રશિયામાં થઈ મોટી દુર્ઘટના, યુક્રેનની હદ પાસે ટ્રેન પર પુલ ઘરાશાયી થયો, 7ના મોત

રશિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રાયાંસ્ક વિસ્તારમાં શનિવારની મોડી રાત્રે એક રેલ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનું મૃત્યુ થયું છે તથા 2 બાળકો સહિત 30 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એ સમયે સર્જાઈ હતી, જ્યારે એક પુલ રેલવે ટ્રેક પર ધરાશાયી થયો હતો. જેથી મુસાફર ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ટ્રેન પિલ્શિનો અને વ્યગોનિચી સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી. આ વિસ્તાર યુક્રેનની હદને અડીને આવેલો છે. રશિયાની પરિવહન એજન્સી રોસાવટોડોરના રિપોર્ટ મુજબ, ટ્રેન જે પાટા પર ચાલી રહી હતી તેના પર બનેલો પુલ ધરાશાયી થયો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રાયાંસ્કના ગવર્નર એલેક્ઝાંડર બોગોમાજ સાથે એક વીડિયો મીટિંગ દ્વારા ઘટનાની માહિતી મેળવી હતી. ગર્વનરે ટેલીગ્રામ પર લખ્યું કે, “પુલ ધરાશાયી થવાથી 7 લોકોનું મૃત્યુ થયુ છે. 30 લોકો ઘાયલ થયા છે, જે પૈકી 2 બાળકો છે.”
અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના પરિવહન સંચાલનમાં અવૈધ હસ્તક્ષેપના કારણે થઈ છે. જોકે તેમણે તેની વિસ્તૃત માહિતી આપી નથી. સરકારી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી તસ્વીરોમાં ટ્રેનના ડબ્બાઓ બહું ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યા છે. જેની ચારેબાજુ પુલનો કાટમાળ ફેલાયેલો છે. સોશિયલ મીડિયા પરના વાયરલ વીડિયોમાં ટ્રેન પાટા પરથી ઉતરીને રસ્તા પર પડેલી દેખાઈ રહી છે. આવા સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને અન્ય લોકો મદદ કરતા નજરે પડી રહ્યા છે.
આપણ વાંચો: મિસ વર્લ્ડનો તાજ થાઈલેન્ડને ફાળે: ઓપલ સુચાતાએ થાઈલેન્ડ માટે જીત્યો પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ
આ દુર્ઘટના માટે અધિકારીઓએ કોઈ વિશેષ સમૂહને જવાબદાર ગણાવ્યું નથી. જોકે, તેના પહેલા રશિયાના અધિકારીઓએ યુક્રેન સમર્થકો પર રેલવેને નિશાનો બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ડિસેમ્બર 2023માં યુક્રેની મીડિયાએ દાવો કર્યો હતો કે, યુક્રેનની ખુફિયા એજન્સીએ સાઈબેરિયામાં એક રેલવે પર વિસ્ફોટ કર્યો હતો, જે ચીન સાથે વેપારમાં ઉપયોગમાં લેવાય છે. જોકે, તેના પર રશિયા કે યુક્રેન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું.