ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: ચાબહાર પોર્ટ અને ભારતનું રોકાણ ખતરામાં!

નવી દિલ્હી: ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ (Israel Iran Conflict) હવે વધુ ઘાતક બની રહ્યો છે, જેમાં બંને દેશો એકબીજા પર મિસાઇલોથી વાર કરી રહ્યા છે. ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને ઇઝરાયેલી સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલો પર હુમલો કર્યો છે, જેમાં 25થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા બાદ ઇઝરાયેલ દ્વારા જવાબી કાર્યવાહીની અપેક્ષા ફરી વધી ગઈ છે.
ઈરાનમાં ભારતના 4771 કરોડ રૂપિયા દાવ પર
આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ઈરાનમાં ભારતના 550 મિલિયન ડોલર એટલે કે લગભગ 4771 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે. હકીકતે ઈરાનમાં ભારતના વ્યાપારિક અને વ્યૂહાત્મક હિતો મુખ્યત્વે ચાબહાર પોર્ટ પર કેન્દ્રિત છે, જે ઇન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ (IPGL) દ્વારા સંચાલિત એક મહત્વપૂર્ણ સંપત્તિ છે. આ પોર્ટ ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટે એક વ્યૂહાત્મક માર્ગ પૂરો પાડે છે. જોકે, ઈરાન-ઇઝરાયેલના વધતા સંઘર્ષને કારણે આ પોર્ટ પર સંકટ આવી શકે છે, કારણ કે અમેરિકાની ભાગીદારી વધી રહી છે અને પશ્ચિમી પ્રતિબંધો સતત વિઘ્નરૂપ બની રહ્યા છે, જે બંદર વિકાસ અને રેલ સંપર્ક પહેલ બંનેને જટિલ બનાવી રહ્યા છે.

ચાબહાર પોર્ટ પર ભારતનું મોટું રોકાણ
મે 2024 સુધીમાં, ભારતે ચાબહારમાં શાહિદ બેહેશ્તી ટર્મિનલના મેનેજમેન્ટ માટે 10 વર્ષનો કરાર મેળવ્યો છે. IPGL ઈરાનના આરિયા બાનાડર સાથે ભાગીદારીમાં તેના સંચાલનની દેખરેખ રાખે છે. આ પોર્ટના વિકાસમાં ભારતનું મોટું રોકાણ છે, જેમાં 200 મિલિયન અમેરિકી ડોલરથી વધુનો સીધો રોકાણ અને એક ટર્મિનલના વિકાસ માટે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બર્થ અપગ્રેડ માટે ભારતનું 85 મિલિયન ડોલરનું રોકાણ, 150 મિલિયન ડોલરની એક્ઝિમ બેંક લાઇન ઓફ ક્રેડિટ અને ચાબહાર-ઝાહેદાન રેલવે માટે સ્ટીલ આયાતની સુવિધા માટે 400 મિલિયન ડોલરની એક અલગ લાઇન ઓફ ક્રેડિટ પણ સામેલ છે. શાહિદ બેહેશ્તી ટર્મિનલ ઈરાનનું બીજું સૌથી મોટું પોર્ટ છે.
રેલવે કનેક્ટિવિટી અને નવા વ્યાપારિક નેટવર્કના પ્રયાસો
ચાબહાર-ઝાહેદાન રેલવે પ્રોજેક્ટ હેઠળ 1.6 અબજ ડોલરના MoU હેઠળ ભારતીય PSU કંપની ઇરકોન ઇન્ટરનેશનલને સોંપવામાં આવ્યો હતો, પરંતુ ભંડોળમાં વિલંબને કારણે 2020માં ઈરાન આંશિક રીતે તેમાંથી અલગ થઈ ગયું હતું. ચાબહાર બંદરને 2026 સુધીમાં ઈરાનના રેલવે નેટવર્કથી જોડવાની યોજના છે. રાજદ્વારી સ્તરે, ભારત અને ઈરાને ગતિ જાળવી રાખવા માટે નિયમિતપણે સંપર્ક જાળવી રાખ્યો છે. ભારત, રશિયા, ઈરાન, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનની હેરફેર માટે એક બહુ-મોડલ પરિવહન નેટવર્ક બનાવવા માટે 2025માં, 19મી વિદેશ કાર્યાલય પરામર્શમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને અધિકારીઓએ ચાબહાર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો
ચીન-અમેરિકાની અડચણો
ચાબહાર બંદરના વિકાસમાં ચીન પણ રસ ધરાવે છે અને તેને પોતાના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ ગ્વાદર બંદર સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે. તો બીજી તરફ, અમેરિકાએ ચાબહાર પોર્ટના વિકાસમાં ભારતના સમાવેશ પર ચિંતા વ્યક્ત કરી છે અને ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો હવાલો આપતા ચેતવણી આપી છે કે જે પણ ઈરાન સાથે વેપાર કરશે, તેને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. હવે ચાલુ ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ અને વિસ્તૃત અમેરિકી ભાગીદારીની સંભાવના ચાબહારમાં સંચાલનને અવરોધી શકે છે, જેનાથી વીમા, લોજિસ્ટિક્સ અને INSTC કોરિડોર પ્રભાવિત થઈ શકે છે. પશ્ચિમી પ્રતિબંધો પણ સતત અવરોધ બની રહ્યા છે, જે બંદર વિકાસ અને રેલ સંપર્ક પહેલ બંનેને જટિલ બનાવી રહ્યા છે.
આ પણ વાંચો…ઈરાને ઇઝરાયેલની હોસ્પિટલ અને સ્ટોક એક્ષચેન્જ પર હુમલો કર્યો! ઇઝરાયલે ખામેનીની હત્યાની ચેતવણી આપી