પાકિસ્તાની નિષ્ણાતે કરી ભવિષ્યવાણી, ત્રીજી વખત વડા પ્રધાન બનશે મોદી
ભારત બનશે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ
![Modi third term prediction by Pakistani expert](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Dhiraj-96.jpg)
ઇસ્લામાબાદઃ તાજેતરમાં ભારતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર વિજયી બની છે. પાકિસ્તાનના રાજકીય નિષ્ણાત સાજિદ તરારે આ ચૂંટણી પરિણામો પર મોટી ટિપ્પણી કરી છે. જો આપણે તેમના પર વિશ્વાસ કરીએ તો આ સદી માત્ર ભારત માટે છે. તરાર ઘણી વખત પીએમના વખાણ કરી ચૂક્યા છે.
સાજિદ તરારને તાજેતરમાં આ અંગે કરવામાં આવેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પીએમ મોદીના પ્રતિનિધિત્વમાં ભારત ટોપ-5 ગ્લોબલ પાવર્સવાળા દેશ તરીકે ઊભરી આવશે અને નરેન્દ્ર મોદી ત્રીજી વાર ભારતના વડા પ્રધાન તરીકે સત્તારૂઢ થશે. એમની દેશની રાજનીતિ પર મજબૂત પકડ છે અને સામે પક્ષે વિપક્ષ અસંગઠિત છે. દેશમાં એવો કોઇ નેતા નથી જે મોદીને પડકાર ફેંકી શકે. આ બધાનો શ્રેય કેવળ મોદીને જ જાય છે જેમણે માત્ર પોતાના દમ પર ભારતને આટલું આગળ લાવી દીધું છે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે અને ટૂંક સમયમાં ભારત ટોપ-3 અર્થવ્યવસ્થામાં આવી જશે. તરારે ભારતની ત્રણ સફળતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના સફળ વિદેશ પ્રવાસો, ચંદ્રયાન, ગ્લોબલ સાઉથની પ્રગતિ, આ બધું ભારતને એક મજબૂત વૈશ્વિક શક્તિ તરીકે આગળ લઈ જઈ રહ્યું છે. જો તરારની વાત માનીએ તો મોદી હોય તો તે શક્ય છે (મોદી હૈ તો મુમકીન હૈ) ખરેખર સાચું પડવા લાગ્યું છે.
તરારના મતે ભારતની પ્રગતિનું સૌથી મોટું કારણ એ છે કે પીએમ મોદી જેવા રાષ્ટ્રવાદી નેતા તેનું નેતૃત્વ કરી રહ્યા છે અને તે ભવિષ્યમાં પણ તેનું નેતૃત્વ કરશે. તરારે તાજેતરમાં દુબઈમાં યોજાયેલી COP28નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જે રીતે અહીં ભારતનું નેતૃત્વ કર્યું તે જોવા જેવું હતું. તરારે ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરની ટિપ્પણી તરફ પણ ધ્યાન દોર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા હવે મહાસત્તા નથી. તરારે કહ્યું કે ભારત હવે પ્રાદેશિક શક્તિ બનવાથી આગળ વધી ગયું છે.