નેપાળે વાનરોના આતંકથી બચવા માટે ભારત પાસે મદદની ગુહાર લગાવી…
![nepal monkey population control india](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Accompanied-by-ten-veterinarians-and-five-forest-rangers-Nepali-Parliamentary-Committee-will-travel-to-Himachal-Pradesh-to-study-the-control-of-monkey-populations-through-castration.webp)
કાઠમંડુ: નેપાળમાં વાનરના આતંકથી એટલું પરેશાન થઈ ગયું છે કે નેપાળે ભારત પાસે મદદની ગુહાર લગાવી હતી. વાનરના આતંકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નેપાળી સાંસદો અને ડોકટરોની એક ટીમ વાનરની વસ્તીને કેવી રીતે નિયંત્રિત કરવી તે અભ્યાસ કરવા માટે ભારત આવશે.
નેપાળના એક સમાચાર પોર્ટલે જણાવ્યું હતું કે ભારતની મુલાકાત કરવાનું નક્કી કર્યું તે પહેલા કૃષિ, સહકારી અને કુદરતી સંસાધન સમિતિના સભ્યોએ સંસદીય બેઠકોમાં “વાનરના આતંક”નો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની વધતી જતી વસ્તી અને વધતા જતા આતંકને નિયંત્રણમાં લેવા માટે જે પણ જરૂરી પગલાં લેવા પડે તે તાત્કાલિક ધોરણે લેવા પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાતમાં દસ પશુચિકિત્સકો અને પાંચ ફોરેસ્ટ રેન્જર્સ ભારતમાં આવશે અને કમિટી કાસ્ટ્રેશન દ્વારા વાંદરાઓની વસ્તીને નિયંત્રિત કરવા અભ્યાસ કરવા હિમાચલ પ્રદેશ જશે. જ્યાં ભારત સરકાર તેમની મદદ કરશે.
નોંધનીય છે કે 2016માં હિમાચલ પ્રદેશે પ્રથમ વખત વાનરોને એક વર્ષ માટે વિનાશક જીવ તરીકે જાહેર કર્યા હતા તેમજ તેમની વસ્તીને નિયંત્રિત કરવા અને તેમના આતંકને ઘટાડવા માટે આ સમયગાળા દરમિયાન તેમને મારી નાખવાની મંજૂરી સરકારે આપી હતી. શરૂઆતમાં ચાર મહિના માટે જ વાનરને મારવાની પરવાનગી આપી હતી અને પછી સરકારે પરવાનગીની સમયમર્યાદા ઓછામાં ઓછી ચાર વખત લંબાવી હતી.
ઉલ્લેખનીય છે કે નેપાળના કેટલાક સંસદીય સભ્યો સંવાદ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 30 જાન્યુઆરીના રોજ ભારત આવ્યા હતા, આ તમામ સભ્યો 7 ફેબ્રુઆરીના રોજ નેપાળ પરત ફરશે.