ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યા ખુલાસા! કહ્યું ‘ખામેનીને મેં બચાવ્યા, ઈરાન પર હુમલાની પણ આપી ચેતવણી…

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના તાજેતરના નિવેદનો પર આકરા પ્રહારો કરતા રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. શુક્રવારે ટ્રમ્પે ખામેની પર પ્રહારો કરતાં કહ્યું કે, “તમને ખરાબ રીતે માર મારવામાં આવ્યા છે, હવે તમે નરકમાં છો.” તેમણે ખામેનીને તેમના લોકોની સામે સાચું બોલવાનો પડકાર પણ ફેંક્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે પોતે ઈઝરાયલ અને અમેરિકા બંનેને ખામેની પર હુમલો કરતા રોક્યા હતા અને તેમને “ઘણી વખત ખૂબ જ ખરાબ મોતથી બચાવ્યા” હતા.
ખામેનીના નિવેદન પર અમેરિકા ભડક્યું
અયાતુલ્લાહ ખામેનીએ તાજેતરમાં રેકોર્ડ કરાયેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો કે ઈરાને “ઈઝરાયલ સાથેનું યુદ્ધ જીતી લીધું છે” અને કતારમાં આવેલા અમેરિકન એરબેઝ પર મિસાઈલ હુમલો કરીને “અમેરિકાના ચહેરા પર થપ્પડ મારી છે.” આ નિવેદન સાંભળીને ટ્રમ્પ ભડકી ઉઠ્યા હતા. તેમણે પત્રકારોને સંબોધિત કરતા ખામેનીને કહ્યું, “જુઓ, તમે એક ધર્મનિષ્ઠ વ્યક્તિ છો… તમારે સાચું બોલવું પડશે. તમે સંપૂર્ણપણે હારી ગયા છો.” તેમણે ખામેનીને ઈરાનના ઉચ્ચ સન્માનિત રાજકીય-આધ્યાત્મિક નેતા ગણાવીને તેમને પોતાના નિવેદનોનો સામનો કરવા જણાવ્યું.
ખામેનીને નિશાન બનાવવાની યોજના ટ્રમ્પે અટકાવી
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે ઈઝરાયેલે ખામેનીને નિશાન બનાવવાની યોજના બનાવી હતી, જેને તેમણે પોતે અટકાવી હતી. તેમણે કહ્યું, હું જાણતો હતો કે તે ક્યાં છુપાયેલા છે, અને મેં ઈઝરાયલ કે અમેરિકી સેનાને તેમને ખતમ કરવાની મંજૂરી આપી નહિ… મેં તેમને ખૂબ જ ખરાબ મોતથી બચાવ્યા. આ જ દાવાઓના સંદર્ભમાં, ટ્રમ્પે આગળ જણાવ્યું કે યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા, જેનાથી તેહરાનના પરમાણુ કાર્યક્રમને ભારે નુકસાન પહોંચ્યું છે.
અમેરિકા ફરીથી ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર હુમલો કરી શકે
ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન ફરીથી પોતાના પરમાણુ કાર્યક્રમ તરફ પાછું ફરે છે, તો તેઓ નવા પ્રતિબંધો હળવા કરવાનો પ્રયાસ કરશે નહીં અને યુદ્ધને ફરીથી સક્રિય કરવાની પણ સંભાવના છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જરૂર પડ્યે અમેરિકા ફરીથી ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર હુમલો કરી શકે છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંને “થાકી ગયા છે” અને હાલ પરમાણુ ક્ષમતાની દિશામાં આગળ વધવા નથી માંગતા. તેમણે આશા વ્યક્ત કરી કે આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ એજન્સી દ્વારા ઈરાનની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.
ઈરાની વિદેશ મંત્રાલયનો વળતો પ્રહાર
આ નિવેદનો પર ઈરાની વિદેશ મંત્રાલયે ટ્રમ્પના કડક શબ્દોની સખત નિંદા કરી હતી અને કહ્યું કે જો ટ્રમ્પ ઈરાન સાથે પરમાણુ વાર્તાલાપ કરવા માંગે છે, તો તેમણે ખામેનેઈ પ્રત્યે “અસમ્માનજનક ભાષા” છોડવી પડશે. ખામેનેઈએ પણ ટ્રમ્પને “ધમકી આપનાર” ગણાવતા કહ્યું કે ઈરાની લોકો “ધમકીમાં નહીં આવે” અને “સંઘર્ષ માટે તૈયાર છે.”
ઈઝરાયલ પર વિજયનો દાવો હકીકતથી દૂર
ટ્રમ્પે ખામેનીના ઈઝરાયલ પર વિજયના દાવાને હકીકતથી કોસો દૂર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ખામેનેઈની ટિપ્પણીઓ ૧૨ દિવસના ઈઝરાયેલી હુમલાઓ અને અમેરિકા દ્વારા ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારા પછીની પરિસ્થિતિથી તદ્દન વિપરીત છે. ટ્રમ્પે ઉમેર્યું કે આ હુમલાઓથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને ભારે નુકસાન થયું છે અને ખામેની જેવા શક્તિશાળી ધાર્મિક અને રાજકીય નેતા પાસેથી આવી વાતો “શોભા નથી દેતી.”
નેતન્યાહુ ખામેનીની હત્યા કરવા માંગતા હતા
શુક્રવારે કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારે યુદ્ધની શરૂઆતમાં ખામેનીની હત્યાની યોજના વ્હાઇટ હાઉસને સુપરત કરી હતી. પરંતુ ટ્રમ્પે તે યોજનાને વીટો વાળી દીધો હતો, જેની એક અમેરિકી અધિકારીએ ગુપ્ત રીતે પુષ્ટિ કરી છે. આ નિવેદનબાજી સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તણાવ હજુ વધુ ગાઢ બનવાની સંભાવના છે, ભલે લશ્કરી કાર્યવાહી હાલ પૂરતી અટકી હોય.
આપણ વાંચો : યુદ્ધથી થાક્યા કે ઉંમરથી થાક્યા! ઈરાન સુપ્રિમ લીડરના નિરસ વિજય ઘોષણાથી વિશ્વમાં કુતૂહલ