ઓપરેશન સિંદૂરની અસર: ભારતના હુમલાથી પાકિસ્તાનનો રહીમ યાર ખાન એરબેઝ 2025 સુધી બંધ!

ઇસ્લામાબાદ: ભારતના ઑપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવેલા હવાઈ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝ માટે પાકિસ્તાને ફરી એકવાર NOTAM (Notice to Airmen) જારી કર્યું છે. આ એરબેઝ 4 જુલાઈ, 2025 સુધી બંધ રહેશે. OSINT એક્સપર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતીની પુષ્ટિ કરતા લખ્યું કે, પાકિસ્તાને રહીમ યાર ખાન એરબેઝ માટે ફરીથી NOTAM જારી કર્યું છે. આ તે જ રનવે છે જેને ભારતે મે 2025માં નિશાન બનાવ્યો હતો.

9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ભારતે 6-7 મે, 2025ના રોજ ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 100 થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા, જેનાથી પાકિસ્તાન ગંભીર રીતે ભડકી ઉઠ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારતના સૈન્ય અને નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતના મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના એરબેઝ અને આતંકી કેમ્પોનો ભારતે કર્યો નાશ, સામે આવી નવી સેટેલાઇટ તસવીરો…
પાકિસ્તાની વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ ઠેકાણાઓમાંનું એક
રહીમ યાર ખાન એરબેઝને પાકિસ્તાની વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ ઠેકાણાઓમાંનું એક માનવામાં આવે છે. ભારતના સચોટ મિસાઈલ હુમલાઓથી આ એરબેઝને મોટું નુકસાન થયું હતું, જેને ઈસ્લામાબાદની સૈન્ય ક્ષમતા પર એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ભારતીય સરકારે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, આ નિર્ણય સૈન્ય માળખાને નિષ્ક્રિય કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો હતો, જેથી સામાન્ય નાગરિકોને નુકસાન ન થાય અને આતંકવાદના ઠેકાણાઓને અસરકારક રીતે ખતમ કરી શકાય. અધિકારીઓએ એરબેઝના સમારકામ અને સુરક્ષા કારણોસર એરબેઝ બંધ કરવાનો નિર્ણય લીધો છે. NOTAM અનુસાર, 4 જુલાઈ, 2025 સુધી એરબેઝ કાર્યરત રહેશે નહીં.