કોવિડ મહામારીને રોકવા મોટી સફળતાઃ વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી

નવી દિલ્હીઃ કોરોનાના નિયંત્રણ પછી મહામારીને ભવિષ્યમાં ઝડપથી નિયંત્રણમાં લાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત સંશોધનો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોએ નવી એન્ટિવાયરલ દવા વિકસાવી હોવાનો દાવો કર્યો છે.
વૈજ્ઞાનિકોએ અસરકારક એન્ટિવાયરલ દવાઓ વિકસાવી છે જે કોવિડ-19 ચેપના ભવિષ્યના પ્રકોપને રોકવાની ક્ષમતા ધરાવે છે. ‘નેચર મેગેઝિન’માં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં સંશોધકોએ આ દાવો કર્યો હતો.
રિપોર્ટમાં સંશોધકોએ જણાવ્યું હતું કે કોવિડ-19 પાછળ જવાબદાર એસ-સીઓવી-2 કોષિકાઓમાં એક એવા માર્ગને એક્ટિવ કરી દે છે, જે પેરોક્સિસોમ્સ અને ઇન્ટરફેરોનનું ઉત્પાદન અટકાવે છે, જે બંને સામાન્ય રોગપ્રતિકારક પ્રતિભાવના બે મહત્વપૂર્ણ ઘટકો છે.
કેનેડાની યુનિવર્સિટી ઓફ અલ્બર્ટાના સંશોધકોની ટીમે આ નવી એન્ટિવાયરલ દવાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે ઇન્ટરફેરોનનું ઉત્પાદન વધારીને કોવિડ-19ની અસરોને ઘટાડવાનું કામ કરે છે.
સંશોધકોએ અહેવાલ આપ્યો કે ઇન્ટરફેરોન ચેપગ્રસ્ત કોષોને વધુ વાયરસ ઉત્પન્ન કરતા અટકાવવા અને આ ચેપગ્રસ્ત કોષોને મારી નાખવાનું કામ કરે છે. આ પછી આ તત્વ ચેપગ્રસ્ત કોષોની આસપાસ હાજર કોષોને ચેપ લાગવાથી બચાવે છે.
સંશોધકોની ટીમે 40 વર્તમાન દવાઓની તપાસ કરી જે સંકેત આપનારા માર્ગને નિશાન બનાવે છે. આમાંની મોટાભાગની દવાઓ મૂળરૂપે કેન્સરની સારવાર માટે વિકસાવવામાં આવી હતી જે ઘણી વાર ઇન્ટરફેરોનનું ઉત્પાદન વધારી દે છે, તેમાંથી ત્રણ દવા ફેફસામાં જોવા મળતા વાયરસની માત્રાને નોંધપાત્ર રીતે ઘટાડવામાં અસરકારક છે.
યુનિવર્સિટી ઓફ અલ્બર્ટાના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક ટોમ હોબમેને જણાવ્યું હતું કે અમે કેટલાક કિસ્સાઓમાં એક ટેસ્ટ ટ્યુબમાં ઉત્પન્ન થતા વાયરસની માત્રામાં 10,000 ગણો ઘટાડો જોયો હતો, અને જ્યારે તેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે અમને જાણવા મળ્યું કે આ દવાઓ ઉંદર ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.