નેપાળમાં ગમખ્વાર અકસ્માત, 12 લોકોના મોત, 8 ઘાયલ…

કાઠમંડુ: ભારતના પાડોશી દેશ નેપાળમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. મધ્ય નેપાળમાં પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જયારે અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે બસ ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ ટીમ હાલમાં બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હાલમાં, 12 મૃતકોમાંથી 10 લોકોની ઓળખ થઈ ગઈ છે.
બસ તામાકોશી નદીમાં પડી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ બસ કાઠમંડુથી ઓખલધુંગા જઈ રહી હતી ત્યારે બાગમતી પ્રાંતના રામેછાપમાં અકસ્માત થયો અને તામાકોશી નદીમાં પડી હતી. તામાકોશી નેપાળની રાજધાની કાઠમંડુથી 150 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.
ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે શોધખોળ ચાલુ
આ અકસ્માત અને રામેછાપ પોલીસ ઇન્સ્પેક્ટર રાજન પ્રસાદ તિમિલસિનાએ જણાવ્યું હતું કે બસ અકસ્માતમાં ડ્રાઇવર સહિત આઠ લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર જીવન હોસ્પિટલ અને ખુરકોટની મોન્થલી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ સુરક્ષા કર્મચારીઓ અને બચાવ ટીમોએ ઘાયલોને અકસ્માત સ્થળેથી વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા. જયારે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે શોધખોળ ચાલુ છે. વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે.



