુજબ બંને મહિલા સાંસદોની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી બંનેને બ્રિટન પરત મોકલી દેવામાં આવ્યા હતાં. ઇઝરાયેલની ઓથોરિટીએ આરોપ લગાવ્યો કે બંને સાંસદો ઇઝરાયલ અને તેના લોકો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાવના ફેલાવવાના રાદાથી આવ્યા હતાં. આ આધારે, સાંસદો અને તેમના બે સાથીદારોને બેન ગુરિયન એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

બ્રિટને ઇઝરાયેલની ટીકા કરી:
સાંસદો શનિવારે લ્યુટન એરપોર્ટથી ઇઝરાયેલના તેલ અવિવ જવા રવાના થયા હતાં. તેઓ હાલ ગાઝા ઉભી થયલી માનવીય કટોકટી અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા માટે ઇઝરાયેલ જઈ રહ્યા હતા. જોકે, ઇઝરાયલે દાવો કર્યો કે આ કોઈ ઔપચારિક સત્તાવાર મુલાકાત નહોતી, જ્યારે બ્રિટિશ વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણ કહ્યું કે સાંસદો સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે ઇઝરાયેલ પહોંચ્યા હતાં.

બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ આ ઇઝરાયેલમાં આ પગલાને વખોડી કાઢ્યું છે. લેમીએ આ પગલાને “અસ્વીકાર્ય, નિંદનીય અને ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યું હતું. તેમણે કહ્યું: “મેં ઇઝરાયલી સરકારમાં મારા સમકક્ષોને સ્પષ્ટ કરી દીધું છે કે બ્રિટિશ સંસદ સભ્યો પ્રત્યે આવું વર્તન સહન કરી શકાય નહીં.”

બ્રિટિશ વિદેશ મંત્રાલયે પણ આ નાગે નિવેદન આપ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, “અમારો ઉદેશ્ય ગાઝામાં રક્તપાત રોકવા, બંધકોને મુક્ત કરવા અને સંઘર્ષના કાયમી ઉકેલ તરફ વાટાઘાટોને આગળ વધારવાનું છે.”

નોંધનીય છે કે ગાઝામાં નિર્દોષોની નિર્મમ હત્યા અને માનવ અધિકારોના ખુલ્લેઆમ ઉલંઘનને કારણે ઇઝરાયેલની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. જેને ઇઝરાયેલના બ્રિટીશ સાંસદો સામેની કાર્યવાહીને કારણે અટકળો લાગી રહી છે, કે ઇઝરાયેલ તેના કર્યો પર ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આપણ વાંચો: ઈરાનમા આર્થિક સંકટ ઘેરું બન્યું, 10 લાખ રિયાલની કિંમત 1 ડોલર, જાણો કારણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button