ઈઝરાયલથી ભારતીયોને પરત લાવવા શરૂ કરાયું ઓપરેશન સિંધુ, જૉર્ડન પહોંચી પ્રથમ બેચ

નવી દિલ્હી : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતનું ઓપરેશન સિંધુ ચાલુ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે 160 ભારતીય નાગરિકોની પ્રથમ બેચ ઇઝરાયલ-જોર્ડન સરહદ સુરક્ષિત રીતે પાર કરી છે. ભારતીય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે ત્યાંથી એક ખાસ ફ્લાઇટ રવાના થશે.
ભારતીયોનો વિગતવાર ડેટાબેઝ એકત્રિત કરવામાં આવ્યો
આ અંગે મળતી માહિતી મુજબ, ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે તેલ અવીવમાં 24 કલાક કંટ્રોલ રૂમ સ્થાપ્યા છે. ભારતીય નાગરિકોને ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઇઝરાયલમાં ભારતીય નાગરિકોનો વિગતવાર ડેટાબેઝ એકત્રિત કરવામાં આવ્યો છે.
ભારતીયો ભયનો સામનો કરી રહ્યા હતા
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલમાં રહેતા ભારતીયો ભયનો સામનો કરી રહ્યા હતા. ભારતીયોને ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાથી પોતાને બચાવવા માટે બંકર અથવા સલામત રૂમમાં આશરો લેવો પડ્યો હતો. ભારત આવી રહેલા અરવિંદ શુક્લાએ જણાવ્યું હતું કે કટોકટીના સમયમાં દૂતાવાસ દ્વારા કરવામાં આવેલું કાર્ય પ્રશંસનીય છે.
નાગરિકોની સલામતીને પ્રાથમિકતા
ઇઝરાયલ અને જોર્ડનની સરકારોએ સ્થળાંતરમાં સહયોગ કર્યો હતો. વિદેશ મંત્રાલયે અમ્માનથી નવી દિલ્હી માટે ખાસ ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું. ઇઝરાયલમાં ભારતીય મિશન દ્વારા તેના નાગરિકોના અપડેટ્સ માટે ચોવીસ કલાક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંધુ જેવા ઓપરેશન વિદેશમાં તેના નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપે છે.
જ્યારે પ્રથમ બેચમાં જે ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા તેઓ તેલ અવીવ અને હાઇફામાં નિયુક્ત બેઠક સ્થળોએ ભેગા થયા હતા. ત્યારબાદ તેમને ઇઝરાયલ-જોર્ડન સરહદ પર શેખ હુસૈન બ્રિજ પર રોડ માર્ગે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય નાગરિકોનું જૂથ અમ્માન એરપોર્ટ માટે રવાના થયું હતું.
આ પણ વાંચો…ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન