ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: તહેરાન પર હવાઈ નિયંત્રણનો ઈઝરાયલનો દાવો, મહાયુદ્ધના ભણકારા?

તેલ અવીવ/તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની લશ્કરી કાર્યવાહી હવે મહાયુદ્ધમાં ફેરવવાની કગાર પર છે. બંને દેશો એકબીજા પર ભીષણ મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ઇઝરાયલે તેના ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ હેઠળ ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ લોન્ચ સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ એકમોને નષ્ટ કર્યા છે. બીજી તરફ, ઈરાને ઇઝરાયલના તેલ અવીવ સહિત મોટા શહેરો પર મિસાઈલો ઝીંકી છે. આ યુદ્ધની વચ્ચે ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનની રાજધાની તહેરાનના આકાશ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
ઇઝરાયલનો મોટો દાવો
સૂત્રોની જાણકારી પ્રમાણે ઇઝરાયલની સેનાએ જણાવ્યું કે તેણે તહેરાનના આકાશમાં પર (Aerial Superiority) સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ઇઝરાયલનું કહેવું છે કે ઈરાનના હવાઈ સંરક્ષણ અને મિસાઈલ સિસ્ટમને એટલી હદે નબળી કરી દેવામાં આવી છે કે ઇઝરાયલના લડાકુ વિમાનો તેહરાનની ઉપર વિના અવરોધે ઉડાન ભરી શકે છે. આ દાવા સાથે ઇઝરાયલે પશ્ચિમ ઈરાનથી લઈને તેહરાન સુધીના આકાશ પર નિયંત્રણ હોવાનું પણ જણાવ્યું છે.
ઈરાનને થયેલું નુકસાન
ઇઝરાયલનો આ હુમલો 1980ના ઈરાક-ઈરાન યુદ્ધ બાદ ઈરાન પર થયેલો સૌથી મોટો હુમલો છે. ઈરાને પુષ્ટિ કરી છે કે આ હુમલામાં 224 લોકોના મોત થયા છે, જેમાં ઘણા ઉચ્ચ સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે, જ્યારે 1,277 લોકો ઘાયલ થયા છે. ઈરાને સૈન્ય અને નાગરિકોની સંખ્યા અલગથી જણાવી નથી. આ હુમલાએ ઈરાનના પરમાણુ ઠેકાણાને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ઉભરવામાં ઈરાનને લાંબો સમય લાગી શકે છે.
આ પણ વાંચો - ઈરાનના પરમાણુ હુમલાના દાવાને પાકિસ્તાને નકાર્યો, કહી આ વાત
ઇઝરાયલની સ્થિતિ
ઈરાને ઇઝરાયલના તેલ અવીવ, યરૂશલેમ અને હાઈફા જેવા શહેરો પર સેંકડો મિસાઈલો ઝીંકીને પ્રતિહુમલો કર્યો છે, જેના કારણે ઇઝરાયેલમાં નોંધપાત્ર નુકસાન થયું છે. ઈરાનના હુમલામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે, જ્યારે 74 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ યુદ્ધે બંને દેશોની વચ્ચેના તણાવને વધુ ગાઢ કર્યો છે.