ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ ભીષણ યુદ્ધ વચ્ચે સૈનિકોને મળવા પહોંચ્યા
સૈનિકોનું મનોબળ વધાર્યું

તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઈઝરાયલ આકરા જવાબી હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયલે ગાઝાનો નકશો બદલવાની પ્રતિજ્ઞા લીધી છે. તે જ સમયે, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1200 થી વધુ ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે. આ સાથે 2800 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
યુદ્ધની વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સૈનિકોને મળવા આવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. પીએમ નેતન્યાહૂ સૈનિકો સાથે હાથ મિલાવતા અને વાત કરતા જોવા મળ્યા હતા.
https://x.com/netanyahu/status/1712520329032061103?s=20
એક તરફ ઈઝરાયેલના પીએમ પોતાના સૈનિકોને મળ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા, તો બીજી તરફ ઈઝરાયલના ઉર્જા પ્રધાન ઈઝરાયલ કાટઝે હમાસના આતંકવાદીઓને ચેતવણી આપી છે કે તેઓ બંધકોને પરત કરે, નહીં તો તેઓ ગાઝાને પાણી માટે પણ તરસતું કરી દેશે.
આતંકવાદીઓએ 150 થી વધુ ઈઝરાયલીને બંધક બનાવ્યા છે. હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે.
ઈઝરાયલના ઉર્જા પ્રધાને ટ્વિટર પર લખ્યું હતું કે: ‘જ્યાં સુધી ઈઝરાયલના બંધકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી કોઈ લાઇટ સ્વીચ ચાલુ કરવામાં આવશે નહીં, કોઈ વોટર હાઇડ્રેન્ટ ખોલવામાં આવશે નહીં અને કોઈ બળતણ ટ્રક ગાઝામાં પ્રવેશ કરશે નહીં. માનવતાવાદી સાથે માનવતાવાદી વ્યવહાર કરવામાં આવશે, કોઈ અમને નૈતિકતાનો ઉપદેશ આપશે નહીં.
આ પહેલા હમાસના આતંકવાદીઓએ ધમકી આપી હતી કે જો ઈઝરાયલ ગાઝામાં લોકોને નિશાન બનાવશે તો તે ચેતવણી આપ્યા વિના બંધકોને મારવાનું શરૂ કરશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયલે ગાઝા બોર્ડર પાસે સૈનિકોની 3 લાખ રિઝર્વ ફોર્સ એકઠી કરી છે.